Comments

ઉત્તર પ્રદેશમાં યોગીજીનાં શક્તિપાઠ અને રામલીલા

ભારતની લઘુમતીઓ માટે પ્રજાના સામુહિક માનસ દ્વારા એવું વલણ જાળવવામાં આવ્યું હતું કે તેઓ લઘુમતી છે તેથી બહુમતીએ તેઓનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આઝાદી બાદ પચાસ – સાઠ વરસ સુધી આ ભાવના ટકી રહી હતી. મુસ્લિમોને હજ માટે સબસીડીઓ અપાઈ, રાજભવનમાં અને હિન્દુ નેતાઓને ત્યાં ઇફતાર પાર્ટીનાં આયોજનો થતાં હતાં. નેતાઓ ખભા કે માથા પર તાસક ઊંચકી લીલી ચાદરો ચડાવવા જતા અને આ બધા પ્રસંગોની ખાસ તસવીરો ખેંચાવી પ્રસિદ્ધ કરાવતા મુસ્લિમ સમાજ પ્રત્યેની આટલી મહોબ્બત વાસ્તવમાં મતો અને સત્તા મેળવવા માટેની મહોબ્બત હતી. અન્યથા, ‘ધર્મનિરપેક્ષતા અમારો પાયાનો સિદ્ધાંત છે અને તેની જાળવણી માટે અમે કંઇ પણ જતું કરવા તૈયાર છીએ એવું 2014 અગાઉ વારંવાર બોલનાર નીતીશ કુમાર ભારતીય જનતા પક્ષની ગોદમાં વારંવાર શા માટે જઇ બેસે! સત્તા માટે જ.

મુસ્લિમોને સમજાયું કે અમારા થકી કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, સામ્યવાદીઓ વગેરે સત્તા ઈચ્છે છે અને હિન્દુઓને સમજાયું કે અમુક ટકા મતપ્રાપ્તિ માટે એ પક્ષો લઘુમતીઓનું તુષ્ટિકરણ કરે છે અને બહુમતી હિન્દુઓની અવગણના કરે છે. પરંતુ આ સમજાયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું છે. સામ્યવાદી પક્ષ ઇશ્વરમાં માનતો નથી, છતાં ભારતનો સામ્યવાદી પક્ષ ઇસ્લામને માન્યતા આપે છે, પરંતુ હિન્દુત્વ તેને સ્વીકાર્ય નથી.આથી સામ્યવાદી પક્ષના નેતા સીતારામ યેચૂરી તાસક ઉપાડીને દરગાહ પર જતાં જોવા મળે. હિન્દુ મંદિરમાં જતાં જોવા નહીં મળે. બીજી તરફ હિન્દુઓને એમ પણ લાગવા માંડયું કે હિન્દુ સમાજે એકત્ર થવાની જરૂર છે.

આ ભાવનાનો પ્રથમ રેલો સવાયા મુસ્લિમ સોનિયા ગાંધી એન્ડ હર ફિલ્સની બેઠકો નીચે આવ્યો. રાહુલે પોતાનાં જૂઠાં મૂળ શોધી કાઢયાં. ભરદ્વાજ ગૌત્રનું મૂળ બતાવી જનોઇ ધારણ કરી. પ્રિયન્કાએ સાડી પહેરીને ગંગા કિનારેનાં મંદિરોમાં જઇ પૂજા અર્ચના કરી. એમ તો કાશ્મીરના મેહબૂબા મુફતીએ હમણાં મંદિરમાં જઈ શંકરના લિંગ પર જલાભિષેક કર્યો. હિન્દુઓએ આ સૌહાર્દનો ઉત્તર સૌહાર્દથી આપવો જોઈએ. બધા જાણે છે કે મુસ્લિમોમાં સારાં લોકોનો અભાવ નથી, પરંતુ લડાયક તત્ત્વોએ સજ્જનોનો અવાજ દબાવી દીધો છે. હવે લડાયક તત્ત્વોએ પાછી પાની કરવાની ફરજ પડી રહી છે પણ અગાઉ દરેક ધર્મના લોકોએ  સમતાનો આશરો લીધો હોત તો આજે જે સ્થિતિ પેદા થઇ છે તે ટાળી શકાઈ હોત.

