Charchapatra

દેડકાંની પાંચ શેરી જેવી હિંદુ એકતા

તા. 23/09 ના ગુજ.મિત્રમાં શ્રી ભરત પંડયા દ્વારા હિંદુઓની ઢોંગી માનસિકતા અને મુસ્લિમોની ધાર્મિક સહ્રદયતા અને આપસી એકતા બાબતનું લખેલું ચર્ચાપત્ર વાંચ્યું, જેમાં ઘણું સત્ય છે. મારી 62 વર્ષની જિંદગીમાં 30 વર્ષ મુસ્લિમો વચ્ચે અને 30/32 વર્ષ હિંદુ વિસ્તારમાં વીત્યાં છે. મેં મુસ્લિમ બદમાશો સામે બાથ ભીડી છે અને ધૂર્ત ઢોંગી હિંદુઓ સામે હાલ બાથ ભીડું છું. મુસ્લિમો કરતાં હિંદુઓ વધુ મતલબી- અપ્રામાણિક- મીંઢા ઢોંગી અને બદમાશ લાગ્યા છે. જીવનના ખરાબ સમયે મુસ્લિમ મિત્રોએ જે સાથ આપ્યો છે તેનાથી વિપરીત વ્યવહાર હિંદુઓએ કર્યો છે. જ્યારથી ભાજપનો હિંદુવાદ ઊભો થયો છે ત્યારથી માથાભારે જ્ઞાતિવાદ ઉંફાળે ચડયો છે. જ્ઞાતિવાદી કટ્ટરતાનો ભોરીંગ જાગ્યો છે. સંઘ પરિવાર અને ભાજપ એને છાવરે છે. હિંદુઓની પાખંડી મતલબી વૃત્તિ જીવનમાં ડગલે ને પગલે અનુભવી છે.

મારા ધંધાકીય સ્થાન પાસે આવેલા એક હિંદુ ધર્મસ્થાનમાં લોકોના દાનના રૂા. થી બનેલ ટોઈલેટ/બાથરૂમનો ઉપયોગ કરવા બદલ ટ્રસ્ટીએ અટકાવી એક વાર ભયંકર રીતે અપમાનિત કરાયા પછી 15 વર્ષથી હિંદુ ધર્મસ્થાનોમાં જવાનું બંધ કર્યું છે. એવો જ અનુભવ જૈનોનો થયો છે. એક વાર પરિવાર સાથે રાત્રી મુસાફરી કરી થાકીને સુરતથી મહેસાણા વ્હેલી સવારે પહોંચ્યા હતા. થાક અને આખી રાતનો ઉજાગરો દૂર કરવા હાઈ વે ઉપર એસ.ટી. સ્ટેન્ડની સામે આવેલ જૈન ધર્મશાળાના સંચાલકોને હાથ મ્હોં ધોઈ ફ્રેશ થવા દેવા વિનંતિ કરી. સંચાલકોએ જૈન ધર્મી સિવાયના હોવાથી પાણી પીવા દેવાનોય ઈન્કાર કર્યો. હું જૈન ધર્મનું બહોળું જ્ઞાન ધરાવું છું ધારતે તો એમને ઉલ્લુ બનાવતે, પરંતુ મેં પ્રામાણિકતા દાખવી પરંતુ હવે ધર્મ પ્રત્યેની મારી આસ્થા હચમચી ગઈ છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સમાધાનથી દેશ ચાલે છે
ન્યાય અને સમાધાન શું ફેર છે. ન્યાયમાં એક ઘરે દીવો થાય છે. અને બીજા ઘેર અંધારુ જયારે સમાધાનમાં બન્ને ઘરે દીવા થાય છે. દુનિયામાં આજે ઘણા દેશ આ સમજતા નથી અને પાયમાલ થઇ રહ્યા છે જેવા કે રશિયા – યુક્રેન – પાકિસ્તાન – અફઘાનિસ્તાન – ઇરાન કે જેઓ સત્તાની લાલચમાં દેશને પાયમાલ કરી રહ્યા છે. આપણો દેશ એક ઉદાહરણ છે. એક નિર્ણય દેશને બરબાદ કરી નાખે છે અને તેમાં મહત્વનું અને મુદ્દાનું કામ કરે છે ઇગો. આજે ચીન પણ એમાંથી પસાર થઇ રહ્યો છે. પણ ત્યાંનું મીડીયા બહાર આવવા દેતું નથી. કોરાના કાળની મહામારીનું દેવું ચુકવું પડશે. આપણે ત્યાં શાંતિનો રોટલો ખાવા મળે છે. જે દેશ માટે સન્માનની વાત છે.  ઇરાનમાં હિજાબના કારણે ધમાલ મચી છે. ભારતને રોજગાર અને વિકાસ તરફ દોટ મુકવા દો. પોલિટીકલ રમત રમવાની બંધ કરીને એક ભારત વર્ષ એક મજબુત દેશનો સંકલ્પ લઇને વિશ્વ ગુરુ તરફની દોટને સાથ અને સરકાર આપો. ઇશ્વર – અલ્લાહ – તેરો નામ સબકો સન્મતી દે ભગવાન!
સુરત     – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top