SURAT

સુરતઃ બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલા પુત્રના દુઃખમાં માતા ખાડીમાં કૂદી ગઈ

સુરતઃ પ્રત્યેક માતા પોતાના સંતાનોને સૌથી વધુ પ્રેમ કરતી હોય છે. જો સંતાનોને કંઈક થઈ જાય તો માતા તે દુઃખ સહન કરી શકતી નથી. આવી જ સ્થિતિ સુરતમાં એક માતાની થઈ હતી. પુત્રના વિરહમાં માતા ખાડીમાં કુદી ગઈ હતી. ફાયર બ્રિગેડે ડૂબતી માતાનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં પોતાના દીકરાના મોત બાદમાનસિક તણાવ અનુભવતી માતા દેવીબેને અલથાણ ખાડીમાં મોતની છલાંગ મારી હતી. સદનસીબે રાહદારીની તત્પરતા અને ફાયર બ્રિગેડના જવાનોની ઝડપી કામગીરીના કારણે વૃદ્ધ માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જો કે, વૃદ્ધ મહિલાના આપઘાતનું કારણ સાંભળી લોકોની આંખો છલકાઈ હતી.

દેવીબેન પાંડેસરાના શ્રમજીવી પરિવારમાંથી આવે છે. બે પુત્ર અને વહુ સાથેના સંસારમાંથી એક પુત્રના વિયોગે તેમને તોડી નાખ્યાં હતા. દીકરાના મૃત્યુ પછીનો દરેક દિવસ તેમનાં માટે ભારરૂપ બની ગયો હતો. આખરે માનસિક આઘાતે તેમને મનમાં આત્મહત્યાના વિચારે જન્મ લીઘો હતો.

ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીના દૃશ્યો લાઈવ સામે આવ્યા હતા. જ્યાં દેવીબેનને ગંદા ખાડીના પાણીમાંથી બહાર લાવતા સમયે તેમના આંસુઓ કોઈપણની આંખમાં પાણી લાવી શકે. ઘટનાના 10 મિનિટ પછી પણ તેઓ “મારો દીકરો પાછો લાવો” કહ્યાં કરતા હતા, જેનાથી ત્યાં ઊભેલા લોકોના દિલ દ્રવી ઉઠ્યા હતાં.

ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની મદદથી દેવીબેનને તરત જ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. તેમના પતિ અને બીજા દીકરા-વહુ આ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા. હાલમાં સિવિલમાં દેવીબેનની સ્થિતિ સ્થિર છે. દેવીબેનનો પરિવાર ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતો શ્રમજીવી પરિવાર છે. આ ઘટના બાદ પરિવાર ફફડી ઊઠ્યો છે.

Most Popular

To Top