Latest News

More Posts

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અધૂરી કામગીરી ફરજિયાત પૂર્ણ કરાવશે કે કેમ જોવું રહ્યું ?

પ્રતિનિધિ ગોધરા તા.6
ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડાથી છકડીયા સુધીનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા જાન્યુઆરી ૨૦૨૬માં અંદાજે રૂપિયા ૪ કરોડના ખર્ચે આ માર્ગનું રી-સર્ફેસિંગ કરવામાં આવ્યું હતું. સામલી જંગલની મધ્યમાંથી પસાર થતો આ રસ્તો આશરે ૨૦ જેટલા અંતરિયાળ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. નવો રસ્તો બનતા વાહનચાલકોને પ્રાથમિક રાહત તો મળી છે પરંતુ નિર્માણના અઢી મહિના વીતી જવા છતાં કોન્ટ્રાક્ટર અને વિભાગની કથિત બેદરકારીના કારણે રોડની બંને બાજુએ માટી નાખીને સાઈડ શોલ્ડર ભરવાની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી.

સામાન્ય રીતે ડામરનો રોડ બન્યાની સાથે જ સાઈડ શોલ્ડર ભરવા ફરજિયાત હોય છે. આ કામગીરી ન થવાના કારણે રોડની બંને કિનારીઓ ઊંચી અને જોખમી બની ગઈ છે. રાત્રિના સમયે સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા વાહન નીચે ઉતરે તો પલટી ખાઈ જવાની પૂરેપૂરી સંભાવના રહે છે. મોટા વાહનોની વચ્ચે દ્વિચક્રીય વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બની શકે છે. સાઈડ શોલ્ડરના અભાવે માત્ર અકસ્માતનો જ ભય નથી પરંતુ માટીના સપોર્ટ વગર નવા બનેલા ડામર રોડની કિનારીઓ તૂટવા લાગી છે અને ભવિષ્યમાં ચોમાસા દરમિયાન રોડ જલ્દી ધોવાઈ જવાનું પણ જોખમ ઊભું થયું છે. તદુપરાંત, આ માર્ગ જંગલમાંથી પસાર થતો હોવાથી તેમાં અનેક ભયજનક વળાંકો આવેલા છે. આ વળાંકો પર કોઈ જ સૂચન બોર્ડ લગાવવામાં આવ્યા નથી કે વાહનોને ખીણ કે ખાઈમાં ખાબકતા અટકાવવા માટે લોખંડના ક્રેશ બેરિયર પણ નાખવામાં આવ્યા નથી. સુરક્ષાના આ અભાવે ભૂતકાળમાં કાર સીધી સાઈડમાં ઘૂસી ગઈ હોવાના બનાવો પણ બની ચૂક્યા છે.

આ ગંભીર બેદરકારી અંગે માર્ગ અને મકાન વિભાગનું ધ્યાન દોરવા ગુજરાત મિત્રના પ્રતિનિધિ દ્વારા ગત તારીખ ૦૨/૦૪/૨૦૨૬ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરની રૂબરૂ મુલાકાત લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ અન્ય કાર્યક્રમમાં હોવાનું જણાયું હતું. ત્યારબાદ ૦૬/૦૪/૨૦૨૬ના રોજ ટેલિફોનિક સંપર્ક કરતા બંને અધિકારીઓએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી. તંત્રના આ ઉદાસીન વલણને કારણે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને નિર્દોષ જનતાના જીવ જોખમમાં મુકાયા છે.

રિપોર્ટર: આશિષ બારીયા

To Top