એમ દેખાયું છે કે સરકારી પગારપંચનો નિર્ણય વર્ષો પછી ડિકલેર થાય છે અને નિર્ણય અનુસાર પ્રારંભની શરૂઆત પણ મોડેથી થાય છે. કેમ? ત્યારે સંસદસભ્યો, ધારાસભ્યો કે મંત્રી મહોદયોના પગાર તથા ભથ્થાંઓ માટે કોઇ જાતનો વિલંબ થતો નથી એ સત્ય છે અને સરકારી કર્મચારીઓ તથા પેન્શરોના પગાર અને પેન્શનના પ્રશ્ને સમય લેવામાં આવે છે. કર્મચારી સંગઠનો સંબંધિત અધિકારીને મળીને થાકી જતા હોય છે પણ સમર્પક ઉત્તરો મળતા નથી.
કોઇ પણ સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓના પ્રશ્નનો ત્વરિત જ નિકાલ કરવો જોઈએ કારણ કર્મચારીઓ અને એમની સંસ્થા પ્રત્યેની લાગણી સંસ્થાનો આધાર હોય છે. હવે સરકારી કર્મચારીઓ માટે તો પગારપંચ હોય છે તો સમયના ધોરણે તેની કારવાઈ થવી જોઈએ. ભારત દેશનું સ્વતંત્ર લોકશાહીનું સરકાર થયું તો પણ સાંસદો, ધારાસભ્યોને પગાર કે પેન્શનની કોઇ વાત હતી નહીં અને પગારી કર્મચારીરૂપે દેશસેવકો કે પ્રજાના પ્રતિનિધિઓ કામ કરે એનો અનેક સભ્યોએ વિરોધ કર્યો હતો. પણ હવે તો સાંસદો અને ધારાસભ્યો અને સમિતિ પદાધિકારોને પગાર ઉપરાંત જીવનાંત સુધી પેન્શનની વ્યવસ્થા થઇ ગઇ છે.
હવે અનેક સંસદસભ્યો, મંત્રી બન્યા છે અને પક્ષના પણ શ્રેષ્ઠ પદ પર વિરાજમાન છે તો એમના માટેનું પગારધોરણ કેવું હોય? કારણ હમણાં સાંસદો અને ધારાસભ્યોને પગાર અને પેન્શનનો નવો સ્લેબ ડિકલેર થયો છે. એ પગારધોરણ કઇ સમિતિ નક્કી કરે છે? એની માહિતી પણ પ્રજાને મળે તો યોગ્ય ગણાશે અને લોકશાહી સરકાર બધા જ કર્મચારીઓ ઉપર કૃપાદૃષ્ટિ રાખે એવું બધા ઇચ્છે છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
