આજના યુવાનો કુંવારા રહેવાનું વધુ પસંદ કરે છે પરંતુ દેશને સારા નાગરિકો મળી રહે, સારૂં પ્રતિનિધિત્વ કરી શકે તે માટે બીજી પેઢીનું હોવું જરૂરી છે. આજના યુવાનોના લગ્ન નહિ કરવા પાછળના કારણો એ છે કે, ઝડપથી અમીર બનવું છે. પોતે પસંદ કરેલા પાત્ર સાથે જ પરણવું છે અને તેમાં કુટુંબીજનોની અસંમતિ હોય તો આજીવન કુંવારો રહીશ પણ બીજી સાથે નહિ પરણું એવી હઠ કરતા હોય છે. વળી ખૂબ ઓછા પગારવાળી અને હંગામી નોકરી હોય તો પણ પરણવા તૈયાર થતા નથી. પરણ્યા પછી જુદા નહિ રહી શકાય કે આવનાર છોકરીના અરમાનો પૂરા નહિ કરી શકે એવો મનમાં વહેમ હોય, આજકાલની છોકરીઓના ઘણા બોયફ્રેન્ડ હોય અને પરણ્યા પછી મારૂં લગ્ન જીવન નહિ ચાલે તો? આવા વિચારો કરીને પરણવાનું ટાળે છે પરંતુ યુવાને એ વિચારવાનું કે આપણી જાત ફક્ત આપણા માટે નથી આપણી માતાએ આપણને જન્મ આપ્યો, સુખ દુઃખ વેઠીને મોટા કર્યા, ભણાવ્યા, લગ્ન વ્યવસ્થા સમાજે બનાવી છે, જે જળવાઈ રહેશે તો જ સમાજને સારા નેતા, ડોક્ટરો, વૈજ્ઞાનિકો, વકીલો, શિક્ષકો મળી રહેશે. આમ,દેશની પ્રગતિ માટે પણ પરણવું જરૂરી છે. ભિષ્મ પિતાએ પણ લગ્ન નહોતા કર્યા અને છેવટે તકલીફો તો આવી જ ને!
સુરત – પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સીંગતેલનો ભાવ ઘટ્યો, હવે ફરસાણ કેટલું સસ્તુ થશે
સુરતની જીવાદોરી તમામ મૂળ સુરતીઓમાં ફરસાણ જેવા કે ભુસા-ભજીયા, ફાફડા સુરતીઓના જીવનમાં તાણાંવાણાંથી જેમ ગુંથાયેલા છે. સીંગ ભરવાથી શરૂઆતમાં સીંગતેલનો ભાવ રૂ. 3000 સુધી પહોંચ્યો હતો. હાલમાં સીંગતેલ 15 કિલોના ડબ્બાના રૂા. 2400 થઇ ગયા છે. લગભગ 1 ડબ્બે રૂા. 600 તૂટી ગયા! તેની સામે કોઇ તહેવાર પણ નથી અને મગફળીની ખૂબ આવક છે. એટલે સીંગતેલના ડબ્બામાં ભાવ વધવાનું કોઇ કારણ નથી. સુરત ફરસાણ તથા સુરત ફાફડા એસો.ને વિનંતી કે માનવતાની દૃષ્ટિએ ફરસાણના ભાવમાં ભાવ ઘટાડો કરી સુરતીઓના દિલ જીતી લો. આશા છે ગ્રાહક એ ભગવાન છે તે સિદ્ધાંતને અનુસારીને કંઇક ઘટાડો કરાશે
સુરત – મહેશ ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
