Latest News

More Posts

ધણી જગ્યાએ એવી અફવાઓ આવી રહી છે કે પેટ્રોલ ડીઝલની અછત આવી શકે છે. જેને કારણે ઘણા પેટ્રોલ પંપ પર લોકોએ વાહનો સાથે કેરબા લઈને પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પહોંચી ગયા હતા. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાન-ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચાર વચ્ચે ભારતમાં પણ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં લોકો પેટ્રોલ પંપ પર મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ ખરીદતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો વાહન સિવાય કેન અને ડ્રમ લઈને ઈંધણ ભરાવવા પહોંચતા જોવા મળે છે, જ્યારે કેટલાક વીડિયોમાં તો લોકો પાણીની મોટી ટાંકીમાં પણ ડીઝલ ભરાવતા દેખાય છે. આ પ્રકારના વીડિયોથી લોકોમાં ગભરાટનું વાતાવરણ ઉભું થયું છે અને ઘણા લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે શું ખરેખર પેટ્રોલ-ડીઝલની અછત આવવાની છે અને સામાન્ય વ્યક્તિ એક સમયે કેટલું ઈંધણ ખરીદી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈ અછતની સ્થિતિ નથી. જોકે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને કારણે લોકો સ્ટોક કરવા દોડી રહ્યા છે. નિયમો અનુસાર સામાન્ય વ્યક્તિ પોતાના વાહનની ટાંકીની ક્ષમતા મુજબ જેટલું પેટ્રોલ અથવા ડીઝલ ભરાવી શકે છે. એટલે કે કાર, બાઈક અથવા અન્ય વાહનમાં ઈંધણ ભરાવા માટે કોઈ ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

કન્ટેનરમાં સંગ્રહ માટે કડક નિયમ

પરંતુ જો કોઈ વ્યક્તિ પેટ્રોલ કે ડીઝલને કન્ટેનરમાં ભરીને ઘરે રાખવા માંગે છે, તો તેના માટે કડક નિયમો લાગુ પડે છે.
પેટ્રોલિયમ નિયમો 2002 મુજબ સામાન્ય વ્યક્તિ લાયસન્સ વિના ઘરમાં વધુમાં વધુ 30 લિટર પેટ્રોલ અથવા ડીઝલ જ રાખી શકે છે. આ ઈંધણને સલામત અને મજબૂત કન્ટેનરમાં જ સ્ટોર કરવું જરૂરી છે. સામાન્ય રીતે ધાતુ અથવા ખાસ પ્રકારના મજબૂત પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. અકસ્માતોનું જોખમ ટાળવા માટે કન્ટેનર સારી રીતે બંધ રાખવું અને રિફ્યુઅલ કરતી વખતે અંદર થોડી ખાલી જગ્યા રાખવી જરૂરી માનવામાં આવે છે, જેથી દબાણ ન વધે.

30 લિટરથી વધુ માટે લાઇસન્સ ફરજિયાત

જો કોઈ વ્યક્તિ ઘરમાં 30 લિટરથી વધુ પેટ્રોલ અથવા ડીઝલ સંગ્રહ કરવા માંગે છે, તો તેને સ્થાનિક પેટ્રોલિયમ ઓથોરિટી અથવા જિલ્લા સત્તાધિકારી પાસેથી પરવાનગી લેવી પડે છે. તેની માટે લાઇસન્સ મેળવવું જરૂરી છે અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર અરજી કરવી પડે છે.

નિયમોના ઉલ્લંઘન પર સજા

પેટ્રોલિયમ એક્ટ 1934 અને પેટ્રોલિયમ રૂલ્સ 2002 મુજબ જો કોઈ વ્યક્તિ નિર્ધારિત મર્યાદાથી વધુ ઈંધણ લાયસન્સ વિના રાખતો પકડાય છે, તો તેના સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

  • પહેલીવાર ઉલ્લંઘન કરવા પર એક મહિના સુધીની જેલ અથવા ₹1,000 દંડ અથવા બંને થઈ શકે છે.
  • વારંવાર ઉલ્લંઘન થાય તો ત્રણ મહિના સુધીની જેલ અને ₹5,000 સુધીનો દંડ થઈ શકે છે.
  • જો કોઈ વ્યક્તિ પેટ્રોલ-ડીઝલની કાળાબજારી કરતા પકડાય તો તેના સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે અને 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.

અફવાઓથી દૂર રહેવાની અપીલ

નિષ્ણાતો અને અધિકારીઓ લોકો પાસે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ ખરીદવાની અપીલ કરી રહ્યા છે. હાલ દેશમાં ઈંધણ પુરવઠો સામાન્ય છે અને ગભરાટમાં મોટી માત્રામાં સ્ટોક કરવાની જરૂર નથી.

To Top