Comments

તાજમહાલના બંધ કરાયેલા ૨૨ ઓરડાઓ ખોલવા પુરાતત્ત્વ ખાતું કેમ તૈયાર નથી?

કાશીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ આગ્રાનો તાજમહાલ પણ હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓ વચ્ચેના ઝઘડાનું કારણ બન્યો છે. તાજમહાલ મુસ્લિમ મકબરો નથી, પણ તેજોમહાલય નામનું શિવમંદિર છે, તેવી થિયરી પુરુષોત્તમ નાગેશ ઓક નામના ઇતિહાસકારે વહેતી મૂકી હતી. તેના આધારે તેમણે અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં કેસ પણ કર્યો હતો, જેને ડિસમિસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તાજમહાલને શિવમંદિર માનતા હિન્દુઓને સંતોષ થયો નહોતો. તેમનું ધ્યાન તાજમહાલના બેઝમેન્ટમાં બંધ રાખવામાં આવેલા ૨૨ ઓરડાઓ પ્રતિ ગયું હતું. કહેવાય છે કે જ્યારે શાહજહાંએ તાજમહાલ બનાવ્યો તે કાળથી આ ઓરડાઓ બંધ રાખવામાં આવ્યા છે.જાણકારો કહે છે કે તેમાં હિન્દુ મંદિરમાંથી મળી આવેલી મૂર્તિઓ અને કલાકૃતિઓ સુરક્ષિત રાખવામાં આવી છે. આ મૂર્તિઓ ભૂતકાલીન શિવમંદિરની હોવાનું માનવામાં આવે છે.

ભાજપના નેતા ડો. રજનીશ સિંહે માહિતી મેળવવાના કાયદા હેઠળ પુરાતત્ત્વ ખાતા પાસે જાણવા માગ્યું હતું કે બંધ ૨૨ ઓરડાઓમાં શું છે? તેનો કોઈ સંતોષકારક જવાબ ન મળતાં તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટ દ્વારા આ અરજી ઠુકરાવી દેવામાં આવતાં ડો. રજનીશ સિંહ હવે સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવવા જઈ રહ્યા છે. ઇતિહાસના જાણકાર પુરુષોત્તમ નાગેશ ઓકે ઇ.સ.૧૯૮૯ માં એક પુસ્તક લખ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાજમહાલ હકીકતમાં હિન્દુ મંદિર હતું, જેનું મૂળ નામ તેજોમહાલય હતું. ઇસુની સત્તરમી સદીમાં શાહજહાંએ રાજસ્થાનના મહારાજા જય સિંહ પાસેથી તેજોમહાલયનો કબજો લઇ લીધો  અને તેનું રૂપાંતર મકબરામાં કર્યું હતું. આ પુસ્તકને કોઇ ગંભીરતાથી લેતું નહોતું, પણ કેન્દ્રમાં ભાજપી મોરચાની સરકાર આવી તે પછી ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો ફરીથી લખવાની ઝુંબેશ શરૂ થઇ છે તેના ભાગરૂપે હિન્દુત્વવાદીઓ દ્વારા તાજમહાલને હિન્દુ મંદિર જાહેર કરવાની અરજી પણ કરવામાં આવી છે.

તાજમહાલને તેજોમહાલય નામનું શિવમંદિર સાબિત કરવા પુરુષોત્તમ નાગેશ ઓકે પોતાના પુસ્તકમાં જે પુરાવાઓ આપ્યા છે, તે ભલભલાને વિચારતા કરી મૂકે તેવા છે. (૧) તાજમહાલ નામ મુસ્લિમ નથી, પણ હિન્દુ છે. કોઇ મુસ્લિમ દેશમાં આજની તારીખમાં મહાલના નામે ઓળખાતી ઇમારત જોવા મળતી નથી. મોગલોના જમાનાના કોઇ દસ્તાવેજમાં કે ઓરંગઝેબના સમયના ઇતિહાસમાં પણ તાજમહાલનો ઉલ્લેખ જોવા મળતો નથી. હકીકતમાં પ્રાચીન કાળનું તેજોમહાલય નામ અપભ્રંશ થઇને તાજમહાલ તરીકે ઓળખાવા લાગ્યું હતું.

(૨) તાજમહાલ નામ શાહજહાંની બેગમ મુમતાઝ મહાલના નામ પરથી પાડવામાં આવ્યું હતું, તેમ કહેવામાં પણ ઇતિહાસનું અજ્ઞાન છે. શહાજહાંની પ્રિય બેગમનું નામ મુમતાઝ મહાલ નહોતું, પણ મુમતાઝ ઉલ ઝુમાની હતું. તેનું નામ મુમતાઝ મહાલ હોય તો પણ તેના મકબરાનું નામ પાડવા માટે તેના નામના પહેલા બે અક્ષર પડતા મૂકવામાં આવે તે શક્ય નહોતું. જો પહેલા બે અક્ષર પડતા મૂકાય તો પણ તેના મકબરાનું નામ તાઝમહાલ હોવું જોઇએ, તાજમહાલ નહીં.

(૩) શાહજહાંનું જીવનચરિત્ર બાદશાહનામા તરીકે પ્રસિદ્ધ થયું છે. તેના પહેલા ભાગમાં પૃષ્ઠ ૪૦૩ પર લખવામાં આવ્યું છે કે શાહજહાંએ મુમતાઝ મહાલને દફનાવવા માટે જયપુરના મહારાજા જય સિંહ પાસેથી ભવ્ય ગુંબજ ધરાવતો મહેલ પ્રાપ્ત કર્યો હતો, જે રાજા માનસિંહની હવેલી તરીકે જાણીતો હતો. જયપુરના ભૂતપૂર્વ મહારાજા પાસે આજે પણ ઇ.સ.૧૮૩૩ ની તા.૧૮ ડિસેમ્બરના બે દસ્તાવેજો મોજૂદ છે, જેમાં શાહજહાં દ્વારા તેજોમહાલય સંકુલ માટે માગણી કરવામાં આવી હતી. જયપુરના મહારાજાએ આ દસ્તાવેજો સાર્વજનિક કરવા જોઇએ. (૪) તાજમહાલના નદી તરફના લાકડાના દરવાજાના ટુકડાનું કાર્બન ડેટિંગ કરાવવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તે દરવાજો શાહજહાંના સમય કરતાં આશરે ૩૦૦ વર્ષ જૂનો છે.

