National

અનિલ અંબાણીને ઝટકો: RCOM ફ્રોડ કેસ ગરમાયો, અનિલ અંબાણીની 3,716 કરોડની પ્રોપર્ટી જપ્ત

અનિલ અંબાણી સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ મુંબઈ સ્થિત તેમનું રહેણાંક ‘એબોડ’ કામચલાઉ રીતે 3,716 કરોડના મૂલ્ય સાથે જપ્ત કર્યું છે. સૂત્રોના હવાલે આ માહિતી સામે આવી છે. EDના અધિકારીઓના જણાવ્યા મુજબ, અંબાણી અને તેમની ગ્રુપ કંપનીઓ સામે અત્યાર સુધીમાં કુલ પંદર હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ઇડીને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, તેની મૂળ સંસ્થાઓ અને અનિલ અંબાણી સામે લાગેલા મોટા પાયાના બેંક છેતરપિંડીના આરોપોની સઘન તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) રચવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અંબાણીના વકીલ મુકુલ રોહતગી પાસેથી ખાતરી પણ લીધી હતી કે તેમના ક્લાયન્ટ દેશ છોડશે નહીં અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. સાથે જ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને કથિત છેતરપિંડીમાં સંડોવાયેલા બેંક અધિકારીઓની ઓળખ કરવાની જવાબદારી સોંપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે બંને એજન્સીઓની તપાસ ગતિ ધીમી રહી છે અને હવે નિષ્પક્ષ તથા સમયબદ્ધ તપાસ કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. CBI અને ED ને સમયાંતરે પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

EDએ ગયા વર્ષે CBI દ્વારા દાખલ કરાયેલી FIR બાદ તપાસ શરૂ કરી હતી. FIRમાં અનિલ અંબાણી, RCom અને અન્ય પર છેતરપિંડી, કાવતરું અને ભ્રષ્ટાચારના આરોપો નોંધાયા હતા. તપાસ મુજબ, 2010થી 2012 દરમિયાન RCom અને તેની સંલગ્ન કંપનીઓએ ભારતીય અને વિદેશી બેંકો પાસેથી ચાલીસ હજાર કરોડથી વધુની લોન લીધી હતી. જેમાંથી પાંચ લોન ખાતાઓને બેંકો દ્વારા છેતરપિંડી જાહેર કરવામાં આવ્યા છે. CBIના સ્ટેટસ રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી. બાદમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા જેવી અન્ય બેંકોની સમાન ફરિયાદોને પણ તપાસમાં સામેલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top