National

કુસ્તીબાજોના આક્ષેપો બાદ બ્રિજભૂષણનું નિવેદન આવ્યું સામે, કહ્યું… ભગવાન ઈચ્છે છે કે…

નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે ફરી એકવાર કુસ્તીબાજોના આરોપો પર પલટવાર કર્યો છે. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે ભગવાન ઈચ્છે છે કે હું કોઈ મોટું કામ કરું, એટલા માટે મારી પર આ આરોપો લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, બીજેપી સાંસદે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે જો મારા પર એક પણ આરોપ સાબિત થાય તો મને ફાંસી આપી દેજો.

બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, મારા પર આરોપો લગાવવામાં આવ્યા હોવાથી હું પૂછી રહ્યો છું કે આ બધું ક્યારે અને ક્યાં થયું. અમે અયોધ્યાથી આવ્યા છીએ જ્યાં પ્રાણ જાય પણ વચન તૂટતાં નથી. આરોપ લગાવ્યાને ચાર મહિના થઈ ગયા છે. હું આજે પણ કહી રહ્યો છું કે જો એક પણ આરોપ સાબિત થશે તો મને ફાંસી આપજો. હું હજુ પણ આ વાત પર અડગ છું. બીજેપી સાંસદે કહ્યું કે આ કુસ્તીબાજો મેડલના બહાને ત્યાંથી નીકળી ગયા. મેડલ્સ ગંગામાં ફેંકવાથી કંઈ થશે નહીં. આ માત્ર ઈમોશનલ ડ્રામા છે. પુરાવા હોય તો પોલીસને આપો, કોર્ટ મને ફાંસી આપશે.

બ્રિજભૂષણે કહ્યું, કબીરદાસે કહ્યું હતું કે આ કલયુગ છે, કંઈ પણ થઈ શકે છે, તેથી હું લડી રહ્યો છું. તેમણે કહ્યું કે જો રામ વનવાસમાં ન હોત તો ઈતિહાસ કેવી રીતે સર્જાયો હોત? તેનો શ્રેય કૈકઈ અને મંથરાને આપવો જોઈએ.

હું આ ખેલાડીઓને નફરત નથી કરતો, તેઓ મારા બાળકો હતા. તેમની સફળતામાં મારો હાથ છે. 10 દિવસ પહેલા સુધી મને તેમની સફળતાનો ભગવાન કહેતા હતા હવે એકાએક શું થયું? એમ પૂછતા બ્રિજભૂષણે કહ્યું, મારા કાર્યકાળમાં જે ટીમ 18માં નંબર પર હતી તે ટોપ 5માં આવી હતી. ઓલિમ્પિકમાં 7 મેડલમાંથી 5 મારા કાર્યકાળ દરમિયાન કુસ્તીમાં આવ્યા હતા. હવે મારે કોઈ મોટું કામ કરવાનું છે એટલે 5મીએ સંતોનો મોટો કાર્યક્રમ છે. જે પાપ કરે છે તે પાપી જ નથી, જે મૌન છે તે પણ સહભાગી છે.

બ્રિજભૂષણે વધુમાં કહ્યું કે, 1975માં ઈન્દિરાએ ઈમરજન્સી લાદી ત્યારે કોંગ્રેસીઓ સિવાય બધા જેલમાં ગયા ત્યારે હું પણ ગયો હતો. હવે 60 વર્ષ પછી મને આ સમર્થન મળી રહ્યું છે, બીજા કોઈને મળ્યું નથી. મારી સાથે ક્ષત્રિયો, બ્રાહ્મણો, તેલીઓ, ભરવાડો, મુસ્લિમો અને જાટ છે. આટલા સમર્થન સાથે હરિયાણાનો 85% લોકો મારી સાથે છે. એવો કોઈ પ્રાંત નથી કે જ્યાંથી મને ટેકો ન મળ્યો હોય.

કુસ્તીબાજો મેડલ ગંગામાં વહાવાનું એલાન કર્યું હતું
બ્રિજભૂષણ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કુસ્તીબાજોએ મંગળવારે તેમના મેડલ ગંગામાં વહાવી દેવાની જાહેરાત કરી હતી. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક પણ તેમના સમર્થકો સાથે સાંજે હરિદ્વાર પણ પહોંચ્યા હતા. જોકે, ખેડૂત નેતા નરેશ ટિકૈતની સમજાવટ બાદ તેમણે મેડલને ગંગામાં નહીં વહાવાનો નિર્ણય કર્યો હતો.

નરેશ ટિકૈતે સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
આ સાથે નરેશ ટિકૈતે સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. ટિકૈતે ગુરુવારે મુઝફ્ફરનગરમાં મહાપંચાયતની પણ જાહેરાત કરી હતી. કુસ્તીબાજોએ 23 એપ્રિલથી મોરચો ખોલ્યો છે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત તમામ કુસ્તીબાજોએ 23 એપ્રિલથી બ્રિજભૂષણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. આ પહેલા 18 જાન્યુઆરીએ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બ્રિજ ભૂષણ પર રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પર દિલ્હી પોલીસે પણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે.

Most Popular

To Top