Comments

‘સતયુગ’માં સંઘશકિત જરૂરી નથી હોતી?

‘હવે સતયુગ આવશે’ અમારા એક પ્રિન્સિપાલ મિત્રે રમૂજમાં કહ્યું.. કારણ એ હતું કે ‘સંઘો શકિત કલૌ યુગે… કળીયુગમાં સંગઠન એ શકિત છે. હવે સંગઠનો તૂટી રહ્યાં છે. મતલબ સતયુગ આવી રહ્યો છે. તત્ત્વજ્ઞાનની રીતે સત્યને બીજા કોઇ આધારની જરૂર નથી માટે તેને સંગઠનની પણ જરૂર નથી. પણ વર્તમાન સ્થિતિમાં બજારવાદ અને મૂડીવાદની વધતી વ્યવસ્થાને સંગઠનોની જરૂર નથી. ખાસ તો યુનિયનોની જરૂર નથી. ભારતમાં સમાજવાદનું પ્રભુત્વ હતું. કોંગ્રેસના શાસનમાં વિવિધ આર્થિક ક્ષેત્રે યુનિયનવાદ ચાલ્યો.

રાજનીતિનો હિસ્સો બન્યો. સત્તામાં કોંગ્રેસ હોય, સંગઠનોના નેતાઓ કોંગ્રેસ સમર્થિત લોકો હોય. સરકાર શ્રમિકો, કર્મચારીઓને સાચવે સામે ચૂંટણી ટાણે ‘આ સરકાર, આપણી સરકાર…’ ના ન્યાયે કર્મચારીઓ સરકારને સાચવે. 1991 માં આર્થિક નીતિ બદલાઇ. ખાસ તો સામુહિક સેવાઓનું ખાનગીકરણ થયું. માટે હવે વેપારીઓ ઉદ્યોગપતિઓને સંગઠનો ખૂંચવા લાગ્યાં. કર્મચારી, શ્રમિકતરફી કાયદા બદલવાની માંગ બજારમાંથી ઉદભવી. આર્થિક નીતિના પરિવર્તનના સમયે જ ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન જનતા દળે અને પછી લાંબા ગાળા માટે ભાજપે લીધું.

પાર્ટી બદલાઇ, વિચારધારા બદલાઇ, પરિણામે વિવિધ સંગઠનો જે સરળતાથી આગળની સરકાર પાસે કામ કરાવતાં હતાં તેમને આ સરકાર પાસે કામ કરાવવામાં તકલીફ પડવા લાગી. કોંગ્રેસના શાસનકાળમાં ભાજપસમર્થિત (જૂના જનસંઘ કે સંઘ પ્રેરિત) સંગઠનો હતાં. પણ કામ કોંગ્રેસ પ્રેરિત સંગઠનનાં થતાં એટલે આ સંગઠનો નબળાં રહ્યાં. વળી જેમને સરકાર સાથે વાટાઘાટ કરવાની થાય તેવાં બધાં યુનિયનો પર કોંગ્રેસ, ડાબેરીઓનો કાબૂ રહ્યો. જયારે સંઘ પ્રેરિત સંગઠનો મજૂર યુનિયન કે ખેડૂત આંદોલનમાં પ્રભાવી રહ્યાં.

ગુજરાતમાં ભાજપ સરકાર આવ્યા પછી પણ થોડો સમય યુનિયનો કે સંઘોને નારાજ ન કરવાની પ્રવૃત્તિ રહી પણ હવે પહેલાં જેવી સફળતા નોતી. નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન થયા પછી તો જાણે આ યુનિયનવાદને ત્રાણવો જ નહિં. એ શરૂ થયું! ખાનગીકરણનો પવન વધ્યો. સરકાર કોઇને નમતી નથી. આ તો બધા કોંગ્રેસ પ્રેરિત સંગઠનો. આ માનસિકતા વધતી ચાલી. હડતાળો નિષ્ફળ જવા લાગી. રાજકીય ગણિત જે હોય તે, પણ ભાજપની સરકારે પોતાનાં સમર્થક યુનિયનો કે સંઘોને પણ વિકલ્પે વિકસવા ન દીધાં. ગુજરાતના નવનિર્માણના આંદોલનમાં જેનો મોટો ફાળો ગણાયો તે અધ્યાપક મંડળને પણ નબળું પાડયું. પછી શિક્ષક સંઘો તૂટયા, ખેત આંદોલન નિષ્ફળ ગયું અને હવે છેલ્લે પ્રાથમિક શિક્ષક મહાસંઘનો વારો આવ્યો છે.