(૫) ઇ.સ.૧૬૩૨ માં પિટર મુંડી નામના અંગ્રેજ મુસાફરે આગ્રાની મુલાકાત લીધી હતી. તેણે પોતાની નોંધપોથીમાં લખ્યું હતું કે આગ્રામાં તાજ એ મહાલ નામનો ભવ્ય ગુંબજ છે. મુમતાઝ મહાલનું મરણ ઇ.સ.૧૬૩૧ માં થયું હતું. જો તાજમહાલ બનાવતા ૨૨ વર્ષનો સમય લાગ્યો હોય તો અંગ્રેજ મુસાફરને ઇ.સ.૧૬૩૨ માં આગ્રામાં તાજમહાલ કેવી રીતે જોવા મળ્યો હતો? (૬) તાજમહાલના સમારકામ સાથે સંકળાયેલા લોકો કહે છે કે તેની દિવાલમાં પ્રાચીન શિવલિંગ ચણી દેવામાં આવ્યું છે. વળી તાજમહાલના ભોંયરામાં કેટલીક પ્રાચીન હિન્દુ મૂર્તિઓ ભંડારી દેવામાં આવી છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ ભોંયરું ખોલવામાં આવતું નથી. જો સરકાર આ ભોંયરું ખોલવાનો આદેશ કરે તો હિન્દુ મંદિરના ઘણા પુરાવાઓ મળી શકે તેમ છે.

(૭) આજે પણ તાજમહાલની મુલાકાતે જે કોઇ જાય છે તેમને પગરખાં ઉતારીને જ અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. પગરખાં ઉતારીને મંદિરમાં પ્રવેશ કરવાની પ્રથા હિન્દુ સંસ્કૃતિમાં જ છે. કોઇ કબર કે મકબરાની મુલાકાત લેવા માટે પગરખાં ઉતારવાની જરૂર રહેતી નથી. (૮) મુમતાઝ મહાલની કબર જે ખંડમાં આવેલી છે, તેની બહારની દિવાલ પર શંખ, કમળ અને ૐ ની નિશાનીઓ જોવા મળે છે. તાજમહાલના ગુંબજ પર પણ કમળના આકારની ટોપી જોવા મળે છે. આ નિશાનીઓ હિન્દુ મંદિરની બહાર જ હોય છે.

(૯) તાજમહાલને ચાર દરવાજા છે. આ પ્રકારે ચાર દરવાજા હિન્દુ પરંપરાનાં મંદિરોમાં જ હોય છે. તાજમહાલનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં ખૂલે છે. કોઇ પણ મુસ્લિમ સ્થાપત્યનો દરવાજો હંમેશા મક્કા મદીનાની દિશામાં જ ખૂલતો રાખવામાં આવે છે. તાજમહાલ પહેલાં હિન્દુ મંદિર હતું તેવો દાવો કરનારા પુરુષોત્તમ નાગેશ ઓકે તો એવો દાવો પણ કર્યો હતો કે દિલ્હીની આજુબાજુ આવેલા કુતુબમિનાર, લાલ કિલ્લો, હુમાયુંનો મકબરો વગેરે તમામ સ્થાપત્યો ભૂતકાળમાં હિન્દુ મંદિરો કે હવેલીઓ હતાં. પુરુષોત્તમ ઓકનું ઇ.સ.૨૦૦૭ માં અવસાન થયું, પણ તેમના મરણ પછી ઇ.સ.૨૦૧૪ માં કેન્દ્રમાં ભાજપી મોરચાની સરકાર આવી તે પછી તાજમહાલને હિન્દુ મંદિર જાહેર કરવાની ઝુંબેશ વેગવાન બની છે.

પોતાની જાતને સેક્યુલર ગણાવતા ઇતિહાસકારો કહે છે કે મોગલ કાળમાં નિર્માણ પામેલાં તમામ સ્થાપત્યોને હિન્દુ મૂળના ગણાવનારાં લોકો ઇતિહાસની મજાક કરી રહ્યા છે. તો હિન્દુત્વવાદી ઇતિહાસકારોનો દાવો છે કે અત્યારે આપણને ભારતનો જે ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે તે મોગલ અને અંગ્રેજ શાસકો દ્વારા લખાવવામાં આવેલો ઇતિહાસ છે, જેમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. જો કે મોગલ અને બ્રિટીશ કાળના ઇતિહાસકારો દ્વારા ભારતના ઇતિહાસમાં છેડછાડ થઇ હતી કે વર્તમાન સરકાર ઇતિહાસ સાથે છેડછાડ કરી રહી છે? તે નક્કી કરવાનું કામ બહુ અઘરું છે. જો રાજકારણથી મુક્ત એવા તટસ્થ ઇતિહાસકારોનું કમિશન બનાવીને તેમને સાચો ઇતિહાસ લખવાનું કામ સોંપવામાં આવે તો કદાચ સત્ય બહાર આવી શકે તેમ છે. આવું કમિશન રચીને તેની સમક્ષ સરકારે તમામ પુરાવાઓ ઉપલબ્ધ કરાવી આપવા જોઇએ.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top