National

જમ્મુ-કાશ્મીરમાં બે ઠેકાણે એન્કાઉન્ટર, બારામુલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં આજે શનિવારે તા. 14 સપ્ટેમ્બરની સવારે પીએમ મોદીની રેલી પહેલા બે ઠેકાણે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અહીંના બારામુલ્લામાં સેનાના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અગાઉ ગઈકાલે શુક્રવારે એક કિશ્તવાડમાં અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા હતા. બંને જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે.

બારામુલ્લા જિલ્લાના ક્રેરીના ચક તાપર વિસ્તારમાં શુક્રવારે તા. 13 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 11 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. મોડી રાત્રે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આજે સવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.

કિશ્તવાડના ચત્રુ પટ્ટાના નૈદગામ ગામમાં શુક્રવારે બપોરે લગભગ 3.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાને જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. શહીદ થયેલા જવાનોની ઓળખ નાયબ સુબેદાર વિપિન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહ તરીકે થઈ છે.

કઠુઆમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
હથિયારો મળ્યા અગાઉ કઠુઆના ખંડારામાં પણ સેનાનું ઓપરેશન થયું હતું. અહીં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ એક્સ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

18 સપ્ટેમ્બરે કિશ્તવાડ સહિત 3 જિલ્લામાં ચૂંટણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આજે તા. 14 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મેગા રેલીને સંબોધી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેમના ચૂંટણી પ્રચારની આ શરૂઆત કરી છે. પીએમ મોદી ચિનાબ ઘાટી, ડોડા, કિશ્તવાડ અને રામબનના ત્રણ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોના ઉમેદવારો માટે વોટ માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આગામી તા. 18 સપ્ટેમ્બરે ત્રણેય સ્થળો પર ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

Most Popular

To Top