Comments

મામાનું ઘર કેટલે દીવા બળે તેટલે..!

શૈલી એટલે મારી પોતાની જ વાઈફ..! (બીજાની વાઈફમાં ડોકિયાં કરવાની મને આદત નથી.) આમ તો વાઈફનું પૂરું નામ ‘સહસ્ત્ર કલાગુણધારીણી’પણ, બોલવા માટે ‘રનર’રાખવો પડે, એટલે શોર્ટમાં ‘શૈલી’થી સંબોધીને વાર્તા પૂરી કરી લઉં..! અનુકરણ કરવાની છૂટ છે..! સ્પષ્ટ ચોખવટ એટલા માટે કરી કે, જ્યાર થી ચંદ્રયાન-૩ ચંદ્ર ઉપર ઉતર્યું છે, ત્યારથી ‘શૈલી’માં પિયરનો પવન ભરપૂર ભરાય ગયો છે બોસ..! માત્નાર ઝોકું આવે તો પણ પિયરનું સ્વપન આવે..! વાત જાણે એમ છે કે, મારી સાસરીનું ગામ ચંદ્રપુર, પણ છોકરાઓ ચાંદાને મામા કહે એમાં એ ચંદ્રની ધરતીને પણ પિયર સમજે..! બાકી મારું સાસરું એટલું નજીક કે, બાઈકનું બીજું ગીયર પણ બદલવું નહિ પડે, એક જ ગિયરમાં આવી જાય..! પણ પિયર એટલે પિયર..! પત્ની માટે ચાર ધામની યાત્રા ઉપરાંતનું પાંચમું ધામ એટલે પિયર..! હોવું જ જોઈએ ને યાર..?

કદાચ આ છેલ્લી જ પેઢી હશે કે, ‘જેની પાસે મામા-મામી- કાકા-કાકી- ભાઈ-ભાભી-બહેન-બનેવીનો સ્ટોક હવે બચવા પામ્યો હોય..! જોતજોતામાં આવાં સંબંધના સુપડા હવે સાફ થવા માંડ્યા..! બધાં ‘અંકલ-આન્ટી‘માં ‘કન્વર્ટ’થવા લાગ્યા. ‘OLD IS BOLD..!’ ‘જૂની આંખે નવા તમાશા આવવા માંડ્યા..! દિને દિને નવમ નવમ..ની માફક સગાવાદમાં પણ ફેણવાળી ફેશન બેસવા માંડી..! કોઈને ભાઈ કે બહેન કહેવા હોય તો, ધરમના ભાઈ બહેન બનાવવા પડે..! પછી એ જેવાં મળે તેવાં, ખપ પૂરતા ઉતારા કરીને વાર્તા પૂરી કરી લેવાની..!

હજી થોડીક ઈસ્વીસન જવાદો, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી બતાવવા લઇ જવું પડે, એમ કાકા-માસી-ભાઈ-ભાભીની ઓળખ આપવા આલ્બમ ઉથલાવવાનો વખત પણ આવશે. જો, આલ્બમમાંથી ડોહા-ડોહીના ફોટા નાબુદ કરીને નટ-નટીઓના ફોટા ‘ડાઉનલોડ’ નહિ થયા હોય તો..! રખે માનતા કે, મંદી માત્ર શેર બજારમાં જ આવે. સગાઓની ઉપજમાં પણ મંદી આવવા માંડી. સંબંધોની માયાજાળ ઉપર બુલડોઝર ફરવા માંડ્યું, માણસ લોકોને હવે એટલો વાસી લાગવા માંડ્યો કે, માણસ કરતાં કુતરાઓ સાથે સંબંધ વધવા માંડ્યા..!

ભલે બંધુ પ્રેમ રાખે, એનો પણ વાંધો નહિ, પણ માણસ સાથે કુતરા જેવાં ને કુતરા સાથે માણસ જેવાં સંબંધ વધે એની વેદના છે. ચંદ્ર ઉપર પહોંચી ગયા પછી સારું નહિ લાગે..! અસ્સલની વાત કરીએ તો, ઘર કેવું ભરચક રહેતું. ઘર છે કે નિશાળ એની ખબર જ નહિ પડતી. એટલી છોકરાઓની સિલ્લક રહેતી. એક ને હાંક પાડો તો પાંચ ફરજંદ હાજર થઇ જતાં. સીમા હૈદરને તો ચાર જ બાળક છે, બાકી અમુકને ત્યાં તો અઠવાડીયાના સાતેય વારના નામ સચવાય જાય એટલો સ્ટોક..! બાકી ‘પાવર-કાપ’તો મોડો આવેલો..! ત્યારબાદ મોંઘવારીએ એવી માઝા મૂકી કે, ‘અમે બે ને અમારા બે ‘થયાં. અને હવે તો સમ ખાવા પુરતું એક જ ફરજંદ.! (પૃથ્વીનું બેલેન્સ પણ જોવાનું ને યાર..?)

