Gujarat Main

બજેટમાં મોટી જાહેરાત: નવસારી, વાપી સહિત ગુજરાતમાં 7 નવી મહાનગરપાલિકા બનશે

ગાંધીનગર: વચગાળાના યુનિયન બજેટ બાદ આજે ગુજરાત સરકારના વર્ષ 2024-25 માટેના બજેટની જાહેરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી છે. પાછલા નાણાંકીય વર્ષના બજેટની સરખામણીમાં આ વખતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના બજેટમાં 31,000 કરોડનો વધારો સૂચવ્યો છે. ગત વર્ષે બજેટનુ કદ 3.01 લાખ કરોડ જેટલું હતું, તેની સામે આ વખતે 3 લાખ 32 હજાર 465 કરોડ બજેટ જાહેર કરાયું છે. આ બજેટમાં નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકા બનશે. જેમાં નવસારી, વાપી, ગાંધીધામ, મોરબી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ થાય છે.

રાજયમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજયની અંદાજે ૫૦% વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે જે વર્ષ ૨૦૪૭ સુધી વધીને ૭૫% સુધી પહોંચે તેવી ધારણા છે. શહેરો લોકો માટે વસવાટ જ નહી પરંતુ આર્થિક વિકાસના કેન્‍દ્રો પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ નિશ્ચયી છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્‍દ્રનગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે.

શહેરી વિકાસ માટે પાણી, રસ્તાઓ, સુએઝ જેવી માળખાકીય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. અમારી સરકાર શહેરોમાં પ્રદૂષણ નિયંત્રણ અને પ્રાકૃતિક આપદાઓના પડકારો ઝીલી સસ્ટેનેબલ ડેવલપમેન્‍ટની દિશામાં આગળ વધશે. શહેરો સાંસ્કૃતિક ધરોહર અને લોકોના આમોદપ્રમોદ માટે પણ અગત્યના સ્થાનો હોઇ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી નવતર કામો હાથ ધરવામાં આવશે. સુશાસન થકી શહેરી વ્યવસ્થાપનમાં ટેકનોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના માટે સરકાર પગલા લેશે.

બજેટની શરૂઆતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જી.એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો ૫.૧% હતો, જે આજે વધીને ૮.૨% થયેલ છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયો છે.

રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@૨૦૪૭ નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.

મુખ્યમંત્રીનું સપનું ગુજરાત 5G ગુજરાત બને
આપણા મૃદુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત 5-G ગુજરાત બને. તેઓની 5-G ની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતા વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ, ગરવી ગુજરાતનું વિકાસતંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને, સમય સાથે ગતિશીલ રહે તે અમારો ધ્યેય છે.

બજેટમાં રાજ્યની યુવાશક્તિને પ્રાધાન્ય
રાજયની મોટાભાગની વસતિ હાલમાં ૧૮ થી ૬૦ વર્ષના વયજૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજયને ડેમોગ્રાફિક ડિવીડ‍ન્‍ડનો લાભ મળે તેમ છે. છેલ્લાં બે દશકના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતાં, રાજયમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે. આ સાથે, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અન્નદાતાઓનું સન્માન કરી કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.

વિકસિત ગુજરાત @૨૦૪૭ નો વિઝન ડોક્યુમેન્‍ટ સરકારે બહાર પાડ્યો
વિકસિત ભારત @૨૦૪૭ માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજયના ૭ કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા, વિકસિત ગુજરાત @૨૦૪૭ નો વિઝન ડોક્યુમેન્‍ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલ વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી ૨૫ વર્ષ માટે રાજયના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્‍ટ સર્વ પ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે.

વિકસિત ગુજરાત @૨૦૪૭ ની આ સંકલ્પનાના બે મુખ્ય પાયા છે. વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડોયુકત જીવનસ્તર ઉપલબ્ધ કરાવી રાજયના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન(Living Well) આપવું, તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક(Earning Well)સુનિશ્ચિત કરવી, તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો(Sustainable & livable habitation) પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની અમારી સરકારની નેમ છે.

