Gujarat

વિકાસ કામોમાં જોડવાનું ઉદાહરણ ખોડલધામની સેવા પ્રવૃત્તિ પૂરૂં પાડે છે : સીએમ

ગાંધીનગર : મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે આયોજિત 7માં પાટોત્સવમાં સહભાગી થયા હતા. ખોડલધામ ટ્રસ્ટને (Khodaldham Trust) સામાજિક સમરસતાના આગવા કેન્દ્ર તરીકે ઓળખાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ વાતનો હર્ષ વ્યક્ત કર્યો હતો કે ખોડલધામ વિશ્વનું એક માત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકે છે. રાષ્ટ્રહિત અને સમાજહિતના કેન્દ્ર તરીકે ખોડલધામ વિશ્વને હંમેશા પ્રેરણા પૂરું પાડતું રહેશે, એવો ભાવ પણ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો.

ખોડલધામના નવા 41 જેટલા ટ્રસ્ટીઓની વરણી કરાઈ
સમાજશક્તિને બહુવિધ વિકાસ કામોમાં જોડીને ખોડલધામ ટ્રસ્ટ રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપે છે એમ તેમણે જણાવ્યું હતું. બીજી તરફ આજે ખોડલધામના નવા 41 જેટલા ટ્રસ્ટીઓની વરણી કરાઈ હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદિબેન પટેલના પુત્રી અનાર પટેલની પણ વરણી કરાઈ છે. ખોડલધામ ખાતે વિશાળ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીની વિકાસના મૂલ્યો આધારિત રાજનીતિનું ભારતને વિશ્વગુરૂ બનાવવામાં મહત્વનું પ્રદાન છે. વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિભર્યા નેતૃત્વને લીધે આ શક્ય બન્યું છે.

આયોજન બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
એમ પણ તેમણે ઉમેર્યુ હતું. રાજયના ખેડૂતોનુ હિત સદા સરકારના હૈયે હોવાનું જણાવતાં મુખ્યમંત્રીએ હતું કે , ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. રાજય સરકારે વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે. ખોડલધામ ટ્રસ્ટને સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર પરિસરમાં પથરાયેલી ૬૫૦ મૂર્તિઓ તથા પ્રદક્ષિણાપથ પર રજૂ થયેલી પાટીદારોની ગૌરવગાથા બદલ મુખ્યમંત્રીએ ખોડલધામ પ્રાંગણની સરાહના કરી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકારતા કહ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. તેને મંદિર પૂરતો સીમિત ન રાખતાં રાષ્ટ્ર કલ્યાણ સુધી પહોંચાડવાનું કાર્ય ઉપસ્થિત સૌએ કરવાનું છે.

Most Popular

To Top