Comments

માસ પ્રમોશનનો નિર્ણય યોગ્ય જ છે!

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંતે ધોરણ દસની બોર્ડ પરીક્ષા રદ કરી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે.
વર્તમાન કોરોના મહામારીમાં આ સિવાય બીજો કોઇ રસ્તો જ ન હતો. આમ છતાં ઘણી બધી દલીલો આ નિર્ણય વિરુધ્ધ થઇ રહી છે. યોગ્ય અને પ્રામાણિક દલીલો થાય એ આવકારદાયક છે, પણ કેટલીક હાસ્યાસ્પદ અને ગુજરાતના શહેરી મધ્યમ વર્ગના વાલીઓને શંકામાં નાખવા હેતુપૂર્વક ખોટી દલીલો રમતી મૂકવામાં આવી છે ત્યારે આપણે માત્ર ને માત્ર શિક્ષણના સંદર્ભે આ નિર્ણયની ચર્ચા કરીએ! સૌ પ્રથમ તો એ યાદ રાખવું જોઇએ કે નવી શિક્ષણનીતિમાં અને છેલ્લા ઘણા સમયથી શિક્ષણવિદો કહી જ રહ્યા કે હવે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા રદ કરો. હવે જે પરીક્ષા આમ પણ રદ થવાની છે એ આ વર્ષે રદ કરી તો વાંધો શું આવ્યો.

બીજો મુદ્દો એ છે કે પરીક્ષા એ શિક્ષણ – કેળવણી પછીની બાબત છે. ગયું આખું વર્ષ વર્ગખંડ શિક્ષણ જ નથી થયું! તો હવે પરીક્ષા શેની? અને શું કામ? એક – બે મહિના વર્ગખંડ શિક્ષણ થયું અને ઓનલાઇન થયું! – એ બોર્ડની પરીક્ષા યોજવા પૂરતું ન હતું! માટે બોર્ડની પરીક્ષા તો લઇ શકાય તેમ જ ન હતી. હવે અહીં કેટલાક સંચાલકોની એવી દલીલ છે કે બોર્ડની પરીક્ષા રદ કરી શાળા કક્ષાએ અમને પરીક્ષા લેવા દીધી હોત તો સારું થાત! હવે દસમામાં ભણતા બધા જ અગિયારમામાં પ્રવેશ માંગશે!

બસ આ પ્રશ્ન પરીક્ષાની તરફેણમાં મુખ્ય છે. આ પ્રશ્ન બધા સંચાલકોનો નથી, ગામડાની નાની શાળાઓનો નથી. આદિવાસી કે છેવાડાના ગામડાની શાળાઓનો નથી. આ પ્રશ્ન રાજયનાં મોટાં શહેરોની ફાઇવસ્ટાર કલ્ચર ધરાવતી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલોનો છે. ખાસ તો સાયન્સ પ્રવાહના એડમિશનનો છે. કારણ કે દસમાના બધા જ છોકરા પાસ થઇ જતાં બધાને અગિયારમામાં એડમિશન આપવું પડે! અને મેરીટ મુજબ એડમિશન, બીજી સ્કુલમાંથી આવનારાને એડમિશન, સાયન્સ પ્રવાહમાં એડમિશનનું જે બજાર ખૂલે છે દર વર્ષે એ બંધ પડે! ખાસ સમજજો. જેમ અખા ત્રીજના દિવસે લોકડાઉન હોય તો સોના-ચાંદીના વેપારીઓને નુકસાન થાય એમ માસ પ્રમોશનથી અગિયાર સાયન્સના એડમિશન બજારને નુકસાન થયું છે. માટે આ લોકો માસ પ્રમોશનથી બેકારી વધશે! વિદેશ પ્રવાસમાં તકલીફ વધશે.

