Business

ફિલ્મોમાંથી પડતા મૂકાયા બાદ કાર્તિકને સત્યનારાયણ કી કથા બચાવશે?

કાર્તિક આર્યન કોઈ સત્યનારાયણની કથા કરાવી રહ્યો છે. આ તો અહીં વાત થઈ રહી છે કાર્તિકના આગામી પ્રોજેક્ટ વિશે અને તેની જાહેરાત ખુદ કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી.  કાર્તિક ફિલ્મો છોડવા માટે થઈને ચર્ચામાં રહેતો હતો અને હવે તે તેના આગામી સાઈન કરેલા પ્રોજેક્ટને કારણે ચર્ચામાં છે. ફિલ્મ ‘દોસ્તાના-ટૂ’માંથી બાદબાકી થયા બાદ હવે ઈન્ડસ્ટ્રીમાં એવી વાત સંભળાઈ રહી છે કે કાર્તિકે પોતાની આગામી ફિલ્મ સાઈન કરી લીધી છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી હશે અને તેનું નામ હશે ‘સત્યનારાયણ કી કથા.’

કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ‘મારી આગામી ફિલ્મનું નામ છે ‘સત્યનારાયણ કી કથા’. આ એક લવ સ્ટોરી ઝોનર ફિલ્મ છે.’ તેણે ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું છે અને લખ્યું છે કે આ સ્ટોરી ખરેખર મારા દિલની એકદમ નજીક છે. તમે આ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ તમારા સ્પેશ્યલ પર્સનની સાથે બેસીને જોજો, તમને ચોક્કસ જ ગમશે.’

આ ફિલ્મનું ડિરેક્શન ફેમસ ડિરેક્ટર સમીર વિદ્વંસ કરી રહ્યા છે અને તેમને ૨૦૧૯માં મરાઠી ફિલ્મ ‘આનંદી ગોપાલ’ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જોકે, અત્યાર સુધી એ વાતનો નિર્ણય નથી લેવામાં આવ્યો કે કાર્તિકની સામે કઈ એક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવશે. પણ આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. કાર્તિક છેલ્લે ફિલ્મ ‘લવ આજ કલ’માં જોવા મળ્યો હતો અને ટૂંક સમયમાં જ તેની ફિલ્મ ‘ધમાકા’ રિલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

આ સિવાય અત્યારે કાર્તિક ‘ભૂલભુલૈયા-ટૂ’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને તબ્બુ પણ કામ કરતી જોવા મળશે. જોકે, હમણાં થોડાક સમય પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે સુશાંત સિંહની જેમ એક પછી એક તેને ફિલ્મોમાંથી કાઢવામાં આવી રહ્યો છે અને તેને પણ એકલો પાડી દેવાની યોજના મોટા મોટા ફિલ્મમેકર બનાવી રહ્યા છે, તો કાર્તિકની હાલત પણ સુશાંતસિંહ જેવી જ થશે કે શું એવી ચર્ચા પણ સોશિયલ મીડિયા પર થઈ રહી હતી. છેલ્લે તેને ફિલ્મ ‘દોસ્તાના-ટૂ’માંથી કાઢી નાખવામાં આવ્યો હોવાની વાત સાંભળવામાં આવી હતી અને આ પાછળ દરેક વ્યક્તિ દ્વારા અલગ અલગ થિયરી આપવામાં આવી રહી હતી.

એકદમ અંદર કી બાત કરીએ તો એક સમયે કાર્તિક આર્યન અને જાન્હવી કપૂર સારાં મિત્રો હતાં અને એવી ચર્ચા પણ થઈ રહી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અવારનવાર કાર્તિક અને જાહન્વી આઉટિંગના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં જોવા મળ્યાં હતાં. પણ જાન્યુઆરીમાં કોઈક કારણસર બંનેની મિત્રતામાં ભંગાણ પડ્યું અને એટલે કદાચ આ જ કારણસર કાર્તિકને આ ફિલ્મમાંથી આઉટ કરવામાં આવ્યો હોય, કારણ કે જાન્હવી કપૂર આ ફિલ્મમાં લીડ રોલમાં હતી.

Most Popular

To Top