SURAT

વડાપ્રધાન મોદીનું મોટું બોઈંગ 777 પ્લેન ટર્ન મારી શકે તે માટે સુરત એરપોર્ટ પર તાત્કાલિક નવી સર્વિસ શરૂ કરાઈ

સુરત: આગામી તા. 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સુરત એરપોર્ટ (SuratAirport) ઉપર ઉતરે તે પહેલા નવી સુવિધા મળી છે. વડાપ્રધાનનું વાઈડ બોડી એરક્રાફ્ટ એર ઇન્ડિયા વન- બોઇંગ-777 (Wide Body Aircraft Air India One- Boeing-777) આગામી 17 ડિસેમ્બરે એરપોર્ટના ડુમસ એન્ડથી રનવે પર લેન્ડ થશે. તેમનું પ્લેન વેસુ તરફથી ટર્ન લઈ ફરી ડુમસ એન્ડ તરફ ટેક ઓફ કરશે.

  • ડિસેમ્બરે વડાપ્રધાન સુરત એરપોર્ટ આવે એ પેહલા એક નવી સુવિધા
  • વડાપ્રધાનનું વિમાન વેસુ એન્ડથી સરળતાથી વળાંક લઈ શકે એ માટે ટર્નિંગ પેડ મોટું કરાયું
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્લેન ડુમસ એન્ડથી રનવે પર લેન્ડ થશે
  • DGCA એ વેસુ તરફ તૈયાર વિસ્તરણ કરેલા ટર્નિંગ પેડને મંજૂરી આપી

વડાપ્રધાનની મુલાકાત પહેલા સુરત એરપોર્ટની મુલાકાતે આવેલા એવિએશન મંત્રાલયનાં અધિકારીઓએ મોટા એરક્રાફ્ટ લેન્ડિંગ થયા પછી ટર્ન લઈ પેરેલલ ટેક્સિ ટ્રેક પર જશે અને અહીંથી ફરી ડુમસ તરફ ટેક ઓફ થઈ રવાના થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પેહલા સુરત એરપોર્ટના વિસ્તરીત આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ, એરો બ્રિજ, પાર્કિંગ, પેરેલલ ટેક્સી ટ્રેકનો એક ભાગ અને વેસુ તરફના એન્ડ પર વિશાળ બનાવવામાં આવેલા ટર્નિંગ પેડનું પણ ઉદ્ઘાટન કરશે.

વેસુ તરફ તૈયાર થયેલા નવા ટર્નિંગ પેડ ને સોમવારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તાબડતોડ મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ડુમસથી લેન્ડ થનાર વડાપ્રધાનનું વિમાન વેસુ એન્ડથી સરળતાથી ટર્ન લઈ શકે એ માટે ટર્નિંગ પેડ મોટું કરવામાં આવ્યું છે.

સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એર ઇન્ડિયા વન – બોઇંગ-777 એરક્રાફ્ટ સરળતાથી લેન્ડ થઈ શકે એ માટે એરપોર્ટ ઓથોરિટીએ વેસુ તરફના રનવેનું ટર્નિંગ પેડ મોડિફાઇડ કરીને મોટું કરી દીધું છે. નવા મોડિફાઇડ થયેલા ટર્નિંગ પેઇડને ઉપયોગમાં લેવાની મંજૂરી પણ DGCAએ ટ્રાયલ રન પછી આપી દીધી છે.

સુરત એરપોર્ટનો હયાત રનવે 2,905 મીટરનો છે. પણ વેસુ તરફના નડતરરૂપ મિલ્કતોને લીધે વેસુ તરફથી વિમાન લેન્ડ કરવા માટે 615 મીટરનો રનવે કાપમાં છે. એટલે કે,પાયલટે 615 મીટર રનવેની આગળ 2290 મીટરનો રનવે ઉપયોગમાં લેવાનો હોય છે.

