Comments

અબજોપતિ જ્યોર્જ સોરોસ ભારત વિષે ક્યો મોટો ધડાકો કરવાના છે?

આજના વિશ્વના દેશો મિડિયા મારફતે એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે વિદેશની ધરતી ઉપર બેઠા બેઠા ભારતના કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણી બાબતમાં વિસ્ફોટક હેવાલ પ્રગટ કરીને ભારતમાં ધરતીકંપ પેદા કરી શકાય છે. આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં સ્વિડીશ રેડિયો પર ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના બોફોર્સ કૌભાંડ બાબતમાં જે ધડાકો કરવામાં આવ્યો તેને પગલે ભારતમાં એવું તોફાન આવ્યું હતું કે છેવટે રાજીવ ગાંધી સરકારનું પતન થયું હતું.

તાજું ઉદાહરણ જોઈએ તો હિન્ડનબર્ગ રિપોર્ટને પગલે અદાણી જૂથના શેરોમાં એવો કડાકો બોલી ગયો કે શેરધારકોની અડધા જેટલી મૂડી જોતજોતામાં સાફ થઈ ગઈ હતી. વિદેશી સંસ્થાઓ અને વિદેશી મિડિયાની આપણા દેશના જનમાનસ પર એટલી ઘેરી અસર થતી હોવાનો લાભ ભારતમાં ભાંગફોડ કરવા માગતા કે ભારતને બદનામ કરવા માગતા ધનકુબેરો પણ લઈ રહ્યા છે, જેમાંના એક અબજોપતિ જ્યોર્જ સોરોસ છે. તેઓ હાલની નરેન્દ્ર મોદી સરકારને બહુ ધિક્કારે છે. તેમણે ચેતવણી આપી છે કે તેઓ વિસ્ફોટક હેવાલ બહાર પાડીને ભારતમાં ભારે ખળભળાટ મચાવી દેશે.

આ સંસ્થાનું નામ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) છે. તેને રોકફેલર બ્રધર્સ અને જ્યોર્જ સોરોસ જેવા ઉદ્યોગપતિઓનું સમર્થન છે. આ સંસ્થાની રચના યુરોપ, એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં પથરાયેલાં ૨૪ પરીક્ષણ કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી છે. તેનું મુખ્ય કામ દુનિયાભરનાં મૂડી બજારો પર ધ્યાન રાખવાનું અને તેના ગોટાળાઓ બહાર લાવવાનું છે. ઓસીઆરપીની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે કે તેને જ્યોર્જ સોરોસની સંસ્થા ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા પણ ભંડોળ મળે છે. આ સંસ્થા ભારતના કોઈ મોટા કોર્પોરેટ હાઉસ બાબતમાં વિસ્ફોટક હેવાલ પ્રકાશિત કરવાની તૈયારી કરી રહી છે. ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેના છાંટા શાસક પક્ષ પર ઊડી શકે છે.

હંગેરીમાં જન્મેલા અને અમેરિકન નાગરિક બનેલા જ્યોર્જ નિઃશંકપણે અબજોની સંપત્તિના માલિક છે, પરંતુ તેઓ ઘણી વાર વિવાદોમાં રહ્યા છે કારણ કે તેમના પર ભૂતકાળમાં કેટલાક દેશોની સરકારોને અસ્થિર કરવાનું ષડ્યંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વાસ્તવમાં ૧૬ ફેબ્રુઆરીએ મ્યુનિકમાં આયોજિત સુરક્ષા પરિષદમાં બોલતી વખતે જ્યોર્જ સોરોસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અદાણીના શેરની હેરાફેરી અને તેના પતન પર મૌન છે પરંતુ તેમણે વિદેશી રોકાણકારોને અને ભારતીય સંસદમાં જવાબ આપવો પડશે. જ્યોર્જ સોરોસે દાવો કર્યો હતો કે અદાણી જૂથમાં ઉથલપાથલ ભારતમાં લોકશાહીના પુનરુત્થાનના દરવાજા ખોલી શકે છે.

જ્યોર્જ સોરોસ પર એવા આરોપો પણ લગાવવામાં આવ્યા છે કે તેમણે અમેરિકા, રશિયા અને ચીનમાં રાષ્ટ્રવાદીઓ સામે લડવા માટે કરોડો ડૉલરનો ખર્ચ કર્યો છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ૧૨ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ જન્મેલા સોરોસ એક વિચિત્ર વ્યક્તિત્વ છે. તેઓ એક સટોડિયા પણ છે અને એક બિઝનેસમેન તરીકે તેમની ઓળખ છે. કહેવાય છે કે તેમને ફિલોસોફર અને સમાજસેવક કહેવડાવવાનું ગમે છે અને તેમનો અહંકાર પણ આનાથી સંતોષાય છે.

