Charchapatra

ભ્રમને સત્ય તરીકે પુરવાર કરવામાં ફાંફાં શા માટે?

ફળ જયોતિષ ભ્રમ અને ધૂર્ત વિદ્યા હોવાનું વૈજ્ઞાનિક સત્ય સામે આવ્યું તેથી તે આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું. પાકી પ્રતીતિ થઇ કે આ જગત ભ્રમ નથી પણ સત્ય છે. તેથી જ તે ફળ જયોતિષને સત્ય તરીકે પુરવાર કરવાની ચાનક ચડી ને? જો આ જગત ભ્રમ છે અને વિજ્ઞાન પણ ભ્રમ છે તો એ સંજોગોમાં ફળ જયોતિષ પણ એક ભ્રમ જ છે ને? તો પછી એ ભ્રમને સત્ય સાબિત કરવા માટે હવાતિયાં શા માટે મારવાં પડે છે? જયોતિષને સત્ય ઠેરવવા માટે જે ફાંફા મારવાં પડે છે, એ બાબત જ બતાવે છે કે આ જગત ભ્રમ નથી, પણ સત્ય છે અને જગતમાં સૌથી મોટો ભ્રમ જો કોઇ હોય તે બ્રહ્મ સિવાય બીજો કોઇ નથી. કારણ બ્રહ્મની કોઇને કોઇ અનુભૂતિ જ નથી.

બ્રહ્મ કોઇને કંઇ કામનું જ નથી તથા બ્રહ્મનું અસ્તિત્વ કોઇ પુરવાર કરી શકતું જ નથી.  ફાવે ત્યારે જયોતિષને સત્ય તરીકે પુરવાર કરવા માટે મથવું અને ફાવે ત્યારે જયોતિષને વિજ્ઞાન કહેવું, તેથી ઉલ્ટું ફાવે ત્યારે જયોતિષને અને વિજ્ઞાનને જ ભ્રમ કહેવું. આ રીતે લોટ ફાકવો અને ભસવું એવી બંને ક્રિયાઓ સાથે કરતાં કરતાં આખી જિંદગી તો ભ્રમમાં જ પૂરી થઇ ગઇ. જગત જો ભ્રમ લાગે છે તો એને છોડીને જયાં સત્ય હોય ત્યાં જતાં કેમ નથી રહેતાં? જગત ભ્રમ છે તો વેદ પણ ભ્રમ જ હશે ને? તો પછી જયોતિષનો પાંચમો વેદ કહેવાની કઇ આવશ્યકતા વારંવાર ઊભી થાય છે? આખી જિંદગી દંભમાં સબડનાર વ્યકિત સચેતતાને મુખર કરી શકે ખરી?
કડોદ              – એન.વી.ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top