Gujarat

સાળંગપુર: ભીંતચિત્રો હટાવવા આકરો વિવાદ, સાધુ સંતોએ સનામત ધર્મનું અપમાન નહીં કરવા ચેતવણી ઉચ્ચારી

ગાંધીનગર: પ્રસિદ્ધ સાળંગપુર (Sarangpur) ધામ ખાતે 54 ફૂટની હનુમાનજીની (Hanumanji) પ્રતિમાના (Statue) નીચેના ભાગે અજરામર હનુમાનજી મહારાજના કેટલાંક ભીત ચિત્રો તૈયાર કરીને લગાવાયા છે. જેમાં અજરામર હનુમાનજી મહારાજને સ્વામીનારાયણ સંતોના દાસ તેમજ સંતોને વંદન કરતાં દર્શાવાયા છે, જેના પગલે આજે પણ રાજયભરમાં સાધુ સંતો આકરા પાણીએ આવી ગયા છે.

આજે પણ સાધુ સંતોએ સતત માંગ કરી હતી કે વહેલામાં વહેલી તકે આ ભીંત ચિત્રો હટાવવા જોઈએ. સનાતન વેદ ધર્મની સાથે કોઈ છેડછાડ ચલાવી લેવાશે નહીં , આ ભીત ચિત્રો નહીં હટાવાય તો ધર્મ યુદ્ધ થશે. ખાસ કરીને આ ભીત ચિત્રો કોી ભકત્ત દ્વારા જ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાયા છે. જેના પગલે વિવાદ વકર્યો છે. સાધુ-સંતોએ મંદિરના ટ્રસ્ટીઓને આગામી પાંચ દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા અલ્ટીમેટમ આપ્યું છે. જો તેમ નહીં થાય તો તેમણે ઉગ્ર આંદોલન ચલાવવાની પણ ચિમકી ઉચ્ચારી છે.આ મામલો વડતાલ સ્વામિનારાયણ ટ્રસ્ટની મિટિંગ મળવાની હતી પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી

જૂનાગઢના મહંત હરી આનંદ બાપુએ આ પ્રકારના ચિત્રને શખ્ત શબ્દોમાં વખોડ્યા છે. હરી આનંદ બાપુએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આ પ્રકારના ચિત્ર અંગે સંત સમાજ આક્રોશમાં છે. સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું કૃત્ય ન કરવું જોઇએ.
જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવા ઢોંગી સાધુ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે, તેના કારણે અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને પણ આનંદ થાય છે. તેથી આવા કૃત્ય કરનારને માફી નહીં મળે.

ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, તે વ્યાજબી ના કહેવાય. આ ધર્મ ના કહેવાય. તેમણે સવાલ કર્યો કે આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છો કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડો છો. આના કારણે અમને ઘણું દુઃખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.

રામ કથાકાર મોરારીબાપુએ સાળંગપુર મંદિર વિવાદ મામલે નિવેદન આપ્યું છે. મોરારીબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. મોરારીબાપુએ સમાજને આ બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે. મહંત હરી આનંદ બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.

કચ્છમાં આવેલા કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ હનુમાનજી મહારાજના ભીંતચિંત્રોને લઇ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ મામલે કહ્યું હતું કે, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી. તેમણે એમ પણ જણાવ્યું છે કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમને પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. મણિધર બાપુએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે, આ તેમની મસમોટી ભૂલ છે તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં.

રામેશ્વર બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. રામેશ્વર બાપુએ કહ્યું કે આજે ઘણા લોકોએ જડતાની સાથે હનુમાનજીને એક સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા છે. આ કૃત્ય જેણે કર્યુ છે તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે. તમે જે કરવા જઈ રહ્યાં છો તે સનાતમ ધર્મની વિરૂદ્ધ છે. રામેશ્વર બાપુએ જણાવ્યું કે ચેતી જાવ, પાછા વળી જાવ સનાતન ધર્મ આદીઅનાદી છે.
સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલી ભીત ચિત્રોમાં અજરામર હનુમાનજી મહારાજને ને સ્વામીનાયારણ સંતોના દાસ તેમજ સેવક હોય તે રીતે દર્શાવાયા છે. સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સ્વમીનારાણ સંતોને પગે લાગીને દાસ તરીકે ચિતરવામાં આવ્યા છે.

Most Popular

To Top