Madhya Gujarat

વસો તાલુકામાં 450 જેટલા મગરો નોંધાયા: વન વિભાગ

નડિયાદ: આંતર રાષ્ટ્રીય વન દિવસની ઊજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યમાં “નમો વડ વન” નો શુભારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સેટકોમ મારફતે જોડાયા હતા. ખેડા જિલ્લામાં પણ આ કાર્યક્રમમાં ૫૨૦ ગ્રામ પંચાયત અને ૮૫૫ જેટલી શાળાઓ મળી કુલ ૧૩૭૫ જેટલી સ્થળે અંદાજે ૬૦,૦૦૦ જેટલા વન વિભાગના અધિકારીઓ / કર્મચારીઓ, એફ.પી.ઓે., સમિતિના હોદ્દેદારો, સભાસદો,સ્વ-સહાય જુથના મહિલા સભ્યો, પ્રકૃત્તિ પ્રેમીઓ, સરપંચો, પંચાયતના સભ્યો, વિવિધ સહકારી મંડળીના સભ્યો, ઈકો ડેવલપમેન્ટ કમિટિના સભ્યો, સામાજીક સહકારી મંડળીના સભ્યો, શિક્ષકમિત્રો, શહેરી વિસ્તારના સ્થાનિક આગેવાનો, નગરપાલીકાના સદસ્યો, ઈકો ક્લબના સભ્યો અને નાગરિકો જોડાયા હતા.

નડિયાદ તાલુકા બામરોલી પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે રેન્જ ફોરેસ્ટર એસ.પી.રહેવરએ જણાવ્યું હતુ કે, આવા પ્રોગ્રામ ધ્વારા નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ અને બાળકોને કુદરતની સમીપ જવાનો મોકો મળે છે. બામરોલી મુકામે પે સેન્ટર શાળામા યોજાયેલ આ કાર્યક્રમમાં માજી સરપંચ પુજાભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદભાઈ, દુ.ઉ.સ.મં ના ચેરમેન સુરેશભાઈ, ફોરેસ્ટ વિભાગની રેસક્યુ ટીમના સદસ્યો અને ગ્રામજનો જોડાયા હતા. સૌએ વાઈલ્ડ લાઈફ ડોક્યુમેન્ટરી માણી હતી, તેમજ મુખ્યમંત્રીનું ઉદ્દબોધન નિહાળ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.પી.રહેવરે જણાવ્યું હતું કે, જિલ્લામાં છેલ્લી થયેલી વસ્તિ ગણતરી મુજબ વસો તાલુકામાં ૪૫૦ જેટલા મગરો નોંધાયેલા છે.

Most Popular

To Top