Gujarat

લવ જેહાદના કાયદાની કેટલીક કલમો પર રોક લગાવવાના ગુજરાત હાઈકોર્ટના આદેશને હવે રાજ્ય સરકાર સુપ્રીમમાં પડકારશે

ગુજરાતમાં આંતર જ્ઞાતિય લગ્ન લવ જેહાદના કાયદાની કેટલીક કલમો બાધારૂપ હોઈ તેની કલમ ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ ક પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેના અમલીકરણ પર રોક લગાવી છે. જો કે રાજ્ય સરકારે હવે ગુજરાત હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા લવ જેહાદ કાયદાની કેટલીક કલમો પર રોક લગાવવાના મુદ્દે કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ-જેહાદનું કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ઉગામ્યું છે. ખોટા હિંદુ નામ ધારણ કરી, હિંદુ ચિહ્નો ધારણ કરી, લોભ-લાલચ કે પ્રલોભનથી ફસાવીને બહેન-દિકરીઓ સાથે વિશ્વાસધાત કરીને કરવામાં આવતા લગ્નો ઉપર રોક લગાવવાના શુભ ઇરાદાથી રાજdય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

જાડેજાએ જણાવ્યું હતું કે દીકરીઓને સુરક્ષિત કરવા માટે લાવવામાં આવેલો આ લવ જેહાદનો કાયદો એ પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવવ્હાર પ્રત્યેની વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો સનિષ્ઠ પ્રયાસ છે. બહેન – દીકરીઓને ફસાવવાના આ હીન પ્રયાસને રાજ્ય સરકાર સાંખી લેશે નહિ.

રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન-દિકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કેટલાંક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મનાઈહુકમ અપાતા આ મનાઈ હુકમને રાજ્ય સરકારે તેને સુપ્રિમ કોર્ટમાં પડકારવાનો નિર્ણ કર્યો છે. ઉપરોક્ત સંજોગોમાં કે જેમાં લગ્ન દ્વારા વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરિત કરવા માટે બળ, લાલચ અથવા કપટનું માધ્યમ અપનાવામાં આવ્યું હોય તો તેવા ધર્મ પરિવર્તનનો હાલમાં પણ અધિનયમની કલમો મુજબ પ્રતિબંધિત રહેશે અને ઉપરોક્ત કલમો ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ અને ૬ ક લાગુ પડશે.

ગુજરાત ધર્મસ્વતંત્રતા અધિનિયમ, ૨૦૦૩ની જોગવાઈઓમાં સરકારે સુધારો કર્યો છે જે મુજબ લાલચને લગતી જોગવાઈમાં વધુ સારી જીવનશૈલી, દૈવી-કૃપા જેવી અન્ય જોગવાઈ ઉમેરવામાં આવી છે. કપટયુક્ત સાધનોની જોગવાઈમાં ધાર્મિક ચિહ્નો વિગેરેનો ખોટો ઉપયોગ પણ ઉમેરવામાં આવ્યો છે. આ ઉપરાંત કલમ-૩ની જોગવાઈમાં બળ, લાલચ, કપટ વગેરે માધ્યમો થકી કરાતા ધર્મપરિવર્તનમાં લગ્નના માધ્યમથી ધર્મપરિવર્તન ન કરી શકાય તે માટે સુધારો કર્યો છે. જેનું ધર્મ-પરિવર્તન કરવામાં આવ્યું હોય તેનાથી નારાજ વ્યક્તિ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓ પણ પોલીસમાં ફરિયાદ કરી શકે તે માટે જોગવાઈ ઉમેરવામાં આવી હતી.

આ કાયદાની સુધારેલી કલમ-૩ મુજબ કોઈ પણ વ્યક્તિનું એક ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ બળજબરી/દબાણ (force) દ્વારા, અથવા લાલચ/પ્રલોભન (allurement) દ્વારા અથવા કપટયુક્ત સાધનો (fraudulent means) દ્વારા અથવા લગ્ન (marriage) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તદુપરાંત સુધારેલા અધિનિયમની કલમ ૪-બ એ નક્કી કરે છે કે કોઈપણ લગ્ન કે જે એક ધર્મના વ્યક્તિ દ્વારા બીજા ધર્મની વ્યક્તિ સાથે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના હેતુથી કરવામાં આવે તેને ફેમિલી કોર્ટ દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવશે.

આ કાયદાની કલમ-૫ જે આ કાયદાનું હાર્દ છે તે જોગવાઈ પણ આ સુધારેલા કાયદામાં યથાવત રાખવામાં આવી છે, જેથી જ્યારે કોઇ વ્યક્તિ, ધર્મગુરુ કે મૌલવી કોઇ વ્યક્તિનું એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવા ધારે તો મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત બનાવવામાં આવેલી છે અને જે વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરવામાં આવે તેના દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જોગવાઈ છે અને કોઇ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે તેને એક વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.

Most Popular

To Top