વડોદરામાં કોરોનાનો અજગરી ભરડો : 1670 પોઝિટિવ

વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાએ કાબુ ગુમાવ્યો છે.પ્રતિદિન કોરોના ના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે.શહેરમાં મંગળવારે કોરોનાના નવા 1670 કેસ નોંધાયા હતા.જ્યારે 645 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી ગયા હતા.જ્યારે પાલિકાના કોવિડ બુલેટિનમાં કોરોનાથી મરણની સંખ્યા 623 પર સ્થિર રહેવા પામી છે. વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે તેજ ગતિએ ફેલાવા માંડ્યું છે.મંગળવારે નવા 1670 કેસ નોંધાયા હતા.મહાનગરપાલિકા દ્વારા જારી કરેલી યાદી મુજબ કુલ મરણનો આંક 623 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.વીતેલા 24 કલાકમાં 10,367 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 1670 પોઝિટિવ આવ્યા હતા.

જ્યારે 8,697 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 645 વ્યક્તિઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 75,260 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 382 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 392 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 325 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 440 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 131 દર્દી મળી કુલ 1670 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 84,094 ઉપર પહોંચ્યો  છે.

કોરોનાના ભરડામાં આવેલા વિસ્તારો
જેતલપુર, બાજવા, કિશનવાડી,  વારસિયા, દિવાળીપુરા, ગોત્રી, છાણી, ગાજરાવાડી, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, અટલાદરા, માંજલપુર , બાપોદ, વાઘોડિયા અને એકતાનગર માંથી કોરોનાના કેસ નોંધાયા હતા.

શહેરમાં હાલ 7,988 લોકો હોમ આઈસોલેશન તેમજ કોરોનાના 8,210 એક્ટિવ કેસ
શહેરમાં કોરોનાએ વધુ એક વખત માથું  ઊંચું કર્યું છે.રોજબરોજ મોટી સંખ્યામાં નવા કેસોનો ઉમેરો થવા માંડ્યો છે.ત્યારે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 8,210 અને હોમઆઇસોલેશન હેઠળ 7,988 વ્યક્તિઓ છે.જ્યારે 222 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 16 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 46 દર્દીઓ,ઓક્સિજન ઉપર 69 અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 91 દર્દીઓનો સમાવેશ થાય છે.જ્યારે કુલ 6,680 વ્યક્તિઓ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે.

SSGHમાં વર્ગ 3 અને 4 નો સ્ટાફ વધારવાની તાતી જરૂરિયાત : ડો.ઐયર
વડોદરામાં કોરોના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે.તો બીજી તરફ સયાજી હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાનું સુપ્રિટેન્ડન્ટએ નિવેદન આપ્યું હતું.મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સ્ટાફની ખોટ છે.જેને લઈને કામગીરીમાં ઘણી તકલીફ પડી રહી છે.આ ઉપરાંત એસેસજી હોસ્પિટલને પંચમહાલ અને છોટાઉદેપુરની પણ જવાબદારી સોંપવામાં આવી હોય વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની તાતી જરૂરિયાત હોવાનું સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું.

છોટાઉદેપુર અને પંચમહાલના હેલ્થ વર્કરોને કોવિડ વેન્ટિલેટરીની 6 દિવસની તાલીમ આપવામાં આવી
સયાજી હોસ્પિટલમાં છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના હેલ્થ વર્કર કર્મચારીઓને કોવિડ અંગે કામગીરીની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.ત્રીજી બેચ મેડિકલ ઓફિસરની અને સ્ટાફ નર્સની કોવિડ વેન્ટિલેટરીની જે 6 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.જેમાં વેન્ટિલેટર ,ઓક્સિજન જરૂરિયાત માટેની તેમજ દર્દીને કોવિડ વખતે કોઈપણ ઇમર્જન્સી ઉપસ્થિત થાય તો તેને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી એ અંગેની આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

વાયરલ-કોરોનાના સમાંતર લક્ષણોથી મૂંઝવણ
કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ દિવસેને દિવસે કોરોના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 17000 ને પણ પાર કરી ચૂક્યો છે જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં પણ કરવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આજે 1300થી વધુ કેસો નોંધાયા હતા આ તરફ વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે.

