મેયર મળ્યા નહીં તો ડેપ્યુટી મેયરને આવેદનપત્ર સોંપાયું
વેપારીઓના મતે ટ્રાફિકથી ત્રસ્ત રસ્તે ડિવાઇડરથી હાલાકી વધશે
વડોદરાના લહેરીપુરા ન્યુ રોડ પર રોડ ડિવાઇડર મૂકવાની પાલિકા તરફથી તૈયારીઓ શરૂ થતાં સ્થાનિક વેપારીઓમાં અસંતોષ પ્રસરી ગયો છે. મર્ચન્ટ એસોસિએશનના આગેવાનો અને વેપારીઓ મેયરને આવેદનપત્ર આપીને તેમની સમસ્યાઓ રજૂ કરવા પહોંચ્યા હતા. તેમ છતાં, મેયર “મારે જવાનું છે” કહી અડધા કલાક પછી નીકળી જતા વેપારીઓએ ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપ્યું હતું. લહેરીપુરા ન્યુ રોડ પર વેપાર ધમધમતો રહે છે. અહીંથી રોજિંદા માલની હેરાફેરી, ગ્રાહકોની અવરજવર અને વેપારીઓના વાહનો સતત વધી રહી છે, જેના કારણે રસ્તો વધુ સાંકડો લાગે છે. આવી સ્થિતિમાં ડિવાઇડર મૂકવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા વધુ ઉગ્ર બનશે અને વાહન વ્યવહારમાં અડચણો ઊભી થશે તેવી વાજબી આશંકા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
મર્ચન્ટ એસોસિએશનનું કહેવું છે કે હાલના સમયે ટ્રાફિક નિયંત્રણ માટે યોગ્ય આયોજન અને સંવાદ જરૂરી છે. ડીવાઇડર મૂક્યા બાદ જો તેને દૂર કરવો પડે તો નવો ખર્ચ થશે, જે જાહેર નાણાંનો વેડફાટ ગણાશે. હાલમાં ડિવાઇડર મૂકવાની કામગીરી શરૂ થવાની બાકી છે, પરંતુ વેપારીઓનો સ્પષ્ટ વાંધો છે કે રોડની સ્થિતિ તથા વેપારની જરૂરીયાતો જોવી જરૂરી છે. યોગ્ય સંવાદ વિના લેવાયેલા નિર્ણયથી શહેરના વ્યવસાયિક ધોરણો પર અસર પડી શકે છે.

