Latest News

More Posts

1992માં બાબરી ઢાંચો એટલા માટે તૂટ્યો કારણકે આખા દેશની લાગણી એવી હતી કે અયોધ્યામાં જ શ્રીરામલલ્લા બીરાજમાન થાય. આ એક આસ્થાનો પ્રશ્ન છે અને તેના પર આઘાત થાય તે કોઇ સંજોગોમાં ચલાવી લેવાઇ નહીં. દેશ અને દુનિયાના હિન્દુઓની રામ ભગવાનમાં આસ્થા હોવાથી અહીં ચઢાવા માટે કોઇ જ કરકસર કરતું નથી. ભક્તો એવું માને છે કે, રામે જેટલું આપ્યું છે તેના કરતાં વધારે આપશે. પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે.

વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર બની ગયું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી અત્યાર સુધીમાં અયોધ્યામાં 13 કરોડ કરતાં વધારે શ્રદ્ધાળુઓ અને પર્યટકો પહોંચ્યા છે. મંદિરની વાર્ષિક આવક 700 કરોડ રૂપિયાની પાર પહોંચી છે. વાર્ષિક આવકની બાબતમાં રામ મંદિરે સુવર્ણ મંદિર, વૈષ્ણોદેવી અને શિરડી સાઈ મંદિરને પાછળના ક્રમે ખસેડી દીધા છે. શ્રદ્ધાળુઓના વધતા જતા પ્રવાહના કારણે રામ મંદિર હવે ધાર્મિક દાન મેળવનાર ભારતનાં ટોચનાં 10 મહત્ત્વપૂર્ણ મંદિરોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. રામમંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાનની રકમ આપે છે. આ ઉપરાંત, સાનો-ચાંદી પણ ચઢાવે છે.

એક અભ્યાસ અને અનુમાન અનુસાર, 2024-25માં આંધ્ર પ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિરની વાર્ષિક દાનની રકમ લગભગ 1,500થી 1,650 કરોડ રૂપિયા રહી, બીજા સ્થાને કેરળ તિરુવનંતપુરમનું શ્રી પદ્મનાભમ સ્વામી મંદિર છે, જેની વાર્ષિક દાનની રકમ લગભગ 750થી 850 કરોડ રૂપિયા છે. આ સુંદર સ્થિતિ વચ્ચે એક અઠવાડિયા પહેલા સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવે એક ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા પ્રસાદનો એક ભાગ ગુમ થઈ ગયો છે. તેમણે કહ્યું, ‘વિશ્વભરના ભગવાન રામના ભક્તો માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે કે રામ મંદિર માટે કરોડો રૂપિયાનું દાન ગાયબ થઈ ગયું છે.’

આ મંદિર ટ્રસ્ટ માટે ખૂબ જ શરમજનક પરિસ્થિતિ છે. કોઈ પણ સ્પષ્ટતા સાથે આગળ આવવા તૈયાર નથી.’ તેમણે ઉમેર્યું હતું કે ‘હું કોર્ટને વિનંતી કરું છું કે આ મામલામાં સ્વયં જાણકારી મેળવે કારણ કે આ સીધી રીતે ભગવાન રામમાં વૈશ્વિક સનાતની સમુદાયની ઊંડી શ્રદ્ધા સાથે જોડાયેલું છે.’ વધુમાં અખિલેશ યાદવે આ મુદ્દા પર યોગી આદિત્યનાથ સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું, ‘સરકારનું મૌન શંકાસ્પદ છે.’ તેમણે કહ્યું કે સરકાર કે ટ્રસ્ટે આ મામલે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી અને કોઈ સ્પષ્ટતા આપવા માટે આગળ આવ્યું નથી.

એક અખબારી અહેવાલ મુજબ, સપા સરકારમાં વન મંત્રી તરીકે સેવા આપનારા પવન પાંડેએ દાવો કર્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં દાનપેટીઓ અને પ્રસાદમાંથી ₹5 કરોડથી ₹7.50 કરોડની ચોરી થઈ છે. આરોપો સામે આવ્યા છે કે ભાજપના કાર્યકરો અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ આ મામલામાં સંડોવાયેલા છે. જ્યારે અખિલેશ યાદવે આ ગંભીર આક્ષેપ કર્યો ત્યારે તે સમાજવાદી પાર્ટીના હોવાથી અને યોગીના વિરોધી હોવાથી આવા આક્ષેપ કરી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, તેમની વાતમાં દમ છે.

