Chhotaudepur

ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લા મોરચાની તૈયારી બેઠક યોજાઈ; મોટી સંખ્યામાં કાર્યકરોને ગાંધીનગર લઈ જવાનું આયોજન

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીઓ માટેની આવક મર્યાદા રૂપિયા 2.5 લાખમાંથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવતા તેના આભાર સ્વરૂપે ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 13 માર્ચે ગાંધીનગર ખાતે ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની અગત્યની બેઠક જિલ્લા કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માહિતી મુજબ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્યના મંત્રીઓ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
પ્રદેશ અધ્યક્ષ ડો. કિરીટભાઈ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં પ્રદેશમાંથી વક્તા તરીકે ભાજપાના વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી રાહુલભાઈ પરમાર, શહેર સંગઠનના પ્રમુખ અંકુરભાઈ પંચોલી, શહેર મહામંત્રી રાજેશભાઈ સોલંકી, મહામંત્રી ધનજીભાઈ રોહિત સહિત જિલ્લાના તેમજ નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 13 માર્ચે યોજાનારા ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત સમાજના કાર્યકરો, અગ્રણીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપશે. છોટાઉદેપુર જિલ્લામાંથી પણ અનુસૂચિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગાંધીનગર કાર્યક્રમમાં ભાગ લે તે માટે મોરચા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
બેઠકનું સંચાલન અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી રાહુલભાઈ પરમારે કર્યું હતું.

Most Popular

To Top