શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં મળતું હોવાની સતત ફરિયાદો થઈ રહી છે ત્યારે આજવા રોડ વિસ્તારની કમલાનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં છેલ્લા દોઢેક વર્ષથી પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં મળતું હોવાથી સ્થાનિક રહીશોને પાણીના સમયે રોજિંદી લાઈનો લગાવીને ઉભા રહેવું પડે છે. પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળવાથી દર ત્રણ દિવસે પાણીના ટેન્કર મંગાવવા પડે છે અને પાણીના જગ મંગાવીને કામ ચલાવવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. ઉલ્લેખનીય છે કે આજવા રોડ વિસ્તારની કમલાનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના કુલ આઠ ટાવર છે. પ્રત્યેક ટાવરમાં ૫૬ પરિવારો પ્રત્યેક મકાનમાં રહે છે. આમ અંદાજિત ૫૦૦ પરિવારો વચ્ચે પીવાની જુદી જુદી આઠ ટાંકી બનાવાય છે પરંતુ આઠ પૈકીની એક પણ ટાંકી પૂરી ભરાતી નથી. જેથી સવારે પાણી આવવાના નિયત સમયે તમામ ટાવરના લોકો મહિલાઓ વૃદ્ધો સહિત બાળકો વાસણ લઈને લાઈનમાં ઊભા રહી જાય છે. છેલ્લા દોઢેક વર્ષથી પાણીની સર્જાતી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ થાય એવી સ્થાનિક રહીશોની માંગ છે.