મંગળવારે સવારે અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં બે સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ. આ વિવાદ જૂની દુશ્મનાવટને કારણે થયો હતો અને બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટને કારણે બે જુથમાં પથ્થરમારો થયો હોવાનું કહેવાય છે. પોલીસે 42 લોકોની અટકાયત કરી છે. ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર ગામમાં રહેતા યુવાનોના બે જૂથો ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને લડી રહ્યા છે. સોમવારે એક જૂથના એક યુવાનને બીજા જૂથે માર માર્યો હતો. આ પછી બંને પક્ષના ડઝનબંધ લોકો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના લોકોની સંખ્યા ઝડપથી વધી ગઈ અને ભારે પથ્થરમારો શરૂ થયો હતો. સોમવાર રાત્રિના પથ્થરમારાની ઘટના બાદ મામલો શાંત પડ્યો હતો.
મંગળવારે સવારે કોઈ મુદ્દાને લઈને બંને જૂથો વચ્ચે ફરી વિવાદ ફાટી નીકળ્યો અને પથ્થરમારો ફરી શરૂ થયો. બંને જૂથો આમને સામને આવી જતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ તૂટી ગયા હતા અને રસ્તાઓ પર ઈંટોના ટુકડાઓનો વિખેરાયેલા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા SP અને DySP સહિતનો મોટો પોલીસ કાફલો ગામમાં પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ગામમાં હાલમાં શાંતિ છે. પોલીસ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. બંને પક્ષો દ્વારા ફરિયાદો દાખલ કરવામાં આવી છે.