આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા લોકો ઘરથી તેમના કામ ધંધાના સ્થળ સુધી સામુહિક પરિવહન સેવામાં એક જ ટિકીટથી મુસાફરી કરી શકે તે માટે મ્યુનિ. તંત્ર આયોજન કરી રહી છે. આ કામગીરી સફળ થાય તો મેટ્રો, બીઆરટીએસ, સીટી બસ અને પીંક ઓટો જેવા પરિવહનનાં સાધનોમાં વન જર્ની, વનફેર અને વન ટિકીટ સાથે મુસાફરી કરાવતું સુરત દેશનું પહેલું શહેર બનશે. સુરતમાં હાલ લોકો જે સાધનોમાં મુસાફરી કરે છે તેના માટે અલગ અલગ ભાડું ચૂકવવું પડે છે અને અલગ અલગ ટિકીટ લેવી પડી રહી છે. આ પ્રકારની કામગીરીથી લોકોનો સમય વધુ બગડી રહ્યો છે. પરંતુ મ્યુનિ. તંત્ર એક જ ટિકિટ પર અનેક પરિવહન સેવાનો ઉપયોગ થઇ શકે તે પ્રકારે આયોજન કરી રહી છે. આ માટે બજેટમાં કેટલીક જોગવાઇ કરી છે. સુરત મ્યુનિ. વન જર્ની, વન ફેર અને વન ટિકીટ સૂત્ર પર જે કામગીરી કરી રહી છે તે સ્તુત્ય અને આવકારદાયક તો છે જ સાથોસાથ દેશનાં અન્ય શહેરોની મહાનગરપાલિકાઓ માટે અનુકરણીય પણ છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.