Surat Main

પેરાલિમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓના સન્માનમાં સુરતના ઉદ્યોગપતિઓએ અનાથ બાળકોને હવાઈ યાત્રા કરાવી

સુરત: (Surat) ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં (Paralympic) ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની સુરતમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ખેલાડીઓના શ્રેષ્ઠ દેખાવને બિરદાવવા માટે સુરતની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓના માલિકોએ કતારગામ અનાથ આશ્રમમાં (Orphanage) રહેતા અને શિક્ષણ તથા રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આઠ બાળકોને (Childrens) પસંદ કરી પોતાના નવા નવ સિટર એરક્રાફટમાં સુરત દર્શનની ટુર કરાવી હતી. બાળકો રમતગમતથી પ્રેરાઇ અને ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પ્રત્યે ગર્વ અનુભવે તે હેતુથી આ યાત્રા શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા કરાવવામાં આવી છે. આ બાળકોએ 20 મિનિટ સુધી વિમાનમાં મુસાફરી (Air travel) કરવાનો આનંદ માણ્યો હતો.

સુરતના આકાશમાં વીસ મિનિટ સુધી બાળકોને ફેરવી જીવનની પ્રથમ હવાઇ યાત્રાનો સુખદ અનુભવ કરાવ્યો હતો. સુરતના બે હીરા ઉદ્યોગકાર અને એક બિલ્ડરની કંપની દ્વારા આ એરલાઇન્સ કંપની બનાવવામાં આવી છે. સુરતના સૌથી જૂના એવા અનાથાશ્રમના બાળકોને જ્યારે ખબર પડી કે ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓના કારણે તેમને આ હવાઇ યાત્રા કરવાની તક મળી છે. ત્યારે તેઓ પણ આનંદિત થઈ ગયા હતા.

એરલાઈન્સ કંપનીના CEO મનુભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, સુરતના લોકો 30થી 45 મિનિટમાં સૌરાષ્ટ્ર પહોંચી રહે આ માટે સુરતના ત્રણ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકિયા અને લવજી બાદશાહ દ્વારા વેન્ચુરા એરકનેકટની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા 7 વર્ષથી સુરતમાં પોતીકી એકમાત્ર એરલાઇન્સ કાર્ય કરી રહી છે. પેરા ઓલિમ્પિક અને પહેલા ઓલિમ્પિકમાં ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી આ ત્રણેય ઉદ્યોગપતિ આટલી હદે પ્રભાવિત થયા કે તેની ઉજવણી કરવા માટે તેઓએ અનાથ આશ્રમમાં ભણતા બાળકોને હવાઈ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

કતારગામ અનાથ આશ્રમ ખાતે રહેતા આવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે, તેવા બાળકોને હવાઈ યાત્રા કરાવી છે. આ એવા બાળકો છે કે જેઓએ જીંદગીમાં ક્યારે એરપોર્ટ જોયું નથી અને વિમાનમાં બેઠા નથી એવા બાળકોને 20 મિનિટ સુધી હવાઈ યાત્રાની તક મળતા તેઓ ખુશખુશાલ થયા હતા.

Most Popular

To Top