Charchapatra

લગ્ન સમારોહની ભવ્યતા ને યોગ્યતા

આધુનિક યુગમાં મનુષ્ય દ્વારા લગ્ન સંબંધ અંગે અનેક પદ્ધતિઓ અપનાવાઈ રહી છે. ભારતમાં તો સૌથી અલગ અને વિશિષ્ટ પ્રકારની બનતી રહી છે. લગ્ન વિધિઓના આયોજનમાં વિશિષ્ટ રસમો વધતી રહી છે. જૂના કાળમાં લગ્ન સમારોહ કુટુંબીઓ માટે એક અનેરો અવસર હતો અને તે સમયે ઓછી સવલતો હોવા છતાં ચાર પાંચ દિવસનો પડાવ સામાન્ય ગણાતો હતો. લગ્નના ખર્ચનો વધારો થાય તે સ્વાભાવિક છે પરંતુ તે તો દેખાડા તથા મોટાઈ બતાવવા માટે અધિક રહે છે. મોટે ભાગે તો ઉજવણી કરતાં પ્રસંગના ભપકાને જ પ્રાધાન્ય મળે છે.

હવે તો માત્ર લગ્ન પ્રસંગ જ નહિ પણ જન્મદિવસ, વર્ષગાંઠ, બઢતી, નવું ઘર, નવી ગાડી જેવી અનેક બાબતને પ્રસંગોમાં તબદીલ કરીને ઉજવાય છે અને એ બધા પ્રસંગો પણ ભવ્યતાથી ઉજવાય છે. આ બધા માટે ખર્ચનો કોઈ હિસાબ અથવા અંદાજ કરવાની કોઈને પડી કે ફુરસદ મળતી નથી. પ્રસંગોપાત કરતા સમારંભો પાછળ થતા ખર્ચ વિશે કોઈ ટીકા કે નિરૂપણનો સવાલ નથી. પ્રસંગોનું મહત્ત્વ ઓછું આંકવાની જરૂર નથી પણ તેવા પ્રસંગો જે કારણે ઘડાય છે તેનું માહાત્મ્ય ધીરે ધીરે વિલય થઈ રહ્યું છે અને તેનું સ્થાન ભવ્યતા, દંભ તથા વિશિષ્ટ રજૂઆતને પ્રાધાન્ય રહે છે અને તે વધતી રહેવાની. ખર્ચની યોગ્યતા કે તે કરી શકવાની શક્તિ વિશે કોઈ પણ આલોચના નિરર્થક નીવડશે.
મુંબઈ    – શિવદત્ત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top