હિન્દુત્વનો દાબડો હવે ખૂલી ગયો છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં તેનું બોલકું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. યોગી આદિત્યનાથ ઇસ્લામને નુકસાન પહોંચાડતાં નથી પરંતુ હિન્દુત્વની રેખા લંબાવી રહ્યા છે.એક મસ્જિદની બહાર મરેલું ડુક્કર ફેંકી ગયેલા હિન્દુ યુવકોની એમણે ધરપકડ કરાવી છે. જયારે ઇસ્લામની તહેવારો, રીતો, રસમોને આદર મળે તેવા પ્રસંગોમાં નેતાઓ લોકપ્રિય થવા હાજરી આપતા હતા તો તેઓ હિન્દુઓને વધુ મહત્ત્વ અપાય તેની ટીકા કઇ રીતે કરી શકવાના? તેઓને પણ હિન્દુ મતો ગુમાવવાનો ડર છે. હિન્દુઓનાં સાર્વત્રિક માનસમાં હિન્દુઓની સનાતન પંથની અવગણના થતી હોવાના ભાવે જગ્યા જમાવી હતી. યોગીજી એ ભાવનાને સંબોધી રહ્યા છે.ભારતની આજ સુધીની સેંકડો આવી ને ગયેલી કે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં શાસનમાં આજ સુધી જે થયું ન હતું તે હવે થવા જઇ રહ્યું છે.

ઉત્તરપ્રદેશમાં જીર્ણ થયેલાં મંદિરોનો યોગી સરકાર જીર્ણોધ્ધાર કરાવી રહી છે. એ મંદિરો સાથે નવી સવલતો તૈયાર થઇ રહી છે. રાજ્યમાં તીર્થાટન અને પર્યટન ઉદ્યોગને જીવંત બનાવવાના ઇરાદાઓ સાથે લખનૌ શહેરમાંના તેમજ આસપાસનાં તમામ પ્રાચીન તેમજ મહત્ત્વનાં દેવાલયોનો જીર્ણોધ્ધાર થઇ રહ્યો છે. તેઓને ફરીથી ભવ્ય સ્વરૂપ અપાઈ રહ્યું છે. લખનૌમાં લોકેશ્વર મહાદેવ મંદિર, મંદાબીર બાબા, મંગલમેશ્વર ધામ તેમજ વિશ્વકર્મા વગેરે મંદિરોનો જીર્ણોધ્ધાર ચાલી રહ્યો છે.અમુકનાં કામકાજો પૂરાં થઈ ચૂકયાં છે. જેમ કે આલમ બાગકાતેનું મંદિર બાબા મંદિરનો જીર્ણોધ્ધાર થયા પછી તે ભવ્ય જણાઈ રહ્યું છે.

ત્યાં બેસવા ઉઠવાની આરોગ્ય, પ્રકાશ અને અન્નજળની સુંદર વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જીર્ણોદ્ધારનાં કાર્યો 2018માં શરૂ થયાં હતાં. હમણાં યોગી સરકારે જે નવો નિર્ણય લીધો છે તે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસને ખૂબ અકળાવતો હશે, પણ મતદારોનો આદર જાળવી રાખવા તેઓ મૌન જ રહેવાનું પસંદ કરશે. સ્વામી પ્રસાદ મૌર્ય જેવા ઓલરેડી અપલખણા પુરવાર થયેલા નેતાઓના મુખે વિરોધની ચણભણ રજૂ કરશે. પરંતુ પક્ષોના પ્રમુખ નેતાઓ મૌન જ રહેશે. જો કે તેઓ સમજે છે કે યોગીએ હિન્દુઓને પડખે કર્યા છે એટલા તેઓ પોતે હવે નહીં કરી શકે છતાં નિરપેક્ષ હિન્દુઓને તેઓ નારાજ કરવા માગતા નથી. તેઓએ ભવિષ્યમાં પણ રાજનીતિનો ધંધો જ કરવાનો છે.

જે બનાવટી ધર્મનિરપેક્ષ દળો છે તેઓ બેચેન અને વ્યગ્ર છે. થોડા સમય અગાઉ ભારતીય જનતા પક્ષમાં હતા ત્યારે સ્વામી પ્રસાદ મૌર્ય માટે રામચરિત માનસ એક પવિત્ર ગ્રંથ હતો. પણ પક્ષમાંથી નીકળ્યા બાદ કિનારાઓનો ઓવાળ બની ગયેલા મૌર્યને રામચરિત માનસમાં ગંભીર ક્ષતિઓ નજરે ચડવા લાગી. આજની નવી પેઢી તો ધર્મ, પંથ, સંપ્રદાયના કોઇ ભેદભાવોમાં માનતી નથી. છતાં મૌર્ય જેવા આધેડ અને વૃદ્ધ પેઢીને બોલીને દુ:ખી કરી શકે. મૌર્યનો ઇરાદો ચૂંટણીલક્ષી છે. સુધારણાલક્ષી નથી. તો પણ સારો એવો વિવાદ જગાવવામાં એ સફળ રહ્યા. પરંતુ એ વિવાદ જગાવવામાં જ સફળ રહ્યાં. તુલસી દાસના એ જૂના વાક્યનો મૌર્ય જે અર્થ કાઢે છે એ અર્થને અનુરૂપ સનાતન સમાજનું કોઇ પણ અંગ આજે વ્યવહાર કરતું નથી. ક્રમશ: સમરસતા વધી રહી છે અને તુલસીદાસજીનો સમય જૂનો સમય હતો. આજે એ રહ્યો નથી. માત્ર રાજકીય લાભ ખાટવા વિવાદ ચગાવ્યો હતો અને મૌર્યને બોલવાનો અધિકાર છે તે બાબતમાં પણ મિનમેખ નથી.

