Gujarat

અમીત શાહની ઉપસ્થિતિમાં 1500 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઉમિયાધામાનો શિલાન્યાસ

અમદાવાદના સોલા ખાતે 1500 ખર્ચે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજિત ઉમિયાધામ મંદિર અને કેમ્પસ નો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજયપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યાં હતાં. સોલા ખાતે નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે. ઉમિયાધામમાં 255 ફૂટ,160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડ નહીં વપરાય, 51 હજાર કરોડના મંત્રો સાથે પોથીયાત્રા પણ નીકળી હતી.

અમિત શાહે ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગે નિમંત્રણ બદલ ઉમિયાધામ ઊંઝાના ટ્રસ્ટીગણ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે મંદિર સાથે અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ અહીં ધમધમતી થશે માત્ર મંદિર જ નહિ પણ પાટીદાર સમાજ ઉત્કર્ષની પણ પગદંડી બનશે. આ શિલાન્યાસ એ શ્રધ્ધા, ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનો શિલાન્યાસ છે. તેઓએ ૫૧ કરોડ જેટલા મા ઉમિયા શરણમ મમ ના મંત્રો લખીને માં ની ભક્તિનું દિવ્ય વાતાવરણનું સર્જન કરનાર સર્વેને સાધુવાદ પાઠવ્યા હતા.

શાહે કહ્યું હતું કે પાટીદાર સમાજના ધાર્મિક સંસ્થાઓ દ્વારા થઈ રહેલ પ્રવૃત્તિઓ તમામ સમાજિક સંસ્થાઓ માટે શીખ રૂપ છે. ઊંઝા ખાતે અને હવે અમદાવાદમાં પણ સ્થિતમાં ઉમિયા નું મંદિર પાટીદાર ઉપરાંત સર્વે સમાજ માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરે અનેક ચઢાવ ઉતાર જોયા, મંદિર તૂટ્યું, ફરી બન્યું, ૧૮૦૦ વર્ષની આ યાત્રા જ દર્શાવે છે કે ગમે તેવા વિઘ્નો આવે પણ શ્રધ્ધા હોય ત્યાં પુનઃ સ્થાપિત થવાય છે. પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ અને ગુજરાત તથા દેશના ઉત્કર્ષના ઈતિહાસ એકબીજા સાથે જોડાયેલા છે. પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ટા, શિક્ષણની લગન, ખંત અને મહેનતથી દેશની પ્રગતિમાં ઉદાહરણરૂપ યોગદાન આપ્યું છે.

પાટીદાર સમાજનો વિકાસ અને ઉત્થાન અને ગુજરાતના વિકાસ અને ઉત્થાન ને સામે રાખવામાં આવે તો બંનેનો ગ્રાફ એકસરખો જોવા મળશે. ગુજરાતના વિકાસ અને પ્રગતિમાં પાટીદાર સમાજે આપેલ યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. શાહે જણાવ્યું હતું કે અનેક વર્ષોથી હિન્દુ મંદિરો અપમાનિત અને જીર્ણ અવસ્થામાં હતા. કોઈએ તેના પુનઃ નિર્માણ કે નવીનીકરણ પ્રત્યે ધ્યાન ન આપ્યું. ૨૦૧૪ માં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથના દર્શન અને માં ગંગાની આરતી બાદ સતાના સૂત્રો સંભાળ્યા ત્યારથી એક નવા યુગની શરૂઆત થઈ છે.

આપણા મંદિરો માત્ર ધર્મના જ નહીં પણ સમાજ સેવાના, અનેક નિરાશ લોકોને આશાનું કિરણ બતાવતા ઉર્જાના કેન્દ્રો – સમાજને એક તાંતણે બાંધતા આસ્થાના પ્રતિક છે. દેશના મંદિરોના પુનઃ નિર્માણ થકી પીએમ મોદી મોદીએ લોકોની ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના સંવર્ધનનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. સમારંભમાં સર્વેને અપીલ કરતા શાહે કહ્યું હતું કે કોરોના સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે ત્યારે તેમની સામે લડવાનો, બચવાનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ રસીકરણ છે. આપણે સૌ રસીનો બીજો ડોઝ લઈએ અને ગુજરાત સ્વસ્થ રહે તે માટે કટિબદ્ધ બનીએ.

Most Popular

To Top