ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB)ની રચનાને કેબિનેટની સૈદ્ધાંતિક મંજૂરી
વડોદરા, તા. ૩૧
ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCB)ની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોને બેંકિંગ સુવિધાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થશે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકાર અને સહકારિતા મંત્રાલય દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે નાબાર્ડ દ્વારા દેશના કેટલાક જિલ્લાઓમાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના માટે એપ્રોચ નોટ રજૂ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં પણ ૦૯ નવી બેંકોની રચનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
કેબિનેટના નિર્ણય મુજબ, દાહોદ, અરવલ્લી, તાપી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ, ડાંગ અને નવસારી જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવામાં આવશે. આ માટે રાજ્યની વર્તમાન જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના વિભાજનથી નવી બેંકો ઊભી કરાશે. પંચમહાલ બેંકમાંથી દાહોદ, સાબરકાંઠા બેંકમાંથી અરવલ્લી, સુરત બેંકમાંથી તાપી, વડોદરા બેંકમાંથી છોટાઉદેપુર, જામનગર બેંકમાંથી દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ બેંકમાંથી પોરબંદર, ખેડા બેંકમાંથી આણંદ તેમજ વલસાડ બેંકમાંથી ડાંગ અને નવસારી જિલ્લાઓ માટે નવી બેંકો રચાશે.
આ નવી બેંકોની રચના માટે રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને દરખાસ્ત મોકલશે અને ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા મળશે તેમજ ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.