Comments

ચાબહાર પોર્ટના સંચાલન માટે ભારતે ઈરાન સાથે 10 વર્ષનો કરાર કેમ કર્યો?

લોકસભાની ચૂંટણી વચ્ચે એક મોટો વિકાસ થયો છે, જેનાથી વ્યવસાયોને વેગ મળશે. 13 મેના રોજ ભારતે તે દેશના ચાબહાર પોર્ટના એક ભાગને નિયંત્રિત કરવા માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે ભારત કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળશે. આ ભારતના વધતા દરિયાઈ મહત્ત્વમાં એક મોટી સિદ્ધિ પણ દર્શાવે છે. એક મહિના પહેલાં ભારતે ચીનના પ્રભાવનો સામનો કરવાના ઉદ્દેશથી બંગાળની ખાડીમાં મ્યાનમારના સિત્તવે બંદર પર સંચાલન હાથ ધરવા માટેના પ્રસ્તાવને ગયા મહિને મંજૂરી આપી હતી.

ચાબહાર બંદર ભારત માટે શા માટે મહત્ત્વનું છે?
ચાબહાર બંદર નવી દિલ્હી માટે વ્યૂહાત્મક અને આર્થિક મહત્ત્વ ધરાવે છે. તે ભારતને તેના હરીફ પાકિસ્તાનના કરાચી અને ગ્વાદરનાં બંદરોને બાયપાસ કરવાની અને જમીનથી ઘેરાયેલા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશોમાં પહોંચવાની મંજૂરી આપે છે.

તે વ્યાપારી સમુદાયોને સંવેદનશીલ અને વ્યસ્ત પર્સિયન ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વૈકલ્પિક પરિવહન માર્ગ શોધવા માટેની આર્થિક તકો પણ પ્રદાન કરે છે. આ બંદર ભારતને અફઘાનિસ્તાનમાં મહત્ત્વપૂર્ણ માનવીય સહાય અને વેપાર પુરવઠો પહોંચાડવામાં લોજિસ્ટિકલ પડકારોને ટાળવામાં પણ મદદ કરે છે અને મધ્ય એશિયાના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. ભારતનું લક્ષ્ય સીઆઈએસ (કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ) દેશો સુધી પહોંચવા માટે ચાબહાર પોર્ટને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી) હેઠળ એક ટ્રાન્ઝિટ હબ બનાવવાનું છે. ભારત ભારત અને મધ્ય એશિયા વચ્ચે કાર્ગોની અવરજવરના ખર્ચને ઘટાડવા માંગે છે.

ચાબહાર પોર્ટ આ પ્રદેશ માટે વ્યાપારી પરિવહન કેન્દ્ર તરીકે કામ કરશે. એ વિચાર છે કે દરિયાઈ માર્ગે મુંબઈથી શાહિદ બેહેશ્તી પોર્ટ – ચાબહાર (ઈરાન) સુધી માલસામાનની અવરજવરને મંજૂરી આપવામાં આવે. અને ચાબહારથી બંદર-એ-અંઝાલી (કેસ્પિયન સમુદ્ર પર એક ઈરાની બંદર) સુધી રોડ માર્ગે અને પછી બંદર-એ-અંઝાલીથી કેસ્પિયન સમુદ્રમાં વહાણ દ્વારા આસ્ટ્રાખાન (રશિયન ફેડરેશનમાં એક કેસ્પિયન બંદર) સુધી અને તે પછી આસ્ટ્રાખાનથી રશિયન ફેડરેશનના અન્ય પ્રદેશો સુધી અને આગળ રશિયન રેલવે દ્વારા યુરોપ સુધી.

ઈરાને 1973માં ચાબહાર પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ 2003માં જ ભારતે બંદરને વિકસાવવામાં રસ દાખવ્યો હતો. ચાર વર્ષ પહેલાં ઈરાન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી ભારતે ચાબહારના માળખાગત વિકાસ માટે 100 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. ચાબહાર પર પ્રથમ કરાર 2016માં થયો હતો, જ્યારે પીએમ મોદીએ ઈરાનની મુલાકાત લીધી હતી અને એ વાત પર સહમતી થઈ કે, ભારત શાહિદ બેહેશ્તી બંદર પરના એક બર્થનું નવીનીકરણ કરશે અને બંદર પર 600 મીટર લાંબી કન્ટેનર હેન્ડલિંગ સુવિધાનું પુનઃનિર્માણ કરશે. કરાર હેઠળ ભારત 600 મીટર (1,969-ફૂટ) કાર્ગો ટર્મિનલ અને 640 મીટર કન્ટેનર ટર્મિનલ બનાવશે.

પ્રથમ તબક્કો 2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ હસન રુહાની દ્વારા વિકસિત અને લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતે અફઘાનિસ્તાનને તેનો પ્રથમ ઘઉંનો શિપમેન્ટ મોકલ્યો હતો. જો કે, નવેમ્બર 2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પછી અમેરિકા અને ઈરાન વચ્ચેના બગડેલા સંબંધોને કારણે બે બર્થનો માત્ર એક ભાગ જ પૂરો થયો છે. આના પરિણામે 2018માં આર્થિક પ્રતિબંધો ફરીથી લાગુ કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે ભારતે બંદર પર કામગીરી સંભાળી હતી. ત્યાર બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ પ્રયાસોમાં તેની મહત્ત્વની ભૂમિકાની નોંધ લેતાં ચાબહાર પોર્ટને ઈરાન પરના તેના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી હતી.

મધ્ય પૂર્વમાં ઊભરી રહેલો ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતાને કારણે ભારત ચાવીરૂપ બંદરના સંચાલન માટે ઈરાન સાથે લાંબા ગાળાની વ્યવસ્થા સુરક્ષિત કરવા માંગે છે. કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા ઘણા સમૃદ્ધ મધ્ય એશિયાઈ દેશો પણ ચાબહાર બંદરનો ઉપયોગ હિંદ મહાસાગર ક્ષેત્ર અને ભારતીય વેપાર બજાર સુધી પહોંચવા માટે કરવા આતુર છે. આ દેશોને હિંદ મહાસાગર સુધી પહોંચવા માટે કરાંચી બંદરનો ઉપયોગ કરવા માટે આ દેશોને આકર્ષવાના પાકિસ્તાનના પ્રયાસો છતાં ભારતે તેમને ખાતરી આપી છે કે, ચાબહાર વધુ આકર્ષક પ્રસ્તાવ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top