Dakshin Gujarat

લો બોલો.. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની જ ફાયર NOC લેવાઈ નથી!

ભરૂચ: રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૨૮ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતાં ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા છે. જેમની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ પણ કર્યો છે. લોકોમાં પાડાને વાંકે પખાલીને ડામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે.

ત્યારે ભરૂચ સરકારી તંત્રની કચેરીઓમાં જ ફાયર સેફ્ટીને લઇને કેટલી તકેદારી રખાઇ છે તેનું મૂલ્યાંકન કરવું પણ જરૂરી બની ગયું છે. ભરૂચમાં બે ગેમ ઝોનમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઇને શું હાલ છે તે તરફ તંત્ર જ બેધ્યાન છે. ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, નગરપાલિકા, જિલ્લા પંચાયત કચેરી તેમજ બહુમાળીમાં આવેલી ઓફિસોની મુલાકાત લઇ તપાસ કરતાં માત્ર કલેક્ટર, મામલતદાર તેમજ નગરપાલિકામાં જ ફાયર એક્સ્ટિંગ્યુશરના બોટલો રિન્યુ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, બાકીની કચેરીઓમાં બોટલો રિન્યુ કરાવી નથી, જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના બોટલો ગત મે-૨૦૨૦માં તેમજ જાન્યુઆરી-૨૦૨૪માં એક્સપાયર થઇ ગયા હતા. જ્યારે બહુમાળીમાં આવેલી વન વિભાગ, શ્રમ આયોગ સહિતની ઓફિસોમાં લગાવાયેલાં એક્સ્ટિંગ્યુશરના બોટલો ૨૦૨૧ના મેન્યુફેક્ટરનાં સ્ટિકર લાગેલાં છે. જો કે, તેમાં તેના એક્સ્પાયરીનું કોઇ સ્ટિકર લાગેલું જણાયું ન હતું.

આપાતકાલીન સમયને ધ્યાને જોઈએ તો એકમાત્ર કલેક્ટર અને મામલતદાર કચેરીમાં અલગ અલગ ત્રણ રસ્તા હોવાથી આગ જેવી સ્થિતિમાં લોકોને નીકળવા માટે વિકલ્પ મળે તેમ છે. જો કે, ભરૂચ નગરપાલિકા, જિલ્લા પંચાયત, બહુમાળી ઇમારત, આરએન્ડબીની કચેરીમાં એક જ દરવાજો હોવાને કારણે અફરાતફરી મચવાની શક્યતા છે. બહુમાળીમાં કેટલાક અધિકારીઓ સાથે ફાયર એક્સ્ટિંગ્યુશરના એક્સપાયર થવા અંગે પૂછપરછ કરતાં કેટલાકે જણાવ્યું હતું કે, તેમની ઉપરી કચેરી દ્વારા તે કામગીરી થાય છે, તો કેટલાકે જણાવ્યું હતું કે, આરએન્ડબી વિભાગ અંદર અમારી કચેરીની ઇમારત આવે છે. તેઓ દ્વારા કામગીરી કરવાની હોય છે.

ખાનગી સ્થળો બાદ સરકારી કચેરીઓમાં પણ ચેકિંગ કરીશું
ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું કે, ‘ગેમ ઝોન, સ્કૂલ, ક્લાસિસ તેમજ હોસ્પિટલ સહિતનાં સ્થળોએ હાલમાં અમે ચેકિંગ કરી રહ્યા છીએ. જ્યાં અમને કોઈ ક્ષતિ દેખાય તો સુધારાની સૂચના આપવા સાથે જો એનઓસી કે અન્ય જરૂરી દસ્તાવેજ-પરમિશન ન હોય તો તેમને નોટિસ આપીએ છીએ. ખાનગી સ્થળોએ ચેકિંગ કર્યા બાદ અમે સરકારી કચેરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવાના છીએ. દરેક સરકારી કચેરીમાં ફાયર સેફ્ટીને લઇને કેવી સુવિધા છે. ફાયર એક્સ્ટિંગ્યુશર બરાબર છે કે નહીં એ બાબતોને ચકાસવામાં આવશે. જે સરકારી કચેરીમાં સુરક્ષાને લઇને ક્ષતિ ધ્યાનમાં આવશે તેમને સામાન્ય લોકોની જેમ જ નોટિસ આપવામાં આવશે.’

Most Popular

To Top