Business

રિલાયન્સમાં ‘ભાગલા’ પડશે?: મુકેશ અંબાણી 7 લાખ કરોડની સંપત્તિના ઉત્તરાધિકારી પસંદ કરવા આ પ્લાન અમલમાં મુકે તેવી સંભાવના

મુંબઈ: (Mumbai) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance) ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) બાળકો વચ્ચેના કોઈપણ વિવાદના અવકાશને નાબૂદ કરવા માંગે છે. તેથી જ તેઓએ વિશ્વભરના અબજોપતિઓની જેમ ઉત્તરાધિકાર મોડેલ પર વિચાર મંથન શરૂ કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ મુકેશ અંબાણી વિશ્વભરના ધનિકો દ્વારા અત્યાર સુધીમાં તૈયાર કરાયેલી અને અમલમાં મુકાયેલી વારસદાર-ઉત્તરાધિકારી યોજનાઓ ચેક કરી રહ્યા છે અને સમજી રહ્યા છે. જે અબજોપતિઓની યોજના તેણે જોઈ છે તે વોલ્ટન્સથી લઈને કોચ પરિવાર સુધીની છે. રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી વોલમાર્ટ ઈન્કના (Walmart ink) વોલ્ટન ફેમિલી મોડલને લઈને ગંભીર છે. 

64 વર્ષીય મુકેશ અંબાણીને બે પુત્ર અને એક પુત્રી છે. મુકેશ અંબાણીની નેટવર્થ અંદાજે 7 લાખ કરોડ રૂપિયા (94 અરબ ડોલર)છે. મુકેશ અંબાણીએ હજુ સુધી ઓફિશ્યલી કોઈ જાહેરાત કરી નથી. તેમના નિવૃત્તિ લેવા અંગે પણ કોઈ સમાચાર નથી. હજુ તે અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. પરંતુ કંપનીની હાલની હિલચાલથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે મુકેશ અંબાણી પોતાના ઉત્તરાધિકારીની યોજનાને અમલમાં મુકવામાં ગંભીરતાપૂર્વક આગળ વધઈ રહ્યાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હાલમાં મુકેશ અંબાણીનો હિસ્સો 50.6ટકા વધી ચૂક્યો છે. આ અગાઉ માર્ચ 2019માં તે 47.27 ટકા હતો. મુકેશ અંબાણી પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવા માટે વિશ્વના ધનિકો દ્વારા અપનાવાયેલી યોજનાઓને ચકાસી રહ્યાં છે. તે પૈકી તેમને બે પ્લાન પસંદ પડ્યા છે. જેમાં વોલ્ટન્સથી લઈને કોચ પરિવારની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણીએ હવે આ સક્સેસ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવાનું કામ ઝડપી બનાવ્યું છે.

મુકેશને આ બે પ્લાન ગમે છે

1. વોલમાર્ટનું વોલ્ટન ફેમિલી મોડલ

1992 માં કંપનીના સ્થાપક સેમ વોલ્ટનના મૃત્યુ પછી, તેમના વ્યવસાયના સ્થાનાંતરણનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી ધનાઢ્ય પરિવાર એવા વોલ્ટન્સે 1988થી કંપનીના રોજ-બ-રોજના કારોબારને મેનેજરોને સોંપી દીધો હતો. આ પછી તેના પર નજર રાખવા માટે બોર્ડ બનાવવામાં આવ્યું હતું. સેમનો મોટો પુત્ર રોબ વોલ્ટન અને તેનો ભત્રીજો સ્ટુઅર્ટ વોલ્ટન વોલમાર્ટના બોર્ડમાં છે. 2015 માં, સેમના પૌત્ર સસરા ગ્રેગ પેનરને કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી કારણ કે શેરધારકો કરતાં પરિવારને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હતું. સેમે તેમના મૃત્યુના 40 વર્ષ પહેલા 1953માં ઉત્તરાધિકારની યોજના શરૂ કરી હતી. આ મુજબ તેણે 80% બિઝનેસ 4 બાળકોમાં વહેંચી દીધો હતો.

2. ટ્રસ્ટમાં હોલ્ડિંગ મૂકવું

મુકેશ પરિવારના હોલ્ડિંગ્સને એક ટ્રસ્ટમાં મૂકવા માંગે છે જે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નિયંત્રિત કરશે. આ નવા ટ્રસ્ટમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના ત્રણ બાળકોનો હિસ્સો હશે. આ તમામ લોકોને તેના બોર્ડમાં સામેલ કરવામાં આવશે. યોજના મુજબ બોર્ડમાં અંબાણી પરિવારના સૌથી નજીકના લોકોને પણ સામેલ કરવામાં આવશે. રિલાયન્સ કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ દ્વારા ચાલશે. રિલાયન્સનો બિઝનેસ રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ સહિત રિટેલ અને ઈ-કોમર્સનો છે. આ મેનેજમેન્ટ રિલાયન્સ તેમજ તેના અન્ય બિઝનેસનું ધ્યાન રાખશે.

મુકેશ અંબાણી હજુ પણ સક્રિયપણે બિઝનેસ ચલાવી રહ્યા છે

ખરેખર, અત્યાર સુધી મુકેશ અંબાણી સક્રિય રીતે બિઝનેસ ચલાવી રહ્યા છે. તેમની સાથે તેમના ત્રણ સંતાનો પણ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને ત્રણ બાળકો આકાશ, અનંત અને ઈશા છે. આ ત્રણેય લોકો સમય સમય પર રિલાયન્સની તમામ ઈવેન્ટમાં પોતાનો બિઝનેસ રજૂ કરતા રહે છે.

મુકેશ અને અનિલનો સૌથી મોટો પ્રોપર્ટી વિવાદ

દેશમાં કોર્પોરેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો પારિવારિક વિવાદ મુકેશ અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી વચ્ચે થયો હતો. આનું કારણ એ હતું કે રિલાયન્સ શરૂ કરનાર ધીરુભાઈ અંબાણીએ અનુગામીનું આયોજન કર્યું ન હતું. 2002 માં તેમના મૃત્યુ પછી, બંને ભાઈઓ વચ્ચેના વિવાદો સામે આવ્યા અને તેના કારણે રિલાયન્સને બે ભાગમાં વહેંચવું પડ્યું.

Most Popular

To Top