આર્ટસ – સાયન્સ – કોમર્સ પ્રવાહ નકકી કરવામાં તકલીફ પડશે જેવા વાહિયાત મુદ્દા ચલાવે છે. અલ્યા ભાઇ ખુદ CBSC એ દસમાની પરીક્ષા રદ કરી, દેશનાં મોટા ભાગનાં રાજયોએ રદ કરી, દુનિયાના ઘણા દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે ત્યાં તો શિક્ષણ જ બંધ છે. એમને કાંઇ નહિ થાય અને એકલા ગુજરાતના દસમા બોર્ડમાં હતા એમને જ થશે! વિદેશનીતિ ભારત સરકાર જ નકકી કરે છે. આખી દુનિયાને ખબર છે કે અત્યારે પરીક્ષા નથી લઇ શકાતી, કદાચ કયાંક ‘દસમું પાસ’ માંગતા હશે તો સરકારો જ એ નિયમ બદલી નાખશે! ટેકનીકલી પણ પરદેશ જનારા આગળ ભણવાના છે. ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએટ થવાના છે! અને તેના આધારે જ પરદેશ જવાના છે. વળી બેકારી તો વધે જ કયાંથી ઉલટાનું રોજગારી વધે. તાત્કાલિક અગિયારમા ધોરણના વર્ગ વધારવા પડશે.

શિક્ષકો રાખવા પડશે! અને ખરેખર તો દસમાની પરીક્ષાનું પરિણામ આવે ત્યારે 40% તો નપાસ થતા હોય છે. એમાંથી 20% ભણવાનું છોડી કામ શોધતા હોય છે. આપણે બધાને પાસ કરી દીધા તો ભણવાનું છોડી જનારા ઘટશે માટે કામ શોધનારા ઘટશે…. વધશે કેવી રીતે? એક સૌથી અગત્યનો મુદ્દો પરીક્ષાની તરફેણ કરનારાને પૂછવો છે કે માન્યું કે પરીક્ષા લેવી જ જોઇએ તો મૂળ પ્રશ્ન એ કે તે કયારે લેવાય? કેવી રીતે લેવાય! કારણ રાજય અને દેશના હાલના સંજોગોમાં જનજીવન સામાન્ય નથી તો સ્કૂલો ખોલવાની તો વાત જ કયાં? વળી ઘણાં કહેશે કે બધું શાંત થાય ત્યારે પરીક્ષા લેવાની! આ બધાને પૂછવું છે કે બધું શાંત કયારે થશે! જૂનમાં? ઓકટોબરમાં? લખીને આપો છો! શું ત્યાં સુધી વિદ્યાર્થીના માથે લટકતી તલવાર રાખવાની? વૈજ્ઞાનિકો તો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે.

મૂળ વાત એ છે કે પરીક્ષા ઘરમાં બેસીને આપવાની હોય તો પણ માહોલ એ નથી કે તેર – ચૌદ વર્ષનું બાળક પરીક્ષા આપી શકે. કોરોના મહામારીના વધેલા સંક્રમણમાં દરેક ઘરમાં ખાટલા થયા છે. મરણ થયાં છે. પરિવાર આઘાતમાં આવ્યા છે ત્યારે છેલ્લા ત્રણ ચાર મહિનાથી પ્રત્યેક બાળક માત્ર તાણમાં જીવે છે. સંચાલકોને ખબર છે કેટલાં બાળકોએ મા-બાપ ગુમાવ્યાં છે! સ્વજન ગુમાવ્યાં છે! શું એ બાળકોની માનસિક સ્થિતિ કોઇ પણ પ્રકારની પરીક્ષા આપવાની હતી? છે? માત્ર પોતાના ધંધા માટે વાહિયાત દલીલો કરવાની! સાચો પરિપકવ સમાજ શિક્ષણની ચિંતા કરે… સંસ્થા અને પરીક્ષાની નહિ. આપણે ત્યાં શહેરોમાં શિક્ષણ કરતાં સંસ્થા એટલે કે શાળાનું મહત્ત્વ વધારે છે અને કેળવણી આવડત કરતાં ટકા – પરિણામનું મહત્ત્વ વધારે છે. માટે પરીક્ષા તો લેવી જ એવી વાત થાય છે. હમણાં જ એક સ્વજને કહ્યું કે ‘બધાને પાસ કરી દેવાના પણ પરીક્ષા લઇને….’ મતલબ નાટક કરવાનું, દંભ કરવાનો. અને છેલ્લે, શિક્ષણના કોઇ કાયદામાં એવું નથી લખ્યું કે અગિયારમા ધોરણમાં વિદ્યાર્થીને આર્ટસ, કોમર્સ, કે સાયન્સ દસમાના ટકાને આધારે જ અપાય! બાળક કે વાલીએ નકકી કરવાનું હોય છે કે તેણે કઇ લાઇન લેવી. દસમાના હોશિયાર વિદ્યાર્થી આર્ટસ પણ લેતા હોય છે. સાવ સાદા વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ લઇને મોટા ડોકટર એન્જિનિયર બને છે.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top