Comments

સરળ રીતે ઈચ્છામૃત્યુની મંજૂરી મળે તે જરૂરી પણ સાથે દુરૂપયોગ નહી થાય તે પણ જોવાનું રહે

ભારતના બંધારણમાં નાગરિકને જીવવાના અધિકારો આપવામાં આવ્યા છે પરંતુ જો કોઈએ ઈચ્છામૃત્યુ સ્વીકારવું હોય તો? આ માટે બંધારણમાં કોઈ જ ખુલાસો નથી. આમ તો જે રીતે સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે તેવી જ રીતે સન્માનપૂર્વક મરવાનો પણ અધિકાર હોવો જોઈએ. પરંતુ આ અધિકારના ઉપયોગ કરતાં દૂરૂપયોગ થવાની ભારે સંભાવના છે. આ કારણે જ આ અધિકાર સીધો આપી દેવાય તેમ નથી. આ અંગે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન કરવામાં આવી હતી. જે લોકો ગંભીર રીતે બીમાર હોય અને પોતાનું વીલ પણ બનાવી ચૂક્યા હોય તો તેમને ઈચ્છામૃત્યુનો અધિકારી મળવો જોઈએ. આ અંગે સુપ્રીમ કોર્ટએ સુનાવણી શરૂ કરી છે અને હવે ઈચ્છામૃત્યુના નિયમોમાં સુધારા કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. જોકે, ઈચ્છામૃત્યુનો અધિકાર સરળ બનશે તો પણ તેમાં અનેક મંજૂરીઓ જરૂરી જ રહેશે.

અગાઉ 2018માં સુપ્રીમ કોર્ટએ ઈચ્છામૃત્યુ માટે ચૂકાદો આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોઈપણ પુખ્યવયની વ્યક્તિ તેનું લિવિંગ વિલ બનાવી શકે છે. આ વિલ પર પ્રમાણિક સાક્ષીની હાજરીમાં સહી કરવી પડશે અને તે પછી સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ જ તેને મંજૂરી આપી શકે છે. જો કોઈ દર્દીનું મૃત્યુ થઈ રહ્યું હોય અને લાંબી સારવાર પછી પણતેમાં કોઈ સુધારો જોવા મળતો નહી હોય તો નિષ્ણાંત ડોકટરોનું એક બોર્ડ બનાવવામાં આવે છે. આ બોર્ડમાં મેડિસિન, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, સાયકિયાર્ટી અને અન્ય ડોકટરોનો સમાવેશ કરવામાં આવે છે.

દર્દીના પરિવાર દ્વારા કરાયેલી ઈચ્છામૃત્યુની વિનંતીને પગલે બોર્ડ બનાવવામાં આવે છે. બોર્ડ દ્વારા જે મેડિકલ પ્રમાણપત્રો તૈયાર કરવામાં આવે છે તેના આધારે કલેકટર દ્વારા અન્ય બોર્ડ બનાવવામાં આવે છે અને આ બોર્ડની મંજૂરી બાદ જ કલેકટર દ્વારા ઈચ્છામૃત્યુની મંજૂરીનો નિર્ણય કરવામાં આવશે. આમાં એક જોગવાઈ એવી પણ છે કે જો હોસ્પિટલનું બોર્ડ સારવાર બંધ કરવા માટેની મંજૂરી નહીં આપે તો તેના પરિવારજનો હાઈકોર્ટમાં પણ જઈ શકે છે. બાદમાં હાઈકોર્ટ મેડિકલ બોર્ડ બનાવીને તેની પર નિર્ણય લઈ શકે છે.

હાલની આ પ્રક્રિયા સામે જ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. પિટિશનકર્તાના વકીલો દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, જે ત્રણ તબક્કા ઈચ્છામૃત્યુની મંજૂરી માટે બનાવવામાં આવ્યા છે તે તબક્કા સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદાને જ રદ્દ કરે છે. અત્યાર સુધીમાં એકપણ ઈચ્છામૃત્યુ ઈચ્છતી વ્યક્તિ આ પ્રક્રિયા પુરી કરવામાં સફળ થઈ શકી નથી. આ દલીલો પર સુપ્રીમ કોર્ટએ પણ એવું કહ્યું હતું કે,  જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા મૃત્યુના અધિકારીને પણ મૂળભૂત અધિકાર તરીકે જ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ અધિકારી જટિલ હોવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા 2018ના ચુકાદામાં સંશોધન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચએ એ પણ કહ્યું કે, હાલની માર્ગદર્શિકા બોજારૂપ છે. જેથી તેને સરળ બનાવવાની જરૂરીયાત છે. પરંતુ તેનો દુરૂપયોગ થવો જોઈએ નહીં. જે રીતે સુપ્રીમ કોર્ટની બેન્ચ આ ચુકાદામાં ફેરવિચારણા માટે સંમત થઈ છે તેણે બતાવી આપ્યું છે કે ઈચ્છામૃત્યુની મંજૂરી માટેની પ્રક્રિયામાં સરળતા જરૂરથી આવશે.

એક વાત ચોક્કસ છે કે જે તે વ્યક્તિને જીવવાની સાથે મરવાનો પણ અધિકાર હોવો જ જોઈએ. હા, તે ખાતરી કરવી જરૂરી છે કે તેનું ઈચ્છામૃત્યુ કયા સંજોગો પર આધારીત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા યોગ્ય વલણ જ લેવામાં આવ્યું છે પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા ઈચ્છામૃત્યુના સંદર્ભમાં નવી કયા પ્રકારની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે તે જોવી જરૂરી છે. સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ અધિકારના ઉપયોગની મંજૂરીમાં કોઈ ખોટા કારણો તો રજૂ કરવામાં આવ્યા નથી ને. જો આમ થશે તો જ સુપ્રીમ કોર્ટનો ઈચ્છામૃત્યુની મંજૂરી બાબતનો આશય સાચો ઠરશે તે નક્કી છે.

Most Popular

To Top