Comments

ગુજરાતના વિકાસનો એજંડા રોજગારી સંભાવના લઈને આવે છે

વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું કૃષિ-ઉત્પાદન એરંડામાં પ્રથમ સ્થાને, શેરડી અને ડાંગરમાં ઉત્પાદનમાં બીજા ક્રમે, ડુંગળીમાં ત્રીજા સ્થાને, ઘઉં અને કપાસમાં અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. જ્યારે બટાકાના ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે રહે છે. દેશમાં આજે ૮ હજાર ગણનાપાત્ર કૃષિ વિજ્ઞાનીઓના પ્રદાનથી આજે ભારત દુનિયાની કુલ ખેતપેદાશોમાં ૪.૫૭ ટકાનો હિસ્સો જોડી શકયું છે. કૃષિ ક્ષેત્રે ઉપલબ્ધ સાધનોના મહત્તમ અને અસરકારક ઉપયોગના આધારે વિકસેલ હરિયાળી ક્રાંતિમાં જમીન, પાણી, બિયારણ, ખાતર ને પાક સંરક્ષણ અંગેના વ્યવસ્થાપન તરફ વિશેષ કાળજી રાખવામાં આવેલ. પરિણામે આજે વસ્તીવધારાના દર કરતાં વધુ ઊંચા દરે કૃષિ- ઉત્પાદનનો આંક પહોંચી શકયો છે, જે પોતાનામાં મહાન ઉપલબ્ધિ અને આશાસ્પદ બાબત છે.

પરંતુ છેલ્લા ત્રણેક દાયકાઓમાં ખેતી સાથે જોડાયેલી જમીન, આબોહવા, રોગ જેવાં કેટલાંક પારંપરિક પરિમાણો સદંતર રીતે બદલાયાં છે. વૈશ્વિક બજારમાં ન્યૂ વર્લ્ડ ટ્રિટી હેઠળ ૧૭૫ રાષ્ટ્રોએ મુકત વેપારની સમજૂતી કરી છે. યુરોપિયન ઇકોનોમિક કાઉન્સિલે ૭૦૦ મિલિયન ડૉલરના ખેતવ્યવસાયનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંનો ૧૨.૫ ટકા હિસ્સો ભારતમાંથી મળે તેવી જોગવાઈ મૂકી છે. ત્યારે દેશને હરિયાળી ક્રાંતિના બીજા ફલકમાં જવા માટે બળ મળ્યું છે.

આ સ્થિતિમાં દેશની ૭૫ ટકા કરતાં વધુ વસ્તી જે કૃષિઉદ્યોગમાં રોજગારી મેળવે છે તે વ્યવસાયમાંથી મહત્તમ ફાયદો લેવા માટે હવે જૈવિક વિજ્ઞાન અને તકનીકને આધાર બનાવવાની આવશ્યકતા જણાય છે. કૃષિ ક્ષેત્રે વિકાસના ફલકમાં વધુ વળતર ઉમેરી શકતાં પરિબળો જેવાં કે જળવ્યવસ્થા, બાયો-ટેકનોલૉજી, નૈસર્ગિક ઊર્જા, દરિયાઈ સંપદા, પશુપાલન, વેલ્યૂએડેડ ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત રિસોર્સ મેનેજમેન્ટ અને નૈસર્ગિક સંતુલન આયોજનને લગતી બાબતોનો સમાવેશ ખેતી આનુષંગિક પ્રવૃત્તિ સ્વરૂપે કરી શકાય.

આવો એક પ્રયોગ ટેકનોલૉજી મિશને હાથપર લીધો. પરંતુ ભારત જેવા વિશાળ રાષ્ટ્રમાં પેયજળ,ઓઇલસીડ, સંચાર કે ડેરીલક્ષી વ્યવસ્થા દ્વારા સમગ્ર ફલક આવરી લેવાનું સ્વપ્ન હોઈ સેમ પિત્રોડા જેવા ગુજરાતી વિજ્ઞાનીની ખ્વાહિશ અધૂરી રહી ગઈ છે. પરંતુ હવે વિશ્વનો આર્થિક માહોલ ઉત્સાહપ્રેરક છે અને આપણા કૃષિ વિજ્ઞાનીઓએ પરિણામો હાંસલ કરી વધુ સજ્જ પર્યાય આપ્યો છે ત્યારે હરિયાળી ક્રાંતિના ત્રીજા તબક્કામાં હિંમતભેર ઝુકાવવામાં ગુજરાતે પાછી પાની ન કરવી જોઈએ. સ્વર્ણિમ ગુજરાતના વિકાસ માટે કૃષિ ક્ષેત્રનાં પારંપરિક પરિબળોને વિજ્ઞાન અને ટેકનોલૉજીના માધ્યમથી જોવાનાં રહે છે, જેમ કે,