આમ તો શિક્ષકસજ્જતા કસોટીની ચર્ચા એ શિક્ષણજગતનો મુદ્દો છે. પણ પ્રાથમિક શિક્ષકોના જૂના અને જાણીતા મહાસંઘે તેની તરફેણ કરી અને પ્રમાણમાં ઓછા જાણીતા સંઘસમર્થિત શિક્ષક સંઘે તેનો વિરોધ કર્યો. આમ તો આ ઉલ્ટું હોવું જોઇએ. પણ અહીં ‘પરીક્ષા ન અપાય’ એવું ટૂંકા ગાળાનું વિચારનારાં પ્રાથમિક શિક્ષકો પરીક્ષા કરતાં સંગઠનની એકતા વધારે મહત્ત્વની છે એ લાંબા ગાળાની રણનીતિ ભૂલી ગયા. થોડાં વર્ષો પહેલાં અધ્યાપક મંડળમાં પણ આ જ થયું હતું. મંડળના પ્રમુખનો વિરોધ થયો. સમાંતર મંડળ ઊભું પણ થયું પણ અધ્યાપક-એકતા તૂટી પડી. આજે કમનસીબી એ છે કે અધ્યાપકમંડળનું પ્રતિનિધિત્વ પ્રિન્સિપાલો કરે છે. એક સમય એવો હતો કે કોલેજ પ્રિન્સિપાલોનું મંડળ નાનું હતું. એમની માંગણીઓ માટે પણ તેમણે અધ્યાપકમંડળનો સાથ લેવો પડતો!

પ્રાથમિક શિક્ષક સંઘના જૂના અને જાણીતા મહાસંઘે કદાચ ‘પરીક્ષા આપવી જોઇએ’ એમ કહી સરકારની તરફેણમાં રહેવાનું વિચાર્યું એ પ્રાથમિક શિક્ષકોની લાંબા ગાળાની માંગણીઓ સરકાર સાથે રહી ઉકેલી શકાય તેવા હેતુથી વ્યૂહરચનાથી કર્યું હોય. વળી એક છાપ પડે કે પ્રાથમિક શિક્ષકો ચૂંટણી, સ્વચ્છતા અભિયાન, કોરોના કામગીરી, વસ્તીગણતરી જેવાં અનેક કામો કરવા છતાં પરીક્ષા આપવા તૈયાર છે. તો સરકારે તેમની પગાર, પ્રમોશનની માંગણી પણ સ્વીકારવી જોઇએ. આ દબાણની વ્યૂહરચના હોય. સામે પક્ષે રાજનીતિ એ હોય કે ‘શિક્ષકોને પરીક્ષામુકિતના’ નાના આંદોલનમાં જીત આપી લાંબા ગાળાની લડતમાં નબળા પાડવા.

વ્યૂહરચના જે હોય તે, સંગઠનવાદ અંત તરફ છે. સંઘો સમાપ્તિ તરફ છે. દરેક વર્તમાન શાસકો એમ જ માનતા હોય છે કે વિરોધ ન જોઇએ! પણ શાસન કાયમી નથી હોતું. વિપક્ષ કાયમી હોય છે. જે આંદોલનો, અભિયાનો થકી નેતાગીરી મેળવી હોય એ જ આંદોલનો, અભિયાનો, સંગઠનો નબળાં પાડવાથી. આપણે જ આપણું ભવિષ્ય નબળું બનાવીએ છીએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top