National

જો સરકાર આવો નિર્ણય લે તો પેટ્રોલના ભાવ ઘટશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી શકે છે. વધતી મોંઘવારી ઘટાડવા માટે સરકાર ઈંધણ પરના ટેક્સમાં ઘટાડો કરી શકે છે.

  • આ નિર્ણય ફેબ્રુઆરીના મોંઘવારીના આંકડા જાહેર થયા બાદ લેવામાં આવી શકે છે
  • છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતમાં ઘટાડો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોંઘવારી દર ઘટાડવા માટે ભારત સરકાર ઈંધણ અને કેટલીક અન્ય વસ્તુઓ પર ટેક્સ ઘટાડી શકે છે. જો સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણો ઘટાડો થઈ શકે છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, આ નિર્ણય ફેબ્રુઆરીના મોંઘવારીના આંકડા જાહેર થયા બાદ લેવામાં આવી શકે છે. ભારતનો વાર્ષિક રીટેલ મોંઘવારી દર 5.72 ટકાથી વધીને 6.52 ટકા થયો છે. સૂત્રોએ જણાવ્યું કે, સરકાર ઈંધણ પરનો ટેક્સ ફરી ઘટાડી શકે છે, તેની સાથે ઇમ્પોર્ટ ડ્યૂટી પણ ઘટાડી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન ઈંધણ કંપનીઓએ ઓછી આયાત કિંમતનો ભાર ગ્રાહકો પર નાખ્યો નથી, જે કંપનીઓ ભૂતકાળની ખોટને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડો થતાં જ પેટ્રોલ પંપને સીધો ફાયદો મળશે અને છૂટક ગ્રાહકોને સસ્તા ભાવે પેટ્રોલ-ડીઝલ મળી શકશે. તેમ જ મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતાઓ છે.

સરકારના ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાનો લાભ માત્ર પેટ્રોલ-ડીઝલના ગ્રાહકોને જ નહીં, પરંતુ અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરનારા ગ્રાહકોને પણ મળશે. જો મકાઈના ભાવમાં જોરદાર ઘટાડો થાય તો સોયા તેલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. આ સાથે દૂધના ભાવમાં પણ ઘટાડો થવાની આશંકા છે.

વાર્ષિક રીટેલ ફુગાવાનો દર જાન્યુઆરીમાં 6 ટકાથી વધુ રહ્યો છે, જે ડિસેમ્બરમાં 5.9 ટકા હતો. તાજેતરમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેટલાક નિષ્ણાતો માને છે કે, જો છૂટક ફુગાવો 6 ટકાથી વધુ રહેશે તો કેન્દ્રીય બેંક ફરી એક વાર વ્યાજદરમાં વધારો કરી શકે છે. મોંઘવારી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને પણ ટેક્સ ઘટાડવાની અપીલ કરી શકે છે.

રાજ્યો સંમત થાય તો પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટીમાં સામેલ કરી શકાય છે: નિર્મળા સીતારમણ
નાણા મંત્રી નિર્મળા સીતારમણે બુધવારે કહ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં (જીએસટી) સામેલ કરી શકાય છે પણ તે પહેલાં આ અંગે રાજ્યો વચ્ચે સમજૂતી કરવી પડશે. સીતારમણે આ સાથે જ કહ્યું હતું કે વિકાસને પ્રોત્સાહન આપવા સરકાર આટલા વર્ષોછી જાહેર ખર્ચમાં વધારો કરી રહી છે. ‘પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટી હેઠળ લાવવા માટે પહેલાંથી જોગવાઈ છે. મારા પૂર્વવતી નાણા મંત્રીએ પહેલાંથી તે માટેની બારી ખુલ્લી રાખી છે’, એમ તેમણે ઔદ્યોગીક ચેમ્બરના સભ્યો સાથે બજેટ બાદની ચર્ચા દરમિયાન કહ્યું હતું.

પાંચ પેટ્રોલિયમ ઉત્પાદો, પેટ્રોલિયમ ક્રૂડ, મોટર સ્પિરીટ (પેટ્રોલ), હાઈ સ્પીડ ડીઝલ, પ્રાકૃતિક ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યુલને કામચલાઉ રીતે જીએસટીમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને તેમને જીએસટીમાં કઈ તારીખે સામેલ કરાશે તેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ કરશે. એક વખત રાજ્યો સંમત થઈ જાય, પેટ્રોલિયમ ઉત્પાદો પણ જીએસટી હેઠળ આવી જશે.
જીએસટી કાઉન્સિલની 49મી બેઠક 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મળશે.

Most Popular

To Top