Columns

દિલ્હી સરકારનો ૩.૨૧ કરોડ રૂપિયાનો કૃત્રિમ વરસાદનો પ્રયોગ કેમ નિષ્ફળ ગયો?

વાયુ-પ્રદૂષણનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાના હેતુથી મંગળવારે કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ૩.૨૧ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલો પ્રયાસ નિષ્ફળ ગયો છે. દિલ્હીમાં ક્લાઉડ સીડિંગનો આ પ્રયાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. સેસ્ના વિમાને IIT કાનપુર હવાઈ પટ્ટી અને પછી મેરઠ હવાઈ પટ્ટીથી ઉડાન ભરી અને દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ કર્યું હતું. આ વિમાનોએ ખેકરા, બુરારી, ઉત્તર કરોલ બાગ, મયુર વિહાર, સદકપુર, ભોજપુર અને અન્ય વિસ્તારોમાં ક્લાઉડ સીડિંગ માટે હાઇગ્રોસ્કોપિક મીઠાની જ્વાળાઓ છોડી હતી.

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ આ પ્રયાસોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે વિવિધ ભેજની સ્થિતિમાં વરસાદની સંભાવના અંગે માહિતી એકત્રિત કરવા માટે પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા પણ વાતાવરણીય ભેજ વરસાદ માટે જરૂરી કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો. સિરસાએ તેને શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુધારવા તરફનું વિજ્ઞાન આધારિત પગલું ગણાવ્યું છે. દિલ્હીમાં શિયાળાની ઋતુ દરમિયાન ધુમ્મસને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે. દિલ્હી સરકાર ભવિષ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ફરી પ્રયોગ કરવાનો ઇરાદો ધરાવે છે. જો આ પ્રયોગો સફળ થશે, તો તેનો અમલ ફેબ્રુઆરી સુધીમાં કરવામાં આવશે.

આ પ્રયોગો નિષ્ફળ જવા પાછળ વાતાવરણમાં ભેજનો અભાવ કારણભૂત ગણાવાઈ રહ્યો છે. જો કે, દિલ્હી સરકારે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે જે વિસ્તારોમાં ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું ત્યાં નાના કણો (પ્રદૂષિત તત્ત્વો) માં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ૨૮ ઓક્ટોબરના CPCB (કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ના વાસ્તવિક સમયના ડેટા અનુસાર તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર મણીન્દ્ર અગ્રવાલે કહ્યું કે જો વરસાદને સફળતાનું માપ માનવામાં આવે છે તો દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ લાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્લાઉડ સીડિંગ કરવાનો અને કૃત્રિમ વરસાદ પ્રેરિત કરવાનો ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલ કહે છે કે પ્રદૂષણ નિયંત્રણના હેતુ માટે ક્લાઉડ સીડિંગનો આ પહેલો સ્થાનિક પ્રયાસ હતો. આ પહેલાં દુષ્કાળ નિયંત્રણ માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવતું હતું; પરંતુ પછી એક ખાનગી કંપનીએ તેનો કોન્ટ્રાક્ટ લીધો હતો અને દેશની બહારથી સાધનો મેળવવામાં આવ્યાં હતાં. આનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે ગઈ કાલે દિલ્હીમાં વાદળોમાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને તેના કારણે ક્લાઉડ સીડિંગનાં પરિણામો અપેક્ષા મુજબ નહોતાં. અમે નજીકના ભવિષ્યમાં અમારા પ્રયાસો ચાલુ રાખીશું. અમારે બુધવારે પણ ક્લાઉડ સીડિંગ કરવાનું હતું, પરંતુ આજે પણ વાદળોમાં ભેજ ગઈ કાલ કરતાં ઓછો હતો. જો ભવિષ્યમાં અમને હવામાં સારો ભેજ જોવા મળશે, તો અમે ચોક્કસપણે આ પ્રયોગ ફરીથી કરીશું.

વરસાદના અભાવ અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા માટે ક્લાઉડ સીડિંગની ટેકનિક દ્વારા વૈજ્ઞાનિક હસ્તક્ષેપ દ્વારા કૃત્રિમ વરસાદ લાવવામાં આવે છે. ક્લાઉડ સીડિંગ માટે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને મીઠા જેવા પદાર્થોના ખૂબ જ સૂક્ષ્મ કણો વાતાવરણમાં છોડવામાં આવે છે. પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલ કહે છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, આ એક સરળ પ્રક્રિયા છે. અમે વાદળોમાં મીઠાનું ખૂબ જ બારીક મિશ્રણ છાંટીએ છીએ. જો વાદળોમાં પૂરતો ભેજ હોય, તો ઘનીકરણ થાય છે અને જો પૂરતો ભેજ હોય, તો વરસાદ પડે છે. IIT કાનપુર છેલ્લાં સાત-આઠ વર્ષથી ક્લાઉડ સીડિંગ પર સંશોધન કરી રહ્યું છે. પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ, ટીમમાં લગભગ દસ લોકોનો સમાવેશ થાય છે. પ્રોફેસર અગ્રવાલે માહિતી આપી હતી કે દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ માટે દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

ચીન ક્લાઉડ સીડિંગના ક્ષેત્રમાં અગ્રેસર છે અને હવે આ હેતુ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ કામ લાખો ચોરસ કિલોમીટરમાં કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે સંયુક્ત આરબ અમીરાતના રણ વિસ્તારોમાં પણ ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. અમેરિકાનાં દુષ્કાળગ્રસ્ત રાજ્યોમાં કૃષિ હેતુઓ માટે ક્લાઉડ સીડીંગ પણ મોટા પાયે કરવામાં આવે છે. ક્યારેક, જંગલની આગ ઓલવવા માટે વાદળોનાં બીજ દ્વારા પણ વરસાદ પાડવામાં આવે છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં જમીનને ઉજ્જડ બનતી અટકાવવા માટે ક્લાઉડ સીડિંગ શરૂ કર્યું છે. ચીનમાં સરકાર દ્વારા સંચાલિત આબોહવા પરિવર્તન કાર્યક્રમ ચાલી રહ્યો છે.

