Comments

દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા

મુલાયમસિંહ યાદવને અંજલિ આપતાં સમાજવાદી નેતા શરદ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પરિવારમાં એકતા જળવાઈ હોત તો મુલાયમસિંહ યાદવ ભારતના વડા પ્રધાન બની શક્યા હોત. શરદ યાદવે તો માત્ર એક જ વાક્ય કહ્યું છે અથવા એટલું જ મારા વાંચવામાં આવ્યું છે, પરંતુ તેમની સાથે સંમત થતાં મારો અભિપ્રાય તો ત્યાં સુધી છે કે મુલાયમસિંહ યાદવ પોતાની તાકાતથી સમાજવાદી પક્ષની બહુમતી સાથે વડા પ્રધાન બની શક્યા હોત. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામડામાં ગરીબ પરિવારમાં જન્મેલા મુલાયમસિંહ યાદવમાં આટલી વ્યક્તિગત તાકાત હતી અને તેનાથી પણ વધુ તાકાત સમાજવાદીઓમાં અને સમાજવાદી આંદોલનમાં હતી.

બિહારમાં કર્પૂરી ઠાકુર, લાલુપ્રસાદ યાદવ, નીતીશકુમાર અને રામવિલાસ પાસવાન અને ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ અને મધ્ય પ્રદેશમાં જન્મેલા પણ સમગ્ર ઉત્તર ભારતમાં એક ઓળખ ધરાવનારા શરદ યાદવ એમ આ છ જણમાં એટલી તાકાત હતી કે તેઓ દેશનો ઈતિહાસ બદલી શક્યા હોત. આ દરેક પોતાને રામમનોહર લોહિયાના શિષ્ય ગણાવે છે. પણ એવું બન્યું નહીં અને બનવાનું પણ નહોતું. આઝાદી પહેલાં સમાજવાદીઓ કોંગ્રેસની અંદર કોંગ્રેસ સમાજવાદી પક્ષ નામનો એક બ્લોક રચીને કામ કરતા હતા.

આઝાદી પછી કોઈએ તેમને કહ્યું નહોતું કે તેઓ કોંગ્રેસ છોડીને ચાલ્યા જાય. ઉલટું જવાહરલાલ નેહરુએ તો તેમને સમજાવ્યા પણ હતા કે તેઓ કોંગ્રેસની અંદર જ રહીને પક્ષને સમાજવાદ તરફ લઈ જવા પ્રેરણા આપે અને જરૂર પડ્યે દબાવ આણે. પણ સમાજવાદીઓને એમ લાગ્યું હતું કે તેઓ કોંગ્રેસની અંદર રહીને લોકશાહી સમાજવાદી ભારતનું તેમનું સપનું સાકાર નહીં કરી શકે. તેમને એમ પણ લાગ્યું હતું કે દેશને કોંગ્રેસના વિકલ્પની પણ જરૂર પડશે, જે સમાજવાદી પક્ષ આપી શકશે.

પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષને કોંગ્રેસને મળેલા ૪૫ ટકા મતની સામે ૧૦.૫૯% મત પણ મળ્યા હતા જે નિરાશાજનક ન કહેવાય. ડૉ. લોહિયાએ જેલ-મતપેટી અને પાવડો એમ ત્રિસૂત્રી કાર્યક્રમ આપ્યો હતો. જેલ એટલે કે લોકોના અધિકારો માટેની લડત. મતપેટી એટલે કે ચૂંટણી લડવી. મુખ્યત્વે જીતવા માટે નહીં, પણ લોકોને મુદ્દાઓથી પરિચિત કરવા માટે અને પાવડો એટલે કે લોકોની વચ્ચે રહીને લોકોનાં કલ્યાણ માટેનાં રચનાત્મક કામો.

તૈયારી સંપૂર્ણ હતી પણ ધીરજ ખૂટવા લાગી. આનું મુખ્ય કારણ એ હતું કે કોંગ્રેસે પોતાની અંદર સોશ્યલ એન્જિનિઅરિંગ (સત્તાને અને વગને સામાજિક સીડી પર નીચલા થરના લોકોને ઉપર ચડાવવાની પ્રક્રિયા) કરવાનું શરૂ કર્યું. નેહરુ-ગાંધી પરિવારને એ પરવડે એમ હતું અને તેનાં હિતમાં પણ હતું. પરિવારની સત્તાને ઊની આંચ આવે એમ નહોતી કારણ કે પ્રજા પરિવારની સાથે હતી અને જો સ્ત્રીઓ, બહુજન સમાજ અને દલિતોની તરફેણમાં સત્તાંતરણ કરવામાં આવે તો વધુ ફાયદો થાય એમ હતું.

સૌથી મોટો ફાયદો એ હતો કે પરિવાર આના દ્વારા કદાવર સવર્ણ નેતાઓને હાંસિયામાં ધકેલી શકતો હતો. ૧૯૭૦ સુધીમાં વડા પ્રધાનપદે પરિવાર હતો, પણ રાજ્યોમાં મુખ્ય પ્રધાનપદ બ્રાહ્મણોના હાથમાંથી સરકીને બહુજન સમાજના હાથમાં જતાં રહ્યાં હતાં. કોઈ મોટા પ્રતિકાર કે પરિવર્તનના દેકારા વિના. જેમના હાથમાંથી સત્તા સરકી રહી હતી એ પ્રતિકાર કરવાની સ્થિતિમાં નહોતા અને બહુજન સમાજને વગર માગ્યે લાભ મળતા હતા એટલે કોઈ દેકારા કરવાની તેમને જરૂર નહોતી પડી. એક પ્રકારની મૂંગી ક્ર્ણાતી હતી. પરિવાર અને તેની સત્તા હજુ પણ સલામત હતાં.