અહાહાહા..! ટુકી ચડ્ડીમાં રમતા ત્યારે ચાંદો જોઇને ગાતાં કે, ‘મામાનું ઘર કેટલે દીવા બળે એટલે..!’સાલું, મામા બોલીએ એટલે મધથી મોઢું ભરાય જતું. ડબલ એન્જીનની સરકારની માફક ડબલ મા નો પાવર આવી જતો. હા કે ના..? જેવું વેકેશન પડે એટલે, મોસાળમાં જઈને દુબઈના સુલતાનની માફક મામાનો કેડો નહિ મૂકતા. સાથે ફરતાં, ને મામી પણ મા બની જતી..! આજે તો, મામાનો જ મામો ખોવાય ગયો હોય ત્યાં, આપણા મામાના ભાગ્યનું પૂછવું જ શું..? બાકી એક જમાનો હતો કે, ચપટી વગાડો એટલે ૫-૭ મામા-મામી કે માસા-માસી હાજરા-હજૂર થઇ જતાં.

જ્યારથી ‘ઓછાં બાળ જય ગોપાળ’ની કાતર ફરી, ત્યારથી જેમ પરચુરણ છૂમંતર થઇ ગયું એમ, મામા-માસી-કાકા શોધવા હોય તો ધુળધોયાને ભાડે રાખવા પડે. બિચારા સીનું બદલે મામા-માસી તો શોધી લાવે..? મામો ભલે ને તકલાદી હોય, તો પણ છાતી ઠોકીને કહેતાં કે, ‘મામાનું ઘર કેટલે, દીવા બળે એટલે’એ ખુમારી ને ખુમચો હવે વિલીન થવા માંડ્યો. ચાંદાને જ મામો કહેવો પડે..! ચંદ્રયાન-૩ ચાંદામામાને મળવા ગયું, એમાં વિશ્કવ તો રાજીના રેડ થયું, પણ સૌથી આનંદ અમને થયો કે, અમને અમારા મામા મળ્યા..! એક સમય એવો હતો કે ઘરની બહાર પાટિયું લગાવતાં, ‘માલિકની પરવાનગી સિવાય દાખલ થવું નહિ’હવે તો લોકોનાં હોંશલા જ એવાં રંગીન થઇ ગયા કે, છૂટે મોંઢે સંભળાવી દે કે, ‘મારી જીંદગીમાં કોઈએ દખલગીરી કરવી નહિ..!’

સૌ સૌના હોંશલાના ટેસ્ટ તો અલગ હોય જ ને મામૂ..? કોઈના સાદા ઢોસા જેવાં હોંશલા હોય, કોઈના મસાલા ઢોસા જેવાં હોય, કોઈના રવા મસાલા જેવાં કે મૈસુર મસાલા જેવાં પણ હોય..! જેવો જેનો ટેસ્ટ..! હોંશલાના જોશમાં એ તો ભૂલી જ જાય કે, મારી સાથે મૃત્યુ લપાયને બેઠેલું છે. માત્ર શ્વાસના નેટવર્ક ઉપર જ દૌડાદૌડી થાય છે…! નેટવર્ક ક્યારે છૂટી જાય એનો કોઈ ભરોસો છે યાર..? પાવર હોય ત્યાં સુધી જ પ્રકાશ પડવાનો..! પણ એમને કોણ સમજાવે કોણ કે, મુકેશ અંબાણીનો ફોટો ખિસ્સામાં રાખવાથી ધીરુભાઈ અંબાણીનાં દીકરા નહિ થવાય..! આજે તો, પંચાયતમાં પાંચ-પાંચવાર ડીપોઝીટ ગુમાવી ચુકેલા ચમનીયાને દિલ્હીની ગાદી ઉપર બેસવાની ચળ છે.

જેની પાસે ઠુંઠી સાઈકલના ઠેકાણા નથી તેને જેગુઆરમાં મ્હાલવાની ઉતાવળ છે. શ્રીશ્રી ભગાનો કુતરો જો ‘જગુઆર’માં ફરે તો તેની બળતરા રતનજીને છે..! સમજી જાવ ને કે, કોઈને ને કોઈને કોઈપણ વાતનો ડખો છે. એવાં હોંશલામાં જીવતરના કિલોમીટર ક્યારે ઝીરો થઇ જાય, એની જીવનારને જ ખબર નહિ પડે. કહેવાય છે કે, શ્વાસ પુરા થઇ જાય ને ઈચ્છા અધુરી રહે તો તેને મૃત્યુ કહેવાય, ને શ્વાસ પુરા થાય, ને ઈચ્છા પણ પૂરી થાય એને મોક્ષ મળ્યો કહેવાય..! એના કપાળમાં કાંદા ફોડું, મર્યા પછી નામ આગળ ‘સ્વર્ગસ્થ’લાગે, પણ કોઈના નામ આગળ ‘મોક્ષાર્થી’લાગ્યું હોય એવું સાંભળ્યું નથી..!

