Comments

ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ ૨૦૦ દિવસની સેવાયાત્રા

૧૩મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ ભૂપેન્દ્ર પટેલના રૂપમાં  ગુજરાતની સાડા છ કરોડની જનતાને એક સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ પણ મક્કમ જનનાયક મળ્યા છે. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના ૨૦૦ દિવસમાં રાજ્યના પ્રત્યેક ખૂણામાં વસતાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વંચિતો, વનબંધુઓ, ગ્રામજનોના સમૂચિત વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી સર્વસમાવેશક ઉત્કર્ષ કર્યો છે. દરમિયાન ૩૦૦થી વધુ સરકારી, ખાનગી કાર્યક્રમો, બેઠકો, ૨૨,૦૦૦થી વધુ લોકો સાથે રૂબરૂ સંપર્ક, ૬૧,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કરી એમણે વિકાસ માટે નિષ્ઠાવાન પુરુષાર્થ આદર્યો છે. તેમણે ખેડૂત હિતલક્ષી મક્કમ નિર્ણયો લીધા છે. ડાંગને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કર્યો છે. પશુપાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવાની યોજના લઇ આવ્યા છે.

ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ઉત્પાદન વધે અને કૃષિ ઇનપુટ ખર્ચ ઘટે એ માટે નવતર અભિગમ અમલમાં મૂક્યો છે. પેન્ડિંગ વીજ કનેક્શનો સત્વરે પૂરા પાડવાની દિશામાં મક્કમ નિર્ધાર સાથે રૂ. ૧૦૪૬ કરોડની માતબર રકમ ફાળવી આપવામાં આવી છે. રાજ્યના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનું ૬૦થી ૮૦ વર્ષની વયના લોકોને અપાતું પ્રતિ માસ પેન્શન ૭૫૦થી વધારીને ૧૦૦૦ અને ૮૦ વર્ષથી વધુના નિરાધારોનું પ્રતિમાસ પેન્શન ૧૦૦૦થી વધારી ૧૨૫૦ કર્યુ છે. રાજ્યના ૩૬ લાખ પછાત વર્ગના વિદ્યાર્થીઓને અપાતી ગણવેશ સહાય ૬૦૦થી વધારી રૂ.૯૦૦ કરી છે. આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં હાલની એક લાખની સહાયને વધારી રૂ. ૨.૫૦ લાખ કરી છે. વન અધિકાર અધિનિયમ અન્વયે ૧૬,૫૭૨ આદિવાસીને જમીનના અધિકારો અપાયા છે. આદિજાતિ વિસ્તારોમાં બે વર્ષમાં ૫૦૦ નવા મોબાઇલ ટાવર્સ ઊભા કરાયા છે. વનબંધુઓનાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ માટે પૂર્વ પટ્ટીમાં રૂ.45 કરોડના ખર્ચે ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ થવા જઇ રહી છે. દિવ્યાંગ નાગરિકોને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય રાખવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવકના દાખલાઓની માન્યતાની મુદત એક વર્ષથી વધારી ત્રણ વર્ષ કરી છે.

આ વર્ષના બજેટમાં મહિલા વિકાસની યોજનાઓ માટે 42 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ માટેની ‘પોષણ સુધા યોજના’નો વ્યાપ વધારી વધુ ૭૨ તાલુકા સુધી લઈ જવામાં આવી છે. રાજ્યની 11 લાખ ગંગાસ્વરૂપા બહેનોને પ્રતિ માસ અપાતી રૂ.૧૨૫૦ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવતા યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો આપવાનો નિર્ણય લાભ કરાયો, વાર્ષિક ૪.૫૦ લાખ આવક ધરાવતા રાજ્યના અનેક પરિવારના યુવાનોને આ યોજનાનો લાભ મળશે. નવી બાયોટેકનોલોજી પોલિસી અમલી બનાવી છે. આઈ.ટી. ક્ષેત્રે રોજગારીની નવી તકો સર્જાવા અને મૂડીરોકાણ આકર્ષવા આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી બનાવી છે. વર્ષ-2022થી વર્ષ-2027 માટે નવી રમતગમત નીતિ જાહેર કરી છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપવા માટે ૫૦ જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીથી શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીને તૈયાર કરાશે. 5 લાખ યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ છે.

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની આગવી સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪.૯૧ કરોડથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૪.૭૫ કરોડથી વધુ લોકોને દ્વિતીય ડોઝ આપવામાં આવ્યો છે. બાળકોમાં સંસ્કાર સિંચનને પ્રાધાન્ય આપવા શિક્ષણમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ, Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું. જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આર્થિક સહાય આપે છે. રાજ્યમાં નલ સે જલની ૯૩ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કચ્છની વર્ષો જૂની માંગણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વીકાર કર્યો છે. હવે કચ્છને નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફિટ પાણી ઉપલબ્ધ બનશે. તેમજ આ કાર્ય માટે રૂ.૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઇ બંધ પરિક્ષેત્રને રૂ.200 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવાશે. આમ તેમની દ્રઢ નિર્ણાયકતાથી રાજ્યનો વિકાસ થયો છે.       
– પુલક ત્રિવેદી

Most Popular

To Top