Latest News

More Posts

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી રાજ્યમાં રાજકીય ચર્ચાઓ અને અટકળો તેજ બની ગઈ છે. રાજ્યપાલે દિલ્હીમાં રહેતાં લોક ભવનમાંથી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઝડપથી ફેલાયા હતા અને રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. રાજ્યપાલના અચાનક રાજીનામા પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યપાલ પર રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી. વી. આનંદ બોઝના અચાનક રાજીનામાના સમાચારથી હું આઘાત પામી છું અને ખૂબ જ ચિંતિત છું. તેમના રાજીનામા પાછળના કારણો મને હાલમાં ખબર નથી. જોકે, પ્રવર્તમાન પરિસ્થિતિઓને જોતાં, આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ રાજ્યપાલ પર કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી ચોક્કસ રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તો મને આશ્ચર્ય થશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રીએ મને હમણાં જ જાણ કરી કે શ્રી આર. એન. રવિને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે આ સંદર્ભમાં સ્થાપિત પરંપરા મુજબ ક્યારેય મારી સાથે સલાહ લીધી નથી. આવા કાર્યો ભારતના બંધારણની ભાવનાને નબળી પાડે છે અને આપણા સંઘીય માળખાના પાયા પર પ્રહાર કરે છે. કેન્દ્રએ સહકારી સંઘવાદના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને લોકશાહી પરંપરાઓ અને રાજ્યોની ગરિમાને નુકસાન પહોંચાડતા એકપક્ષીય નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ.

ડૉ. સીવી આનંદ બોસને 17 નવેમ્બર, 2022ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 5 માર્ચે એટલે કે આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક વપરાશકર્તાઓએ ચૂંટણી પહેલા રાજ્યપાલના રાજીનામાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. આનંદ બોસનો કાર્યકાળ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર સાથે અનેક મુદ્દાઓ પર મતભેદ રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂક, કાયદો અને વ્યવસ્થા તેમ જ અન્ય કેટલાક વહીવટી મુદ્દાઓ પર રાજ્યપાલ અને મમતા બેનર્જી સરકાર વચ્ચે વારંવાર ટકરાવ જોવા મળ્યો હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજ્યપાલનું આ રાજીનામું બંગાળના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે, કારણ કે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યપાલની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાય છે. હાલમાં આ મામલે રાષ્ટ્રપતિ ભવન કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા વિગતવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે રાજ્યપાલના આ અચાનક પગલાએ બંગાળની રાજનીતિમાં નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

To Top