Top News

More Posts

   The Latest

Most Popular

તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણય લીધો છે તે સ્તુત્ય અને આવકારદાયક છે. પીએમસી બેંક જેવા કૌભાંડ ફરીથી ન થાય અને ડિપોઝીટરોના હિતોનું રક્ષણ થાય તે માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી સહકારી બેંકો પાસેથી લોન લઈને ન ભરનારાઓને રાજકીય રક્ષણ મળી જતું હતું. તેની સામે કાયદેસર પગલાં લેવામાં પણ રાજકીય દખલગીરીને કારણે અવરોધ આવતો હતો.

રિઝર્વ બેંકના હાથમાં તેની બાગડોર મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પરિણામે સહકારી બેંકો પરનું રાજકારણીઓનું નિયંત્રણ અને દખલગીરી ઓછી થઈ જશે. સહકારી બેંકોમાં થતી રાજકીય ભરતી ઉપર પણ બ્રેક લાગી જવાની સંભાવના છે. સહકારી બેંકો ફડચામાં જાય તે પછી બાકી લેણાની રિકવરી કરવા માટે નિયુક્ત કરાતા અધિકારીઓની નિમણુંક રાજકીય રીતે થતી હોવાથી પૈસાની રિકવરીમાં ઢીલ થતી હતી. પરિણામે રૂપિયા ચાર લાખ સુધીની વીમા સુરક્ષિત રકમની ઉપરની ખાતામાં પડેલી રકમ પરત મળવામાં દાયકાઓ નિકળી જાય છે.

હવે રિઝર્વ બેંકના અધિકારીઓને આ કામગીરી સોંપાય તો તેમના થકી રિકવરીની પ્રક્રિયા વધુ ઝડપથી થવાની અને વીમા સુરક્ષિત રકમ કરતાં વધુ રકમ ખાતામાં ધરાવતા થાપણદારોને તેમના બાકીના નાણાં પ્રમાણમાં ઝડપથી પાછા મળી શકે તેવા સંજોગોમાં નિર્માણ થશે. રિઝર્વ બેંકની જ નજર રહેશે અને બેંકો ઓછી સંખ્યામાં ફડચામાં જવાને કારણે થાપણદારોમાં બેંકો પ્રત્યેના વિશ્વાસમાં વધારો થશે. આ તમામને કારણે બેંકોની કામગીરીમાં પારદર્શકતા આવશે અને વધુ જવાબદારીથી ફરજ બજાવશે જેથી બેંકોની સંગીનતામાં પણ વધારો થશે.
સુરત. – મહેશ વ્યાસ

To Top