Charchapatra

શું પૂર્વ/પુન:જન્મ છે ?

પૂર્વ/પૂન: જન્મ અંગે અવઢવમાં રહેવા જેવું નથી. અંધશ્રધ્ધામાં રાચવું નહીં, કશું જ નથી. ભસ્મીભૂત થયેલાં દેહનો પુનર્જન્મ શી રીતે થાય ? તેમાં પૂર્વજન્મમાં થયેલી દેહની નિશાનીઓ પુવર્જન્મમાં દેખાય છે એ વાત મિથ્યા છે. પૂર્વજન્મનાં પુરાવા અદ્યાપી મળ્યા નથી, કથિત રીતે ઉપજાવી કાઢવામાં આવે છે. બાળકો કે અમુક વયસ્કોમાં અજ્ઞાત મનમાં રહેલા ભય, આભાસ, મોહ વિ. લાગણીઓની સ્મૃતિઓને પુવર્જન્મમાં ખપાવાય છે.

ઘણીવાર એની વિધિસર તપાસ થઈ શકતી નથી. એવી જ રીતે કોઈ વૈજ્ઞાનિક વ્યકિત કે સમૂહ-સંસ્થા એ પુરવાર કરી શકી નથી. જેથી મહદંશે આવા કથિત સંશોધનો પોકળ સાબિત થયા છે. વૈજ્ઞાનિકો પણ અવૈજ્ઞાનિક વલણવશ ધર્મ/ઈશ્વર વિષયક માન્યતાઓ પર (અંધ) શ્રધ્ધા રાખતા હોય છે, તેથી એમનાં સંશોધનો પણ પૂર્વગ્રહિત હોવાની સંભાવના રહે છે. પૂર્વ/પુર: જન્મની માન્યતાઓની પાછળ-પાછળ સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય, ભૂત-પ્રેતાદિની માન્યતાઓ પણ માનવી પડે. જે માણસોને ભીરૂ, અંધશ્રધ્ધાળુ, પ્રારબ્ધ નહી બનાવી વિવેકહીન બનાવે છે. જે રાષ્ટ્ર અને માનવી મંત્રના વિકાસનાં બાધક બને છે.

દરેક ધર્મ, ધર્મગ્રંથ, ધર્મગુરૂ, ધર્મસ્થાન આવી વાતો પર પેટિયું રળતા હોય છે. જેમાં આમ માનવીનું તન-મન-ઘનથી નર્યુ શોષણ થાય છે. આવા અનેક દાખલાઓ છાશવારે મળતા રહે છે.  વર્તમાન જીવનને આનંદ-પ્રચુર બનાવીએ કારણકે, જિંદગીના મિલેગી દોબારા ! યાવત્ જીવેત્ સુખં જીવેત્, (અંધ) શ્રધ્ધાની જટાજૂટ જંજાળમાં પડવા જેવું નથી ! ભર્તૃહરિ કહે છે – વિવેક ભ્રષ્ટાનાં ભવતિ વિનિપાત: શતમુષ: આપણે હવે સુધરવાનો અભિગમ કેળવીશું ?! થોડા માં ઘણું સમજીએ.
વ્યારા,તાપી          – ડો. ગણેશ ખૈરે -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top