પાણીઃ એક તંદુરસ્ત માણસને દિવસભરમાં સરેરાશ ૨૦ ગૅલન પાણીની આવશ્યકતા રહે છે. પરંતુ કમનસીબે ગુજરાતનાં ૧૮૦૦ ગામડાંઓમાં આજે સરેરાશ ૩ ગૅલન કરતાં વધુ પાણી પહોંચાડી શકાતું નથી અને ૨૦૫૦ની સાલમાં તો પાણી જ પ્રાણ આયોજન બનશે. આ માટે પીવા માટે પાણી, અનાજ ઉત્પાદન માટે, તેમજ ઔદ્યોગિક વિકાસ માટે પાણીનો ઍજન્ડા તૈયાર કરવો પડશે. નર્મદા યોજના વૉટર ગ્રીડને વિકેન્દ્રિત ધોરણે વૉટર રિચાર્જિંગના કાર્યક્રમો આગળ ધપાવવા પડશે, શહેરોમાં અને ઉદ્યોગોમાં વપરાતા પાણીને રિસાઇકલ કરવું પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વૉટર ડીસેલિનેશન પ્લાન્ટ વિકસાવવા, ખેતી માટે ડ્રિપ ઇરિગેશન, પાણીના અસરકારી ઉપયોગ માટે પ્રવાહી ખાતર અને ભેજસંગ્રહ માટે હાઇડ્રોજેલના ઉપયોગ માટે કાર્યરત થવું પડશે.

આ આયોજનના પરિણામે ગુજરાતની પડતર જમીનને ઉપજાઉ કરી શકાશે તેમજ દરિયાકિનારાથી આગળ વધતી ખારાશ અટકશે અને ગામડાંમાં બેસીને યુવાનો રોજગારી મેળવતા થશે. વિકાસના ઍજન્ડાનો બીજો વિસ્તાર છે બાયોટેકનોલોજી. નીચું ઉષ્ણતામાન અને નીચા દાબે તૈયાર થતાં પ્રાકૃતિક સ્રોતો આધારિત જૈવિક ઉત્પાદનો જે પર્યાવરણને મિત્ર ભાવે સ્વીકારે છે. જમીન અને પાણીનું પ્રાકૃતિક સંતુલન જાળવી વધુ નફો આપતી પદ્ધતિઓને આપણે હવે પ્રચલિત કરવી પડશે. જેમ કે બાયો પેસ્ટિસાઇડ, બાયોફેજીસાઇટ, ટિશ્યુ કલ્ચર, આર્ટિફિશ્યલ કલ્ચર સીડ્સ, જૈવિક ખાતર, માઇક્રોબ કલ્ચર, વૃક્ષ વિકાસનાં હોર્મોન્સ.

સ્વચ્છ ઊર્જાનો ખ્યાલ ગુજરાતના ઍજન્ડા ઉપર અગ્રતાક્રમે રાખવો પડશે. નૈસર્ગિક ઊર્જાના વ્યાપક ઉપયોગની ગુંજાઇશ ઊભી કરવા માટે લિગ્નાઈટનો ઉપયોગ વધારવો પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વિન્ડફાર્મ ઊભાં કરવાં પડશે. સૂર્ય-ઊર્જાનો મહત્તમ ઉપયોગ પણ જરૂરી બને છે. ઊર્જાના નૈસર્ગિક ઉપયોગને વધુ અસરકારી બનાવવાના પ્રયત્નથી પેટ્રોલ કે આલ્કોહોલ જેવા પારંપારિક ઊર્જાસ્રોત ઉપરનું દબાણ ઘટાડી શકાશે એટલું જ નહીં પણ ઑઝોન લેયરની સ્થિતિ સુધરતાં નવી પેઢીના લોકોના આરોગ્ય અને આયુષ્યમાં નોંધપાત્ર ફેરફાર થવાની આશા છે.

ગુજરાતના કાંઠા વિસ્તારમાં દરિયાઈ સંપદા વિકાસની પ્રચંડ શક્યતાઓ રાહ જોઈને ઊભી છે. આવતા દાયકામાં ગુજરાતના કાંઠા પર દરિયાઈ ખેતી, મત્સ્ય-ઉદ્યોગ, મીઠાનું ઉત્પાદન, દરિયાઈ શેવાળમાંથી ખાતર, બ્રોમિન પ્રકારનાં રસાયણો મેળવવાં, મરિન ટેકનોલોજીનો વિસ્તાર, ટાઇડલ વેવ પાવર સ્ટેશન અને ગૅસ આધારિત વીજળી મથકોના વિકાસની ગુંજાઇશ અને રોજગારની અફાટ સંભાવનાઓ ઊભી કરે છે. ગુજરાત દૂધ-ઉત્પાદનમાં અગ્રસ્થાને રહ્યું છે. મહાજનોની આ ભૂમિમાં હિન્દુસ્તાનનાં તમામ રાજ્યો કરતાં વધુ પશુઓ જીવે છે. આથી ટેનરી, મટનટેલો, જિલેટીન, ફોસ્ફરસયુક્ત બાયોગૅસ અને ખાતર આધારિત ઊર્જા વિકાસમાં કાર્યક્રમો મિડલ લેવલ ટેકનોલોજીના સહકારે આશાસ્પદ બની શકશે.