આ સ્થિતિમાં સમાજવાદીઓ સામે સવાલ ઉપસ્થિત થયો હતો કે જગ્યા કોની વચ્ચે બનાવવી? મુસ્લિમ વિરોધીઓ અને જુનવાણી માનસ ધરાવનારાઓ જનસંઘ સાથે હતા. સવર્ણ મધ્યમ વર્ગ કોંગ્રેસ સાથે હતો. આર્થિક ન્યાયની બાબતે આક્રમક વલણ ધરાવનારાઓ સામ્યવાદી પક્ષ સાથે હતા. સોશ્યલ એન્જિનિઅરિંગના કારણે બહુજન સમાજ અને દલિતો કોંગ્રેસની સાથે હતા. સમાજવાદી પક્ષમાં અને ડૉ. આંબેડકરની રિપબ્લિકન પાર્ટીમાં અનુક્રમે જેટલા બહુજન સમાજના નેતાઓ અને દલિત નેતાઓ હતા તેના કરતાં વધુ કોંગ્રેસમાં હતા.

કોંગ્રેસમાં રહેવાથી બેવડો લાભ હતો. નીચલી જ્ઞાતિના હોવાનો લાભ મળતો હતો અને ઉપરથી જ્ઞાતિવાદી રાજકારણ (કાસ્ટ પોલિટીકસ) કરતા હોવાના લેબલથી બચી શકાતું હતું. સમાજવાદીઓમાં હતાશા વધવા લાગી, જેનાં બે પરિણામ આવ્યાં. એક તો તેમનો કોંગ્રેસવિરોધ વધુ ને વધુ આકરો થવા લાગ્યો અને તે ત્યાં સુધી કે તેઓ પરસ્પર પણ અસહિષ્ણુ થવા લાગ્યા. બીજું, તેમનું સામાજિક ન્યાયનું રાજકારણ જગ્યા શોધવાની જદ્દોજહદમાં જ્ઞાતિકીય થવા લાગ્યું. તીવ્ર કોંગ્રસવિરોધથી પીડાતા સમાજવાદીઓએ હિન્દુત્વવાદીઓને પણ સાથે લીધા અને તેમને મદદ કરી.

ઉપર જે પાંચ નામ ગણાવ્યાં એ જ્યારે સમાજવાદી આંદોલનમાં પ્રવેશ્યા ત્યારે તેમાંના કોઈ જ્ઞાતિવાદી, પ્રદેશવાદી અને પરિવારવાદી નહોતા. તેઓ નખશીખ સમાજવાદી હતા; જેવા જયપ્રકાશ નારાયણ, અશોક મેહતા, આચાર્ય નરેન્દ્ર દેવ કે ડૉ. લોહિયા હતા. તેમનો સંઘર્ષ પણ કાબિલેદાદ હતો. સમજ પણ ખૂબ ઊંડી હતી. પણ કોંગ્રેસમાં થયેલા અનાયાસ સોશ્યલ એન્જિનિઅરિંગને કારણે તેઓ આકરા થતા ગયા અને મધ્યમમાર્ગ છોડતા ગયા. ધીરેધીરે તેઓ પોતાનું રાજ્ય, પોતાની જ્ઞાતિ અને છેવટે પોતાના પરિવારમાં સીમિત થતા ગયા.

સવર્ણ મધ્યમ વર્ગ માટે તેમને જ્ઞાતિવાદી, પરિવારવાદી, અભણ, અસંસ્કારી ફુહડ, બિનભરોસાપાત્ર, સત્તાભૂખ્યા વગેરે લેબલો ચોડવાનું આસાન બની ગયું. આ લેબલ હિન્દુત્વવાદીઓએ તેમને હાથે પકડાવ્યા હતા અને એ વર્ગ બીજેપીનો સમર્થક બની ગયો. આ ઉપરાંત સંજોગોએ પણ અન્યાય કર્યો. આચાર્ય નરેન્દ્ર દેવ ૧૯૫૬માં અવસાન પામ્યા. એ જ અરસામાં જયપ્રકાશ નારાયણ પક્ષીય રાજકારણ છોડીને સર્વોદય આંદોલનમાં જતા રહ્યા. ૧૯૬૭માં ડૉ. રામમનોહર લોહિયા ગુજરી ગયા અને ૧૯૬૩માં ડૉ. અશોક મહેતા તીવ્ર કોંગ્રસવિરોધના વિરોધમાં સમાજવાદી પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા. સમાજવાદી આંદોલનની પહેલી પેઢીનો અસ્ત થયો.

સમય અને સંજોગોના કારણે સમાજવાદી નેતાઓનો કોંગ્રેસવિરોધ તીવ્ર નહોતો, અંધ હતો. તેમને બીજેપીની સાથે જવામાં પણ સંકોચ નહોતો થયો. પણ એમાં અપવાદ હતા મુલાયમસિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવ. તેઓ સતત બીજેપીની સામે ઊભા રહ્યા. કોંગ્રેસનો વિરોધ કર્યો, પણ બીજેપીને સાથ નહીં આપ્યો. ખુલ્લેઆમ સેક્યુલર પોઝીશન લેતાં તેઓ ગભરાયા નથી. દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા, પણ સમય અને સંજોગો તેમની વિરુદ્ધ ગયા.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top