ચીને ૨૦૨૫ સુધીમાં ૫૫ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું હતું. જો કે, આ લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી. આ માટે ચીન મોટા પાયે ડ્રોન, વિમાન, કૃત્રિમ બુદ્ધિ અને આયોડાઇડ જેવાં રસાયણોનો ઉપયોગ કરે છે. ચીનના કાર્યક્રમનો ઉદ્દેશ દુષ્કાળ દૂર કરવાનો, કૃષિ ઉત્પાદકતા વધારવાનો અને પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. તે વિવિધ જાહેર અને મુખ્ય ઘટનાઓ દરમિયાન કૃત્રિમ વરસાદ પાડવા માટે હવામાન નિયંત્રણનો પણ ઉપયોગ કરે છે.

ચીન ૧૯૫૦ના દાયકાથી આ દિશામાં પ્રયાસો કરી રહ્યું છે. ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિક દરમિયાન ચીને શહેરની હવાને શુદ્ધ કરવા માટે ક્લાઉડ સીડિંગનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. દુષ્કાળગ્રસ્ત ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા માટે પણ તેનો ઉપયોગ કર્યો હતો. ચીને તાજેતરનાં વર્ષોમાં આ પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યા છે, જેમાં ૨૦૨૫ માં ક્લાઉડ સીડિંગમાં પાછલા વર્ષની તુલનામાં ૨૦ ટકાનો વધારો થયો છે. ક્લાઉડ સીડિંગ અંગે ચિંતાઓ હોવા છતાં ચીને આ ક્ષેત્રમાં ભારે રોકાણ કર્યું છે. હાલમાં તેની પાસે સૌથી મોટો અને સૌથી વિકસિત હવામાન હસ્તક્ષેપ કાર્યક્રમ છે.

ઇઝરાયલે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા અને દુષ્કાળનો સામનો કરવા માટે મોટા પાયે પ્રયાસો પણ કર્યા છે. જો કે, ઇઝરાયલે ૧૯૬૦ ના દાયકાથી આ ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ દેશમાં પ્રથમ મોટો ક્લાઉડ સીડિંગ પ્રોગ્રામ ૨૦૧૪ માં શરૂ થયો હતો. ઇઝરાયલે આ પ્રયોગ સાત વર્ષ સુધી એટલે કે ૨૦૨૧ સુધી કર્યો અને પછી પ્રોત્સાહક પરિણામો ન મળતાં આ વર્ષે તેને સ્થગિત કરી દીધો હતો. આ પ્રયોગો દરમિયાન ઇઝરાયલે માત્ર વિમાનોમાંથી જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ સ્ટેશનોમાંથી પણ રસાયણો હવામાં છોડ્યાં હતાં. આ પ્રયાસો છતાં વરસાદમાં કોઈ વધારો થયો નથી. કૃત્રિમ વરસાદ કાર્યક્રમ ખર્ચને પહોંચી વળવા માટે પૂરતો ન હતો. સંશોધનમાં જાણવા મળ્યું કે તે ખૂબ ખર્ચાળ હતું અને તેને બંધ કરવામાં આવ્યું છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ બપોરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે ક્લાઉડ સીડિંગમાં આઠ જ્વાળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જ્વાળાનું વજન બે થી અઢી કિલોગ્રામ હોય છે અને તે બે થી અઢી મિનિટ સુધી ચાલે છે. આ જ્વાળાઓ દ્વારા વાદળોમાં રસાયણોનું મિશ્રણ છોડવામાં આવ્યું હતું. IIT કાનપુરના જણાવ્યા અનુસાર તેમાં ૧૫ થી ૨૦ ટકા ભેજ હતો. કાનપુરથી દિલ્હી પહોંચવામાં અને સમગ્ર પ્રક્રિયામાં લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો હતો અને હવે વિમાન મેરઠ પહોંચી ગયું છે. આ ટ્રાયલનો બીજો અને ત્રીજો તબક્કો પણ આજથી આ વિમાનથી શરૂ થવાની સંભાવના છે.

આમ આદમી પાર્ટીએ દિલ્હી સરકારની ક્લાઉડ સીડિંગ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે ભાજપ સરકાર અને તેના મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ કરીને ભગવાન ઇન્દ્રના કાર્યનું પણ શ્રેય લેશે. છઠના દિવસે, હળવો વરસાદ પડ્યો હતો. અખબારોમાં લખ્યું હતું કે સરકાર આજે કૃત્રિમ વરસાદનો પાયલોટ કાર્યક્રમ ચલાવી શકે છે. ભગવાન ઇન્દ્ર વરસાદ કરાવશે અને મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરશે અને કહેશે કે તેમણે વરસાદ એટલા માટે પાડ્યો કારણ કે ભગવાન ઇન્દ્ર તેના વિશે કહેવા નહીં આવે. હવે આ સરકાર ભગવાન ઇન્દ્રના કાર્યનું શ્રેય પણ લઈ શકે છે કારણ કે કોન્ટ્રાક્ટરને પણ વરસાદ માટે પૈસા ચૂકવવા પડે છે. હવે તમારી પાસે કયું સાધન, મંત્ર અને તંત્ર છે જે કહી શકે કે આ વરસાદ કોણ કરાવી રહ્યું છે?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top