પોષણલક્ષી યોજનાઓ માટે 5500 કરોડની જોગવાઈ
સ્વસ્થ અને સશકત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્‍દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરૂષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષની અંદાજે ૩૨૦૦ કરોડની જોગવાઇ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષ માટે ૫૫૦૦ કરોડની માતબર જોગવાઇ સૂચવું છું.

“નમો લક્ષ્મી યોજના” હેઠળ 1250 કરોડની જોગવાઈ
વિકસિત ગુજરાત @૨૦૪૭ ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ૧૫ હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ `૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.

નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં `૧૨૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 5 લાખની મહિલાઓને વધારાનું રાશન આપશે
રાજયમાં દર વર્ષે અંદાજે ૧૨ લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે અમારી સરકારની પ્રાથમિકતા છે. માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરેલ હતી. આ યોજના અંતર્ગત અંદાજે વાર્ષિક `૩૦૦ કરોડના ખર્ચે ૫ લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન આપવામાં આવી રહેલ છે.

નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ
સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું “નમો શ્રી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ૧૨ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું ૭૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

હાલની વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારી ૪.૫% કરવામાં આવશે તથા દરેક લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી-મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થીદીઠ સહાયમાં પણ ૬૦% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું.

પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામો મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતાં ૭૮ આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્‍ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકાઓમાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્‍ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

આરોગ્ય ચકાસણી દ્વારા પોષણની દ્રષ્ટિએ ગંભીર ઉણપ ધરાવતા બાળકોને અલગ તારવી તેઓની ભોજન તેમજ આવશ્યક પોષકતત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપવામાં આવતા વિશિષ્ટ પોષણક્ષમ આહાર (બાલ અમૃતમ)નો વ્યાપ વધારવામાં આવશે. આ યોજના અંતર્ગત હવે આંગણવાડી સાથે પ્રાથમિક શાળાના ધોરણ-૧ થી ૮ સુધીના બાળકોને આવરી લેવામાં આવશે.

ત્રણ થી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની `૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ૨.૦ યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી ૩ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે ૮ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને ૨૦ હજાર આંગણવાડીઓને આઇ.ટી. કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. સેન્‍ટ્રલ રિસોર્સ સેન્‍ટર ઉભું કરી પ્રિ-પ્રાઇમરી લર્નિંગને નવતર શિક્ષણ સામગ્રી મારફત વધારે રસપ્રદ બનાવવામાં આવશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર મળશે
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ હવે ૧૦ લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજયમાં ૨૫૩૧ હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે `૩૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

કેન્‍સર જેવી ગંભીર બિમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજયના દર્દીઓની સાથે પડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્‍સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે `૬૦૦ કરોડના ખર્ચે કેન્‍સર ઇન્‍સ્ટીટ્યુટ ખાતે સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લીયર મેડિસીન અને પ્રોટોન બીમ થેરાપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું.

એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું “નમો સરસ્વતી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં ૧૦ હજાર અને ધોરણ-૧૨ માં ૧૫ હજાર મળી કુલ ૨૫ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ૪૦૦ કરોડનો ખર્ચ થશે.

રાજયની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા `૨૦૦૦ કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ ૨.૦ અમલી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર” ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્‍દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.

તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના ૧૩૦૦ કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે ૨૫૦૦ કરોડની જોગવાઇ હું સૂચવું છું.

રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજયમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટસ ઇન્‍ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. રાજયના અંતરિયાળ વિસ્તારના ગામડાઓથી માંડીને શહેરી વિસ્તારોમાંથી વિવિધ રમતોમાં તેજસ્વી બાળકોને ઓળખી તેમને સુનિયોજત ધોરણે તાલીમ આપવાનું આયોજન છે.

પવન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ `૬૧૯૩ કરોડની જોગવાઇ
સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોનો સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઇ શકે, તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્‍શન યોજનાઓ પણ અમલમાં છે.

વનબંધુ કલ્યાણ યોજના માટેના ફંડમાં 100 ટકાનો વધારો
આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યકિતગત વિકાસના કામો માટે `૧ લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું, જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઇમાં ૧૦૦% વધારો હું સૂચવું છું.

Most Popular

To Top