શિયાળાની મોસમમાં વાયરલ ઇન્ફેક્શનમાં પણ રોકેટ ગતિએ વધારો થયો છે ત્યારે વાઇરલ ઇન્ફેકશન વિથ કોરોનાને પગલે પણ દવાખાનો દર્દીઓની સંખ્યા વધુ દેખાય છે વાઇરલ ઇન્ફેક્શન અને કોરોના લક્ષણો મોટાભાગે સમાંતર હોવાને કારણે મૂંઝવણો વધી છે ખાનગી હોસ્પિટલોમાં શરદી ખાંસી તાવ માથું દુખવું જેવા દર્દ સાથે દર્દીઓ દવામાં લેવા આવે છે કોરોનામાં  પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળે છે ત્યારે દર્દીને વાયરલ છે કે કોરોના તે જાણી શકાતું નથી પરંતુ તબીબો જરૂર પડે તેમને કોરોના ટેસ્ટ કરવા માટે સલાહ આપે છે જોકે મોટાભાગના દર્દીઓ કોરોના ટેસ્ટ થી દૂર રહે છે બીજી તરફ ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે ટ્રાવેલિંગ કર્યા બાદ લક્ષણો દેખાતા લોકો ખાનગી લેબમાં કોરોનાથી પુષ્ટિ કરી રહ્યા છે એમાં હાલ તો   વાઈરલ ઇન્ફેકશન વિથ કોરોના જેવી  સ્થિતિ સર્જાઈ છે.

કોવિડના કેસો વધતા કુબેરભુવન ખાતે કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા
કોરોનાનું સંક્રમણ સૌ કોઈને પોતાની ચપેટમાં લઈ રહ્યું છે.ત્યારે હવે કલેક્ટર કચેરી ખાતેના કુબેર ભુવન બિલ્ડીંગમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.2 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બીજા માળે ઈલેક્શન વિભાગમાં તંત્ર દ્વારા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.20 જેટલા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો વધતો પગપેસારો
શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે વડોદરા શહેર આસપાસ આવેલા અનેક ગામડાઓમાં કોરોનાના નવા કેસ વધ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ઝડપભેર વધી રહેલા કેસોને કારણે ચિંતા પણ વધી છે વડોદરા જિલ્લાના તાલુકાઓ પૈકી વાઘોડિયા તાલુકામાં કોરોનાના કેસોએ સદી પૂરી કરી છે વાઘોડિયા સહિત જિલ્લાના અનેક તાલુકાના ગામડાઓમાં પણ કોરોનાની ધીમા પગલે એન્ટ્રી થઈ છે  ગ્રામીણ વિસ્તારોના પીએચસી સેન્ટર પણ  દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે ગામડાઓમાં વધતા જતા કોરોનાના કેસને પગલે જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક અને સજાગ બની તકેદારીના તમામ પગલાં ભરી રહ્યું છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સાથે વાયરલ ઇન્ફેકશનના કેસો વધતા દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો દેખાય છે.

GMERS મારી માતૃ સંસ્થા જેના સંદર્ભમાં કોઈ નેગેટિવ સમાચાર આવે એ મને પસંદ નથી : ડો.વિજય શાહ
ગોત્રી કોલેજના પૂર્વ પ્રાધ્યાપક તેમજ ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહે મેડીકલ કોલેજના ડીન અને ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ સાથે મુલાકાત કરી કઈ રીતે દર્દીઓને ઉપયોગી થઈ શકીએ તેના સંદર્ભમાં વાતચીત કરી હતી.થર્ડ વેવને કારણે લાંબી લાઈનો થતી હોય છે.તથા RTPCR ટેસ્ટ માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે આ મારી માતૃસંસ્થા છે અને આ સંસ્થાના સંદર્ભમાં કોઈપણ નેગેટિવ ન્યુઝ આવે એ મને જરાય પસંદ નથી. પહેલા અને બીજા વેવમાં જે રીતે લોકોની સેવા કરી છે.ફરી વખત એ સેવાના માધ્યમથી આ સંસ્થાનું નામ રોશન કરી શકીએ તેના સંદર્ભમાં વાતચીત કરી છે. આગામી સમયમાં મોટી જરૂરિયાત પડે તો સંસ્થા આ માટે સક્ષમ છે.

Most Popular

To Top