SURAT

મૃત્યુ બાદ પણ સુરતના કતારગામનો રત્નકલાકાર આ રીતે જીવતો રહેશે!

સુરત (Surat) : સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં રહેતા 36 વર્ષીય રત્નકલાકાર (Diamond Worker) અકસ્માત (Accident) બાદ બ્રેઈનડેડ (Brain Dead) થયા હતા. તેમના પરિવારજનો દ્વારા રત્નકલાકારના અંગોનું દાન (Organ Donate) કરવાનો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પગલે રત્નકલાકારના કિડની, લિવર અને આંખો દાન કરવામાં આવ્યા છે. સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કિરણ હોસ્પિટલમાં અંગ દાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી છે. આમ 36 વર્ષીય રત્નકલાકાર મોત બાદ પણ 5 લોકોમાં જીવતા રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ ખાતે અવધૂત નગર પાસે આવેલા હરી ક્રિષ્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા પૃથ્વીરાજસિંહ તા. ૧૫ જુનના રોજ પોતાના મિત્રો સાથે દાંડી ફરવા ગયા હતા, ત્યાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે દાંડી રોડ ઉપર સિલ્વર સ્ટોન વિલાની સામે મોટર સાયકલ સ્લીપ થઇ જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા.૧૭ જુનના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પૃથ્વીરાજસિંહને બ્રેનડેડ જાહેર કર્યા હતા.

મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પૃથ્વીરાજસિંહના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પૃથ્વીરાજસિંહના ભાઈ જગતસંગ ચૌહાણ, બનેવી ફુલસંગભાઈ વાળા, પિતરાઈ ભાઈ મનુભાઈ ચૌહાણ, મિત્ર મિલનસિંહ પરમારને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પૃથ્વીરાજસિંહના ભાઈ જગતસંગ જેઓ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમજ પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે બનવાકાળ જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. પૃથ્વીરાજસિંહના પરિવારમાં તેના પિતા, પત્ની અને બે પુત્રો છે જેઓ ધોરણ ૧૦ અને ધોરણ ૮ માં અભ્યાસ કરે છે

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાન માટે જાણ કરી હતી. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, ડો. ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે લિવરનું દાન, ડૉ.સંકીત શાહે ચક્ષુઓનું દાન સ્વીકાર્યું હતું.

નવસારીની 19 વર્ષીય યુવતીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીની રહેવાસી ૧૯ વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૨૨ વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૬૭ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે. નોંધનીય છે કે, સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૨૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૩૦ કિડની, ૧૮૩ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૩૨ ચક્ષુઓના દાનથી કુલ ૯૩૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Most Popular

To Top