યોગીજી આ સ્થિતિમાં એક નવું શસ્ત્ર લઇ  આવ્યા છે, જેથી વિઘટનવાદી તત્ત્વોની ચાલને નિષ્ફળ બનાવી શકાય. આ બાવીસમીથી ત્રીસમી માર્ચ સુધી ચૈત્રી નવરાત્રિમાં યુપીના દુર્ગા ભવાની મંદિરો અને શક્તિપીઠોમાં દુર્ગા સપ્તશતીના પાઠ, દેવી જાગરણ અને ભજનોના કાર્યક્રમો યોજાશે અને તે માટે સરકાર પ્રત્યેક શક્તિસ્થળ દીઠ રૂપિયા એક લાખની સહાય આપશે. સાથે સાથે શ્રી રામ નવમીના તહેવાર નિમિત્તે અખંડ રામાયણનો પાઠ થશે. આ માટેની તજવીજ કરવાના આદેશો જિલ્લા મેજિસ્ટ્રેટોને અપાય છે. આ પ્રસંગોમાં બાળકો, બહેનો વગેરેની વિશેષ હાજરી રહે તે બાબત પર ધ્યાન અપાશે. આયોજનોની સફળતા માટે જિલ્લા મેજિસ્ટ્રેટો દ્વારા એક સમિતિ રચવામાં આવશે. હવે તે નિમાઈ પણ ચૂકી હશે.

સરકારના નેતૃત્વ હેઠળ આ પ્રકારનું આયોજન પ્રથમ વાર થઇ રહ્યું છે.અમુક રાજકીય નેતાઓ બંધારણની દુહાઈ આપી તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ અગાઉ રાજભવનો અને મુખ્યમંત્રીઓના સરકારી નિવાસો ખાતે સરકારી ખર્ચે ઇફતાર પાર્ટીઓ યોજાતી હતી તેની તેઓને યાદ અપાવાય છે. સમાજવાદી પક્ષના શાસન વખતે ઉત્તરપ્રદેશમાં કબ્રસ્તાનોનાં બાંધકામ અને સમારકામ માટે સરકાર દ્વારા રૂપિયા 1200 (બારસો) કરોડની તોતિંગ રકમ ફાળવવામાં આવી હતી તે બાબતને પણ તેઓને યાદ અપાવાય છે. સપાના સ્વામી પ્રસાદ મૌર્યે એમ કહીને વિરોધ કર્યો છે કે સામાન્ય માણસોએ રામચરિત માનસનું વાચન પઠન છોડી દીધું છે ત્યારે સરકાર આવો ખર્ચ કરી રહી છે. મૌર્યની વાત સાચી નથી. વાસ્તવમાં મૌર્યને ખબર નથી કે જયારથી એણે રામચરિત માનસમાં ભૂલો કાઢવાનું શરૂ કર્યું છે ત્યારથી એ પવિત્ર ગ્રંથનું વેચાણ ખૂબ વધી ગયું છે.

પ્રકાશક ગીતા પ્રેસનું કહેવું છે કે વિવાદ વાદ વેચાણ ખૂબ વધી ગયું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય પુસ્તક મેળામાં પ્રથમ દિવસે જ આ દળદાર ગ્રંથની 200 બસ્સો કોપી વેચાઈ ગઈ હતી. યુપીના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન જયવીરસિંહે જાહેરાત કરી છે કે જરૂર પડી તો સરકાર વધુ નાણાં ફાળવશે. મોહમ્મદ રફીએ ગાયું હતું ‘રામ કી લીલા રંગ લાઈ, શ્યામને બંસી બજાઈ’. આ કડીઓને યાદ રાખીને શાંતિ જળવાય એવી પણ અપેક્ષા રહે છે. રામાયણ અને રામજીનું પાત્ર સદાચાર, શાંતિ, સમરસતા, સહનશીલતા અને તિતિક્ષા શીખવે છે. માટે તે થાય તો કોઇએ ડર રાખવાની જરૂર નથી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top