ચિત્રની બીજી બાજુ એ પણ છે કે તેઓ પડદા પાછળ રહીને કેટલાક દેશોની સરકાર તેમના રિમોટથી ચલાવવા માંગે છે. વેપાર અને સમાજસેવાની આડમાં પૈસાના આધારે રાજકારણમાં દખલ કરવાના ગંભીર આરોપો તેમના પર વિશ્વના ઘણા દેશોમાં લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યોર્જ સોરોસે ઘણા દેશોમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ખુલ્લેઆમ જંગી ફંડિંગ કર્યું હતું. કદાચ આ જ કારણ છે કે યુરોપ અને અરેબિયાના ઘણા દેશોમાં જ્યોર્જ સોરોસનાં સંગઠનો પર ભારે દંડ ફટકારીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તેમની સામે એવો પણ આરોપ છે કે વર્ષ ૨૦૦૪માં જ્યોર્જ ડબલ્યુ બુશને અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા રોકવા માટે તેમને જંગી દાન આપવામાં આવ્યું હતું. તેમણે ઓપન સોસાયટી યુનિવર્સિટી નેટવર્ક (OSUN) નામની સંસ્થા બનાવી અને તેના પર ૧૦૦ અબજ ડોલરનો ખર્ચ કરવાનું વચન આપ્યું હતું. તેને વિશ્વની તમામ યુનિવર્સિટીઓનાં લોકો માટે અભ્યાસ અને સંશોધનના પ્લેટફોર્મ તરીકે વર્ણવવામાં આવ્યું હતું; પરંતુ તેનો વાસ્તવિક હેતુ એ હકીકત પરથી જાણી શકાય છે કે સોરોસે તે સમયે કહ્યું હતું કે તે વિશ્વભરના સરમુખત્યારો સાથે વ્યવહાર કરવા માટે તેની સ્થાપના કરી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રનો ઉપયોગ તેઓ રાજકારણમાં કરી રહ્યા છે.

જ્યોર્જ સોરોસે વર્ષ ૨૦૨૦માં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં ચાર મોટા નેતાઓનાં નામ લીધાં હતાં અને કહ્યું હતું કે તેમની નજરમાં તેઓ વિશ્વના સૌથી મોટા સરમુખત્યારો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિષે તેમણે કહ્યું હતું કે તેઓ બધા લોકશાહીનું ગળું દબાવીને સરમુખત્યારશાહીને પ્રોત્સાહન આપી રહ્યા છે. નરેન્દ્ર મોદી અંગે તેમણે કહ્યું હતું કે તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને છેતરપિંડી કરનાર અને પોતાના મોહમાં મસ્ત રાષ્ટ્રપતિ કહ્યા હતા, જ્યારે તેમણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને સરમુખત્યાર શાસક કહ્યા હતા. જ્યોર્જ સોરોસે કહ્યું હતું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની પરંપરા તોડીને શી જિનપિંગે સત્તાની સંપૂર્ણ કમાન પોતાના હાથમાં લઈ લીધી છે, જે એક સરમુખત્યાર હોવાનો પુરાવો છે.

ફોર્બ્સ મેગેઝિન અનુસાર આ સમયે જ્યોર્જ સોરોસની કુલ સંપત્તિ ૬.૭ અબજ ડોલર છે. ભારતીય ચલણ અનુસાર તેમની પાસે ૫૫ હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે. કોઈ સમયે જ્યોર્જ સોરોસની કુલ સંપત્તિ ૨૫ અબજ ડોલર જેટલી હતી. તેમણે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો દાનમાં આપ્યો હતો, જેને કારણે તેમની સંપત્તિ ઘટી ગઈ છે. જો કે જ્યોર્જ સોરોસે જે સંસ્થાઓને દાનમાં સંપત્તિ આપી તેમનો ઉપયોગ તેઓ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને સિદ્ધ કરવા માટે કરી રહ્યા છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર જ્યોર્જ સોરોસ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સૌથી મોટા દાતાઓમાંના એક છે. ૨૦૨૨ની અમેરિકાની ચૂંટણી દરમિયાન, જ્યોર્જ સોરોસે સુપર પીએસીને ૧૨.૫ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. સુપર પીએસી એક સમિતિ છે, જે ચૂંટણી માટેનાં દાન લે છે.

જ્યોર્જ સોરોસ અમેરિકાની જેમ ભારતના રાજકારણમાં પણ ચંચુપાત કરતા હોય તેવી સંભાવનાઓ છે. તાજેતરમાં ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અમેરિકાની ખાનગી મુલાકાતે જઈ આવ્યા તેનો ખર્ચો જ્યોર્જ સોરોસે ઉઠાવ્યો હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધીને વ્હાઇટ હાઉસમાં લઈ જવા પાછળ પણ સોરોસનો હાથ હોવાનું કહેવાય છે. ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના કોઈ ઉદ્યોગપતિનું કોઈ કૌભાંડ વિદેશી મિડિયા દ્વારા બહાર પાડવામાં આવે તો તેનાથી ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. વિદેશી મિડિયા અને ઉદ્યોગપતિઓ કદાચ મોદી ઉપર દબાણ લાવવા વિસ્ફોટક હેવાલોનો ઉપયોગ કરે તેવું પણ બની શકે છે. ભારતની ચૂંટણીઓમાં વિદેશી તાકાતોને રસ છે, કારણ કે ભારત આર્થિક મહાસત્તા બની ચૂક્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top