કૃષિક્ષેત્રના પારંપરિક સ્રોતોના મહત્તમ ઉપયોગ પછી મર્યાદિત જમીન પર વધતા ઉત્પાદનનો આંક સ્થિર થાય છે. આથી ખેત-ઉત્પાદનમાં પૂરક આવક આપી શકે તેવી વેલ્યૂઍટેડ ટેકનોલોજી જેવું અનિવાર્ય બને છે, જે નવી પેઢીની સુખાકારી માટે આશાસ્પદ બને છે. એરંડાનું તેલ, સ્ટાર્ચ, સેલ્યૂલોઝ, નીમકેક, જેવી વૈશ્વિક બજારમાં માંગ ધરાવતી ચીજો ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિગત જોઈએ તો, એરંડાનું તેલ હાલ કાચા સ્વરૂપમાં બજારમાં ૧ લીટરના રૂ.૧૭૦/- ના ભાવે વેચાય છે. પરંતુ તેમાંથી નાયલોન પોલિમર બનાવી શકાય તો ૧ કિલોના રૂ.૨૨૫૦ મળી શકે. તેમ એરંડામાંથી લૂબ્રીકંટ પર્ફ્યુમરી પ્લાસ્ટિક રેઝિન્સ મળી શકે છે. લીમડાનો ખોળ હાલ રૂ.૩૮ના ભાવે ૧ કિલો ઉપલબ્ધ છે, પરંતુ તેને બાયોપેસ્ટિસાઇડમાં પરિવર્તિત કરીએ તો ૧ કિલો નીમકેકના રૂ.૨૦૩ મળી શકે.

જ્યારે લીમડાના ખોળને ઔષધ ઉપયોગમાં ફેરવતાં ૧ કિલોના રૂ.૩૧૦૦ સુધી ભાવ ઉપજે છે. શેરડીનાં છોતરાંમાંથી મોટા પ્રમાણમાં આલ્કોહોલ મેળવી શકાય છે. એટલું જ નહીં પરંતુ ઝિક્રેલિક ઍસિડના ગુણધર્મ ધરાવતા ઉચ્ચ પ્રકારના પ્લાંટ હોર્મોન્સ મળી શકે છે, જેનો ભાવ ૨૫ ગ્રામનો રૂ. ૮,૦૦૦ સુધી પહોંચ્યો છે. બટાકા સ્ટાર્ચનું બીજું સ્વરૂપ છે, જેમાંથી સ્ટાર્ચ બેઇઝડ ડ્રગ્સ અને રસાયણો બને છે.

આ ઉપરાંત કપાસ, ઘઉં અને ડાંગરની પરાળમાંથી છૂટું પડતું સેલ્યુલોઝ, મેડિસિનલ પ્લાન્ટ તેમજ ફળ અને શાકભાજીની પેદાશોમાં થોડા પરિવર્તનથી આર્થિક લાભમાં મોટી છલાંગ લગાવી શકાય છે. વૈશ્વિક બજારમાં પ્રતિ વર્ષે ૧૦ મિલિયન ડૉલરના લાકડાની ખપત સરેરાશ દરે વધે છે, ત્યારે ટિશ્યુ કલ્ચરની મદદથી ઉત્તમ પ્રતિકારની મજબૂતી ધરાવતાં અને વધુ •યજ આપતાં વૃક્ષોના વાવેતર તરફ જઈ શકીએ. આ માટે ગુજરાત રાજ્યે રાજ્યમાં વસતા યુવાનોનાં વિકાસની સંભાવના સંબંધે ઝીણવટભરી વિચારણા કરવી ઘટે.

૨૧મી સદીના પ્રારંભે સમાજના નાનામાં નાના માણસના રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલૉજી વણાઈ રહ્યાં છે ત્યારે ભાવિ પેઢીને તનાવથી મુક્ત કરવા, તેના વિકાસને સુનિશ્ચિત કરવા કે પછી તેના જીવન સ્તરને ઊંચું લાવવા વિજ્ઞાન અને ટેકનોલૉજીનું નેતૃત્વ સ્વીકૃત કરવું રહ્યું. આ માટે સ્વર્ણિમ ગુજરાતને વધુ રોજગારી, સ્થિરતા અને ઊંચો વિકાસદર આપી શકનાર બાયોટેકનોલૉજીનો સ્વીકાર કરીએ, ગુજરાતના સંતુલિત વિકાસ માટે ઉદ્યોગ સાથે પાણી, ખેતઉત્પાદન, પર્યાવરણ અને દરિયાકાંઠાનો સમતોલ વિકાસ કરીએ તો વિક્રમ સારાભાઈનું સ્વર્ણિમ ગુજરાત દેશને નવો રાહ આપી શકશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top