Gujarat Main

માંતેલા સાંઢની જેમ દોડતી ટ્રકે ટક્કર મારતા કારનું પડીકું વળી ગયું, મોરબીના ચાર દરબારોના મોત

સુરેન્દ્રનગર (Surendranagar) : આજે બુધવારે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. મોરબીથી (Morbi) કડી (Kadi) જતા દરબારોની કારને પાટડી નજીક એક ધસમસતી ટ્રકે (Truck) ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારની અંદર બેઠેલા ચારના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં ચારના ઘટના સ્થળે જ મોત થયા છે. દસાડા-જૈનાબાદ હાઈવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની જેમ ધસમસતા દોડતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.

મોરબી પાસેના વિરપરડા ગામના દરબારો સ્વિફ્ટ કારમાં દેત્રોજ જઈ રહ્યાં હતાં ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચેના વળાંક પર સામેથી આવતા રાજસ્થાન પાસિંગના ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું પડીકું વળી ગયું હતું. ચારપાંચ ગુંલાટી મારી કાર રોડ સાઈડના ખેતર પર પડી હતી. કારમાં સવાર ચાર લોકો કચડાઈ જતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ અને 108ને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જ્યારે 108 દ્વારા મૃતદેહોને નજીકની પાટડીની સરકારી હોસ્પિટલમાં પોર્સ્ટમોર્ટમ માટે મોકલાયા હતા. સ્વિફ્ટ કાર કુલદીપસિંહ પરમારના નામે હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ચારેય મૃતકો મોરબી જિલ્લાના વતની છે. ત્રણ લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ છે. ગઈકાલે રાત્રે કુકવાવ પાસે એક અકસ્માત થયો હતો જેમાં તેઓના સાસરી પક્ષના કોઈ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તેની લૌકિક ક્રિયામાં જતી વખતે આ ચારેય દરબારોની કારને અકસ્માત નડ્યો હતો. ચારેયના મોત નિપજ્યા છે.

Most Popular

To Top