તબલાં-મંજીરા ને તંબુરામાં ગમે એટલું શુરાતન કાઢો, પણ આધાર માનવીના કર્મ ઉપર છે. પછી ભલે ને એક શ્રાવણ ઉપર અડધો શ્રાવણ ફ્રી કેમ નહિ હોય..? જે લોકો ભગવાનને બનાવે છે, એને ખબર નથી કે, જેને તું બનાવે છે, એ તો મેઝરટેપ લઈને જ ઉપર બેઠો હોય..! પછી થાય એવું કે, જીવવાનું સમજી રહે, ત્યાં સુધીમાં તો જીવતરના કિલોમીટર પૂરા થઇ જાય..! યમરાજ મારતા પાડે આવી પહોંચે કે, ‘ચલો બુલાવા આયા હૈ, સાહબને બુલાયા હૈ..! એકવાર ઉપરવાળાનો ‘બુલાવો’આવવો જ જોઈએ, એટલે ખેલ ખલ્લાસ..! નીચલી કોર્ટથી માંડીને નામદાર સુપ્રિમ કોર્ટ સુધી કોઈ પીટીશન હાથમાં નહિ લે. ચાલતી જ પકડવાની..!

રખે એવું માનતા કે, હું ઉપદેશ આપીને ભગવા પહેરાવવા આવ્યો છું, કે હિમાલયમાં મોકલવાની હલચલ કરી રહ્યો છું. ને તમે જવાના પણ નથી, એ પણ હું જાણું છું. વળી મારી ક્ષમતા પણ એવી નથી કે, રમેશ ચાંપાનેરીનો દરબાર ખોલું, ને લોકોના પરચા બહાર કાઢું. આ તો જાણીતા વિચારક-તત્વ ચિંતક-વાચસ્પતિ રસપ્રચુર લેખક પદ્મશ્રી ગુણવંતભાઈ શાહસાહેબનું એક વિધાન વાંચવામાં આવ્યું કે, ‘મરો ત્યાં સુધી જીવો’એના ઉપરથી અંતરનાદ ઠાલવ્યો..! એટલું તો ખરું કે, છત્રી અને દિમાગ ખુલ્લાં હોય તો જ સારાં લાગે, ને બંધ હોય તો બોજ લાગે એના જેવું છે..!

બાકી એકપણ જીવડો ભગવાન સાથે લેખિત કરાર કરીને આવ્યો નથી કે, ભૂમિના પટ ઉપર હું ધારું ત્યાં સુધી રહીશ, વચ્ચે કોઈ દખલગીરી કોઈએ કરવી નહિ..! એવી ખુમારીમાં જ ધરતીનો માલિક બનીને શ્વાસ બગાડે, પણ કહીએ કોને..? શ્વાસ ઘટે તો ‘વેન્ટીલેટર’થી કાલાવાલા કરે કે, થોડુક લંબાવી આપો ને..? પણ કુદરતના દરબારમાં બે નંબરના ચોપડાં હોતાં નથી, કે બાંધ-છોડ કરી આપે..! ઉપાડી લેવાનો સમય આવે ત્યારે એક સેકન્ડ વહેલો પણ નહિ ચલાવે, ને એક સેકંડ મોડો પણ નહીં..! યમરાજ પણ એવાં નિપુણ કે, એની ‘Buffalo flight’સમયસર landing થઇ જ જાય..! માટે જીવવામાં ઉતાવળ રાખેલી સારી. બાકી જેને જીવન જીવવાની ઉતાવળ નથી, એના માટે મૃત્યુ આવીને વિશ્રામગૃહમાં આરામ કરવાનું નથી..! શું કહો છો રતનજી..?

લાસ્ટ ધ બોલ
પત્ની : આજે સાંજનો શું પ્રોગ્રામ છે બેબી..?
પતિ : કંઈ નહિ ડાર્લિંગ..! રાબેતા મુજબ જીવ અને શિવનો એકાકાર કરી, માયાજાળથી લુપ્ત થઈને કડવા ઘૂંટડા ઉતારતા-ઉતારતા નિજ મંદિરમાં ડૂબકી મારી આતમખોજ કરવા માટે નિજાનંદમાં ખોવાય જવું છે, બેબી..!
પત્ની : વાયડીના ચોખે ચોખું કહી દે ને, કે દારુ ઢીંચવાનો પ્રોગ્રામ છે. તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top