Business

સાઉથની નયનતારા બોલિવુડમાં નજરે ચઢશે

શાહરૂખ ખાન ‘પઠાણ’ ઉપરાંત જે કેટલીક ફિલ્મોમાં રોકાયેલો છે તેમાંની એક ‘લાયન’ છે. આ ફિલ્મમાં તેની હીરોઇન નયનતારા છે. હમણા શાહરૂખ, નયનતારા ‘લાયન’ના શૂટિંગમાં બિઝી છે. 18મી તારીખે આ શૂટિંગ રોડયુલ પૂરું થતાં નયનતારા ચેન્નઇ પાછી ખળશે. ‘કાથુવાકુલા રેંડુ કાઘલ’ નામની તેની ફિલ્મ રિલીઝ થવાની છે. નયનતારાને શાહરૂખની હીરોઇન એટલી એ બનાવી છે. પહેલા તેણે નયનતારાવાળી ભૂમિકા માટે સમેન્થા નક્કી કરેલી પણ પછી તેણે ના પાડેલીઅ ને તેનું કારણ તે ગર્ભવતી થઇ હતી તે હતું. આવું તો થતું હોય છે પણ જેમ રશ્મિકા મંદાના ‘પુષ્પા: ધ રાઇઝ’ પછી હિન્દી ફિલ્મો મેળવવા માંડી છે તેમ નયનતારા પણ એન્ટ્રી મેળવી ચુકી છે.

સાઉથના નિર્માતા યા દિગ્દર્શક હોય તો સાઉથના કળાકારો માટે આટલું જ કરે જ. એટલી કુમાર શાહરૂખ સાથે જે ‘પાન ઇન્ડિયન’ ફિલ્મ બનાવી રહ્યો છે તેમાં સાઉથના થલપતિ વિજયને પણ તક આપશે. સાઉથની ફિલ્મોવાળાને મુંબઇની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરોનો ખપ જેટલો નથી હોતો એટલો હીરોઇનોનો હોય છે અને એજ રીતે હિન્દી ફિલ્મોદ્યોગવાળા પણ સાઉથના હીરોને નહીં, ફકત હીરોઇનોને જ તક આપે છે. ભૂતકાળમાં વૈજયંતીમાલા, વહીદા રહેમાન, પદ્મિનીથી માંડી રેખા, જયાપ્રદા, શ્રીદેવીને આ રીતે તક મળી છે. હવે રશ્મિકા મંદાના ઉપરાંત નયનતારા આવી રહી છે. નયનતારાએ આ પહેલાં સીધુ હિન્દી ફિલ્મમાં કામ નથી કર્યું પણ તેની 23 જેટલી સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબ્ડ થઇને આવી ચુકી છે એટલે પ્રેક્ષકો તેને ઓળખે છે. તેની આ ફિલ્મોમાં નાગાર્જૂન, વેંકટેશ, રાણા દગ્ગુબાતી, ધનુષ, રજનીકાંત, રવિ તેજા, પ્રભાસ, એન.ટી.આર. જૂનિયર જેવા હીરો હતા.

આ હીરોની યાદી જોતાં સમજાશે કે નયનતારા ત્યાંની એક સ્ટાર એકટ્રેસ છે. નયનતારાનું મૂળ નામ ડાયેના મરિઅમ કુરીઅન છે અને તમિલ તેલુગુ, મલયાલમ ફિલ્મોમાં તેનો સિક્કો ચાલે છે અને તેને સાઉથની ફિલ્મોની લેડી સુપરસ્ટાર ગણવામાં આવે છે. નયનતારાના પિતા ઇન્ડિયન એરફોર્સના અધિકારી હતા અને નયનતારા ભારતના ઘણા ભાગોમાં રહીને ભણી છે એટલે હિન્દી ભષા બાબતે ય તેને વાંધો નથી. ગુજરાતનાં જામનગરમાં હતી ત્યારે ગુજરાતી સ્કૂલમાન જ જતી. સાઉથની સ્ટાર હોય તે ડાન્સમાં સારી હોય, સેકસી દૃશ્યો આપવા માટે આનાકાની ન કરતી હોય. નયનતારા તેની આવી કવોલિટી પણ શાહરૂખ સાથેની ફિલ્મમાં દાખવશે. જો કે તે સારી એકટ્રેસ છે અને વિદ્યાબાલન અભિનીત ‘કહાની’ની જયારે સાઉથમાં ‘અનામિકા’ નામે રિમેક બનેલી તો વિદ્યાવાળી ભૂમિકા તેણે કરેલી. નયનતારાની અંગત જિંદગીની ય કહાણી લોકોએ વાંચી છે. પહેલાં તેને સિલમ બારાસન નામના હીરો સાથે પ્રેમ થયેલો પણ અમુક વર્ષમાં તૂટી ગયો પછી ‘વિલુ’ ફિલ્મ વેળા તે પ્રભુ દેવાના પરિચયમાં આવી અને લવ સ્ટોરી શરૂ થઇ અને બંને લગ્ન કરવા તૈયાર થયા ત્યારે પ્રભુ દેવાની પત્ની લતા ફેમિલી કોર્ટમાં આ સંબંધની વિરુધ્ધમાં ગઇ. તેણે તો ભૂખ હડતાળ પર જવાની ય ધમકી આપેલી. આ પછી તો અનેક સંગઠનોએ નયનતારા સામે દેખાવો કરેલા. આખર નયનતારાએ કહેવું પડયું કે મારે હવે દેવા સાથે કોઇ લેવાદેવા નથી. •

Most Popular

To Top