વેસુ-22 રનવે પર બોઇંગ-777 સરળતાથી લેન્ડ કરી શકે એવી સુવિધા સુરત એરપોર્ટ પર ઉપલબ્ધ હતી. વેસુ તરફ રનવેના એન્ડિંગ પાસે ટર્નિંગ પેડ નાનો હોવાથી એરક્રાફ્ટને લેન્ડ થયા પછી ટર્ન લઈ ડુમસ તરફ ટેકઓફ કરવામાં અગવડતા પડતી હતી. વેસુ તરફના રનવેના ટર્નિંગ પેડ પર બોઇંગ-777 સરળતાથી ટર્ન થાય એટલો મોટો ટર્નિંગ પેડ બનાવ્યો છે.એવી જ રીતે પેરેલલ ટેક્સિ ટ્રેકનો ટર્નિંગ પેડ પણ મોટો કર્યો છે.

ILS અને કેટ લાઈટ સુવિધા ન હોવાથી રાતે ઉપયોગ કરવો મુશ્કેલ
એવિએશન ઉદ્યોગનાં જાણકારો કહે છે કે,સુરત એરપોર્ટ પર ટર્નિંગ પેડ મોટા કરવાથી ચોક્કસ સમય ગાળામાં ડુમસ તરફથી લેન્ડ થતા વાઈડ બોડી એરક્રાફ્ટને લાભ થઇ શકે, આ સુવિધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલામત સુરત મુલાકાત માટે કરવામાં આવી છે.

કારણ કે, ડુમસ 04 રનવે પર ILS અને કેટ લાઈટ સુવિધા ન હોવાથી રાતે ઉપયોગ કરવો મુશ્કેલ બને, કોઈપણ એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ અને ટેક ઓફ માટે છેલ્લા 15-20 વર્ષનો ચાર્ટ બનેલો હોય છે. વર્ષમાં 20% સમય ગાળામાં જ ડુમસ એન્ડથી લેન્ડ થવું સરળ માનવામાં આવે છે .બાકીના સમયમાં પવનની ઝડપ વધુ રહે છે.

વડાપ્રધાનનું વિમાન ભલે મોટું હોય પણ એમાં પેસેન્જર, સામાન એટલો હોતો નથી. ફ્યુઅલ પણ મેન્યુઅલ મુજબ હોય છે. જ્યારે પ્રાઇવટ વાઈડ બોડી એરક્રાફ્ટમાં પેસેન્જર અને લગેજનો લોડ ઉપરાંત ફ્યુઅલનો લોડ પણ ગણવામાં આવે છે. એવી સ્થિતિમાં પવન ખૂબ ઝડપે ફૂંકાતો હોય ત્યારે પવનના દબાણ અને એરક્રાફ્ટનાં દબાણ સાથે એ આગળ ધસી જવાનો ખતરો રહે છે.

એ કારણે જ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સહિતની સુવિધા વેસુ તરફ ડેવલપ કરવામાં આવી છે. જોકે કેટલાકનું એવું માનવું છે કે, ડુમસ એન્ડથી 2905 મીટરના રનવે પર વાઈડ બોડી વિમાન લેન્ડ કરવું મુશ્કેલ નથી. પવનની ઝડપ એવો કોઈ મોટો મુદ્દોમાંથી પણ સુરતમાં કાનૂની જંગ લાંબો ચાલતા ડીજીસીએનાં અધિકારીઓ કોઈ રિસ્ક લેવા માંગતા નથી.

સિવિલ એવીએશન વિભાગનાં વિમાને સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું
સોમવારે કેન્દ્રનાં સિવિલ એવીએશન વિભાગનાં અધિકારીઓએ અધિકૃત સરકારી વિમાનમાં આવી સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.તેમને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને રનવેની પણ ચકાસણી કરી હતી. એ ઉપરાંત હવામાં એરક્રાફ્ટની સલામત હિલચાલ માટે એર નેવિગેશન ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. અવકાશી માહિતી પ્રદાન કરવામાં Navaids મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. AAI ના FIU એ ગ્રાઉન્ડ CNS ટીમ સાથે સંકલન કરીને સુરત એરપોર્ટ પર સફળ કેલિબ્રેશન પૂર્ણ કર્યું હતું

Most Popular

To Top