અખિલેશના આક્ષેપના વિવાદ વચ્ચે મંદિર ટ્રસ્ટે શનિવારે સીએમ યોગી પાસે ચોરીના દાવાની તપાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા કરાવવાની માગ કરી. બીજી તરફ મંદિરના કર્મચારી લવકુશ મિશ્રા (27)ના ઘરેથી 10 લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે રૂપિયા છાણમાં છુપાવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક પૈસા બોક્સમાં પણ રાખ્યા હતા. જોકે, આ રૂપિયા કોના છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. લવકુશના પિતાએ પણ રૂપિયા મળ્યાની પુષ્ટિ કરી છે.

સૂત્રો અનુસાર, લવકુશ મંદિરમાં ચઢાવાની રકમ ગણવાનું કામ કરતો હતો. લવકુશની નોકરી તેના સસરાએ લગાડી હતી. લવકુશનો સાળો અનુકલ્પ મિશ્રા પહેલાથી મંદિરમાં નોકરી કરી રહ્યો હતો. સૂત્રો અનુસાર, અનુકલ્પ અને લવકુશ બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ રૂપિયા મળતા રામ મંદિરની દેખરેખ કરનારા સરકારી ટ્રસ્ટ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા કથિત ચોરી અંગે સીધું જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ને SIT તપાસ કરાવવાની વિનંતી કરી છે. ટ્રસ્ટે મુખ્યમંત્રી સમક્ષ ત્રણ માંગ કરી છે.

વિશેષ તપાસ દળ (SIT) દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરાવવામાં આવે. ઊંડાણપૂર્વક અને કોઈના દબાણ વખત તપાસ થઈ શકે તે માટે SITની વિશેષ ટીમ હોવી જોઈએ. આ મામલાની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થઈ જોઈએ, જે કોઈની પણ તરફેણ વગર અને કોઈના દબાણ વગર થવી જોઈએ. જે દોષિત મળી આવે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ટ્રસ્ટે સ્પષ્ટ કહ્યું કે, દોષિતોને છોડવામાં નહીં આવે. જણાવી દઇએ કે, 1526માં બાબર ભારત આવ્યો તેના થોડા સમય બાદ બાબરે રામ મંદિર તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો.

1528 માં, મીર બાકીએ મંદિરનો નાશ કર્યો હતો જેને હિન્દુઓ ભગવાન રામના જન્મસ્થળ તરીકે પૂજતા હતા. બાબરે આ જગ્યાએ બાબરી મસ્જિદ બનાવી હતી. રસ્તાઓથી લઈને કોર્ટ સુધીના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થયો. આ પછી એટલું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે કે તેને જોવા માટે દુનિયાભરમાંથી રામ ભક્તો અયોધ્યા આવી પહોંચ્યા છે. અયોધ્યાના રામ મંદિરમાં કુલ 392 સ્તંભ છે. ત્રણ માળના આ મંદિરમાં 44 દરવાજા છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે. મંદિર પરિસર પણ ઘણું મોટું છે.

રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનેલું છે. મંદિરની પૂર્વથી પશ્ચિમ લંબાઈ 380 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે. આ મંદિર અત્યારે જે શાનથી બન્યું છે તેમાં માત્ર ઇંટ પથ્થર નથી પણ લોકોની આસ્થા અને લોકોનું લોહી પણ વહ્યું છે. આ મંદિરમાં ચોરી થાય તો તે સમગ્ર દુનિયાના હિન્દુ સમાજ માટે કુઠરાઘાત છે. આ મંદિરમાં જે લોકો ચોરી કરે છે તેઓ બાબર કરતા પણ વધારે ક્રુર છે તેવું કહીએ તો પણ ખોટું નથી એટલે આવા તત્વોને તાત્કાલિક અસરથી હાંકી કાઠવા જોઇએ

To Top