Chhotaudepur

નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતિત

છેલ્લા 3 દિવસથી વરસાદ ધીમે ધારે પડતો હતો. પરંતુ રવિવારના રોજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર થયેલા મોલને આ વરસાદથી નુકશાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.

નસવાડી તાલુકામાં નવરાત્રીના સાતમા નોરતેથી ધીમી ગતિએ વરસાદ પડી રહ્યો હતો. જયારે રવિવારના રોજ વાદળો ઘેરાયા હતા. ચારેકોર અંધારપટ્ટ બપોરના સમયે છવાઈ ગયો હતો અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા કપાસ મગ સોયાબીન તેમજ અન્ય પાકોને આ વરસાદ થી નુકશાન થવાની ભીતિ છે. ભારે વરસાદના કારણે કપાસના પાકમાં ફૂલ લાગવાની સીઝન એક મહિનો લેટ શરૂ થઇ તેવા સમયે આ વરસાદ થી કપાસના છોડ ઉપર લાગેલા ફૂલ તૂટી પડશે. જયારે સોયાબીનના પાકમાં છોડ ઉપર મોટી સંખ્યામાં સોયાબીનની સીંગો લાગી છે. અમુક છોડવા ઉપર સીંગો સુકાઈ ગઈ છે. આ વરસાદ થી સોયાબીનની સીંગો છોડવા ઉપર જ ફાટી જશે. જયારે મગના પાકમાં પણ આ સ્થિતિ છે. જયારે નસવાડી તાલુકામાં આવકાશી ખેતી ઉપર નભતા ખેડૂતોને આખા વર્ષ દરમિયાન એક જ પાક લેતા હોય છે તેવા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જશે. હાલ નસવાડી તાલુકામાં વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે .ત્યારે ખેતીમાંથી એક પણ રૂપિયાની આવક થઇ નથી. અત્યાર સુધી ખેતીમાં હજરો રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે. સારા પાકની આશા હતી. તે આશા આ વરસાદના નુકશાનથી ધોવાઈ ગઈ છે. જેને લઇ ખેડૂતોની દિવાળી બગડે તેવા એંધાણ છે. જેનાથી નસવાડીના બજારોમાં વેપાર ધંધાને ભારે માઠી અસર પડશે . કુદરતી પ્રક્રોપથી ખેડૂતો નિસહાય બન્યા છે. સરકારે અગાઉ ભારે વરસાદથી થયેલા નુકશાનનું કેટલાક ગામોમાં સર્વે કરાવ્યું નથી. ત્યારે હવે ફરી ખેતીમાં નુકશાન પહોંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે

Most Popular

To Top